લેબનોનના વડા પ્રધાને યુએન-યુએસનો પ્રવાસ મોકૂફ રાખ્યો – ન્યૂઝ અપડેટ

વાંચવાનો સમય: 1 મિનિટ

લેબનોનના વડા પ્રધાન નવાફ સલામે તેમનો સંયુક્ત રાષ્ટ્રો (યુએન) તથા અમેરિકાનો પ્રવાસ મોકૂફ કર્યો છે.

સલામની ઍક્સ પોસ્ટને ટાંકતા ન્યૂઝ એજન્સી એએનઆઈએ આ અહેવાલ પ્રકાશિત કર્યો છે.

સલામે લખ્યું, "લેબનોના લોકોની સુરક્ષાને સુનિશ્ચિત કરવા અને એકતા પ્રત્યેની મારી ફરજને બજાવવા" તેમણે પ્રવાસ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે.

નવાફ સલામે લખ્યું કે તેઓ રાજધાની બૈરુતમાં જ રહેશે અને સરકારી કામકાજ કરશે.

બીજી બાજુ, ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાને ટાંકતા ઈરાનની ન્યૂઝ એજન્સી ફાર્સે કહ્યું કે તેઓ સતત પણે લેબનોન સાથે સંપર્કમાં છે અને લેબનોનમાં પણ યુદ્ધવિરામનું પાલન થાય, તે સુનિશ્ચિત કરી રહ્યા છે.

ભારતીય સમય પ્રમાણે, રવિવારે સવારે પાકિસ્તાનમાં ચાલી રહેલી ઈરાન તથા અમેરિકા વચ્ચેની વાટાઘાટો પડી ભાંગી હતી. તેની લેબનોનના મોરચે શું અસર થાય છે, તે જોવું રહ્યું.

બીજી બાજુ, ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ જાહેરાત કરી છે કે ઈરાન અને લેબનોન સામેનું તેમનું અભિયાન પૂર્ણ નથી થયું.

એસ જયશંકર યુએઈના પ્રવાસે પહોંચ્યા

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર યુએઈની (સંયુક્ત આરબ અમીરાત) યાત્રાએ અબુધાબી પહોંચ્યા છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈ લખે છે કે શનિવારે યાત્રાના પહેલા દિવસે તેમણે ત્યાં વસતા ભારતીય સમુદાય સાથે સંવાદ કર્યો હતો. એસ. જયશંકર બે દિવસની યાત્રા ઉપર યુએઈ પહોંચ્યા છે.

સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર એસ. જયશંકરે લખ્યું, "ભારતીય સમુદાય સાથે ચર્ચા દ્વારા મેં મારા યુએઈ પ્રવાસની શરૂઆત કરી. મેં મધ્યપૂર્વ એશિયાના સંઘર્ષ દરમિયાન ભારત સરકારના ક્ષેમ-કુશળ તથા સુરક્ષા માટેના પ્રયાસો વિશે જાણકારી આપી."

એસ. જયશંકરે કપરા સમયમાં ત્યાં ભારતીય સમુદાયે કરેલી કામગીરીની પ્રશંસા કરી હતી તથા ભારતીય સમુદાયના કલ્યાણનું ધ્યાન રાખવા બદલ ત્યાંની સરકારનો આભાર માન્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન