ટ્રમ્પની સમયસીમા પૂરી થાય તે પહેલાં અમેરિકા અને ઈરાન યુદ્ધવિરામ પર સંમત

વાંચવાનો સમય: 4 મિનિટ

પાકિસ્તાનની મધ્યસ્થી હેઠળ અમેરિકા અને ઈરાન બે અઠવાડિયાંના યુદ્ધવિરામ માટે સંમત થયા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે, પાકિસ્તાની નેતૃત્વ સાથેની વાતચીત બાદ, જો ઈરાન હોર્મુઝની સામુદ્રધુનીથી જહાજોની અવરજવરને મંજૂરી આપવા માટે સંમત થાય છે, તો અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ થશે.

તેમણે કહ્યું, "હું બે અઠવાડિયાં માટે ઈરાન પર બૉમ્બમારો અને હુમલાઓ બંધ કરવા સંમત છું."

ટ્રમ્પે જણાવ્યું હતું, બંને પક્ષો આ યુદ્ધવિરામ માટે સંમત થયા છે. "ઈરાન પર વિનાશક હુમલો" કરવા માટે ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલી સમયમર્યાદા બુધવારે ભારતીય સમય મુજબ સવારે 5:30 વાગ્યે સમાપ્ત થઈ રહી હતી. તેની માત્ર 10 મિનિટ પહેલાં પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે જાહેરાત કરી હતી કે આ યુદ્ધવિરામ "તાત્કાલિક અસરથી" અમલમાં આવી ગયો છે.

ટ્રમ્પે વધુમાં કહ્યું કે, જો ઇસ્લામિક રિપબ્લિક ઑફ ઈરાન હોર્મુઝની સામુદ્રધુનીને સંપૂર્ણપણે, તાત્કાલિક અને સુરક્ષિત રીતે ખોલવા માટે સંમત થાય તો જ તેઓ આ બે અઠવાડિયાંના યુદ્ધવિરામ માટે સંમત થશે.

આ દરમિયાન, ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાગચીએ પણ જાહેરાત કરી છે, જો ઈરાન પર હુમલા બંધ કરવામાં આવે તો ઈરાન યુદ્ધવિરામ માટે સંમત થશે.

તેમણે વધુમાં કહ્યું, "આગામી બે અઠવાડિયાં સુધી હોર્મુઝની સામુદ્રધુનીમાં જહાજોની સલામત અવરજવર શક્ય બનશે."

અરાગચીના મતે, "આ વ્યવસ્થા ઈરાની સશસ્ત્ર દળો સાથે સંકલનથી લાગુ કરવામાં આવશે અને તકનીકી મર્યાદાઓને પણ ધ્યાનમાં રાખશે."

અગાઉ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે પાંચ અઠવાડિયાંના અમેરિકા-ઇઝરાયલ યુદ્ધ દરમિયાન ઘણી સમયસીમાઓ નક્કી કરી હતી, કેટલીક માગણીઓ રાખી હતી અને ધમકીઓ આપી હતી.

ટ્રમ્પે શું કહ્યું?

આ અગાઉ ટ્રુથ સોશિયલ પર કરેલી એક લાંબી પોસ્ટમાં ટ્રમ્પે કહ્યું હતું કે "પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ અને ફિલ્ડ માર્શલ આસિમ મુનીર સાથેની મારી વાતચીતના આધારે, અને કારણ કે તેમણે આજે રાત્રે મને ઈરાન વિરુદ્ધ વિનાશક સૈન્ય કાર્યવાહી બંધ કરવા માટે વિનંતી કરી હતી. હું ઈરાન પર બૉમ્બમારા અને હુમલાઓને બે અઠવાડિયાં માટે બંધ કરવા સંમત થયો છું, જો ઈરાન ઇસ્લામિક રિપબ્લિક હોર્મુઝની સામુદ્રધુનીને સંપૂર્ણપણે, તાત્કાલિક અને સુરક્ષિત રીતે ફરીથી ખોલવા માટે સંમત થાય તો."

તેમણે કહ્યું, "આ બે-પક્ષીય યુદ્ધવિરામ હશે."

આ પાછળનું કારણ સમજાવતા ટ્રમ્પે કહ્યું કે, અમેરિકાએ માત્ર તેના તમામ સૈન્ય ઉદ્દેશ્યો જ હાંસલ નથી કર્યા, પરંતુ તેનાથી પણ આગળનાં પગલાં ભર્યા છે અને ઈરાન સાથે લાંબા ગાળાની શાંતિ અને મધ્યપૂર્વમાં કાયમી શાંતિ માટે નિર્ણાયક કરારની ખૂબ નજીક પહોંચી ગયું છે.

તેમણે દાવો કર્યો હતો કે, ઈરાન તરફથી 10 મુદ્દાનો પ્રસ્તાવ મળ્યો છે, જેને વાટાઘાટ માટે એક વ્યવહારુ આધાર માનવામાં આવે છે. ટ્રમ્પના મતે, અમેરિકા અને ઈરાન પહેલાંથી જ વિવાદના લગભગ તમામ મુખ્ય મુદ્દાઓ પર સંમતિ પર પહોંચી ગયા છે, પરંતુ કરારને અંતિમ સ્વરૂપ આપવા અને તેને ઔપચારિક રીતે અમલમાં મૂકવા માટે આ બે અઠવાડિયાંનો સમયગાળો આપવામાં આવ્યો છે.

ટ્રમ્પે સમાપન કર્યું કે, "યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે અને મધ્યપૂર્વના દેશોનું પ્રતિનિધિત્વ કરતા આ લાંબા સમયથી ચાલતા મુદ્દાના ઉકેલની નજીક પહોંચવું એ સન્માનની વાત છે."

ઈરાને શું કહ્યું?

બીબીસી ફારસીના વરિષ્ઠ પત્રકાર, ઘોંચે હબીબીઝાદના જણાવ્યા અનુસાર, ઈરાનની સુપ્રીમ નૅશનલ સિક્યૉરિટી કાઉન્સિલે શરતી યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. ત્યાર બાદના એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે કરારની વિગતોને અંતિમ સ્વરૂપ આપવા માટે મહત્તમ 15 દિવસની અંદર પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં વાટાઘાટ થશે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ વાટાઘાટ એટલા માટે યોજાશે કે "રાજકીય વાટાઘાટમાં પણ ઈરાનની જીત મજબૂત થઈ શકે."

ઈરાનની સુપ્રીમ નૅશનલ સિક્યૉરિટી કાઉન્સિલના એક નિવેદન અનુસાર, અમેરિકા નીચેની બાબતો પર સંમત થયું છે:

  • ઈરાન સામે તેની "આક્રમક કાર્યવાહી" ફરીથી નહીં કરવાની ખાતરી
  • ઈરાન હોર્મુઝની સામુદ્રધુની પર નિયંત્રણ ચાલુ રાખશે
  • યુરેનિયમ સંવર્ધન સ્વીકારવું
  • બધા પ્રતિબંધો હઠાવવા
  • સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને આંતરરાષ્ટ્રીય અણુ ઊર્જા એજન્સીના તમામ પ્રસ્તાવ રદ કરવા
  • ઈરાનને વળતર આપવું
  • પ્રદેશમાંથી અમેરિકાનાં સૈન્ય દળોને પાછાં ખેંચવાં
  • અને "લેબનોનના ઇસ્લામિક પ્રતિકાર" સામેના ઑપરેશન સહિત તમામ મોરચે યુદ્ધ બંધ કરવું

શહબાઝ શરીફે શું કહ્યું?

પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે યુદ્ધવિરામ માટે અમેરિકા અને ઈરાનનો આભાર માન્યો છે.

શહબાઝ શરીફે એમ પણ કહ્યું છે, 10 એપ્રિલે ઈરાન અને અમેરિકાના પ્રતિનિધિઓ ઇસ્લામાબાદ આવશે, જ્યાં અંતિમ કરાર પર ચર્ચા કરવામાં આવશે.

ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી હતી કે જો ઈરાન અમેરિકાની શરતોનું પાલન નહીં કરે તો તે વિનાશક હુમલાઓ કરશે અને તેનો નાશ કરશે. તેમણે ઈરાનને મંગળવારે વૉશિંગ્ટન સમય મુજબ રાત્રે 8 વાગ્યા (બુધવારે ભારતીય સમય મુજબ સવારે 5:30 વાગ્યા) સુધીનો સમય આપ્યો હતો.

સમયમર્યાદાના માત્ર 10 મિનિટ પહેલાં પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે ઍક્સ પર લખ્યું, "મને તમને જણાવતા આનંદ થાય છે કે ઈરાન અને અમેરિકા, તેમના સાથી દેશો સાથે, લેબનોન સહિત દરેક જગ્યાએ તાત્કાલિક અસરથી યુદ્ધવિરામ માટે સંમત થયા છે."

"હું આ સમજદાર પગલાનું સ્વાગત કરું છું અને બંને દેશોના નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર માનું છું. હું તેમના પ્રતિનિધિઓને શુક્રવાર, 10 એપ્રિલ, 2026ના રોજ ઇસ્લામાબાદમાં આમંત્રણ પણ આપું છું, જેથી તમામ વિવાદોના ઉકેલ માટે અંતિમ કરાર પર વધુ વાટાઘાટ કરી શકાય."

તેમણે લખ્યું, "બંને પક્ષોએ નોંધપાત્ર સમજણ અને દૂરદર્શિતા દર્શાવી છે, શાંતિ અને સ્થિરતાને આગળ વધારવામાં સકારાત્મક રીતે જોડાયેલા રહ્યા છે. અમને આશા છે કે ઇસ્લામાબાદ વાટાઘાટ કાયમી શાંતિ પ્રાપ્ત કરવામાં સફળ થશે અને આગામી દિવસોમાં વધુ સારા સમાચાર આપીશું."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન