અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ અંગે ભારતની પહેલી પ્રતિક્રિયા શું આવી? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, RAMIL SITDIKOV/POOL/AFP via Getty Images
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધવિરામ અંગે ભારતે પહેલી વખત સત્તાવાર પ્રતિક્રિયા આપી છે અને સિઝફાયરને આવકાર્યું છે.
ભારતના વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદનમાં લખ્યું, "અમે યુદ્ધવિરામને આવકારીએ છીએ અને આશા રાખીએ છીએ કે તેનાથી પશ્ચિમ એશિયામાં લાંબાગાળા માટે શાંતિ આવશે. અમે અગાઉ પણ કહ્યું છે એમ, તણાવ ઓછો કરવા વાટાઘાટો અને કૂટનીતિ જરૂરી છે, જેથી કરીને સંઘર્ષનો વહેલાસર અંત આવે."
"આ સંઘર્ષને કારણે પહેલાંથી જ લોકોને ખૂબ જ તકલીફ પડી છે અને વિશ્વની ઊર્જાઆપૂર્તિ તથા વેપારવ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. અમે આશા કરીએ છીએ કે હોર્મુઝની સામુદ્રધુનીમાં જહાજોની અવરજવર અને વૈશ્વિકવ્યાપાર કોઈપણ જાતના અવરોધ વગર ચાલતાં રહેશે."
બીજી બાજુ, તહેરાનસ્થિત ભારતીય દૂતાવાસે ઈરાનમાં રહેલા ભારતીય નાગરિકો માટે ઍડ્વાઇઝરી બહાર પાડી અને તેમને તાત્કાલિક દેશ છોડી દેવા કહ્યું છે.
ઍડ્વાઇઝરીમાં જણાવવામાં આવ્યું છે, "તાજેતરની ઘટનાઓને જોતાં ઈરાનમાં રહેલા ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ વહેલામાં વહેલી તકે ઈરાન છોડી દે. આ કામ તેઓ દૂતાવાસ સાથે મળીને કે દૂતાવાસ દ્વારા જણાવાયેલી રીતે કરે."
દૂતાવાસે સ્પષ્ટ કર્યું, "ફરીથી સ્પષ્ટપણે કહેવામાં આવે છે કે દૂતાવાસ સાથે વાત કર્યા વગર કોઈ પણ આંતરરાષ્ટ્રીય જમીની સરહદ તરફ જવાનો પ્રયાસ ન કરો."
દૂતાવાસ દ્વારા કેટલાક આપાતકાલીન નંબર પણ બહાર પાડવામાં આવ્યા છે.
મોબાઇલ નંબર: +989128109115, +989128109102, +989128109109, +989932179359
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇમેલ: cons.tehran@mea.gov.in
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની મધ્યસ્થતા પછી અમેરિકા તથા ઈરાને બે અઠવાડિયાં માટે યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે બંને દેશોનો આભાર માન્યો હતો.
ટ્રમ્પે કહ્યું, 'અમેરિકા ઈરાનના પુનર્નિર્માણમાં પણ મદદ કરશે'

ઇમેજ સ્રોત, Tom Williams/CQ-Roll Call, Inc via Getty Images
યુદ્ધવિરામ પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે, ઈરાન હવે પુનર્નિર્માણ કરી શકે, જેના માટે અમેરિકા પણ મદદ કરશે.
ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું , "આજે દુનિયામાં શાંતિ પ્રસ્થાપિત થાય તેવો એક એક મોટો દિવસ છે. ઈરાન પણ એ જ ઇચ્છે છે, કારણ કે હવે બહુ થયું, બીજા બધા પણ એ જ ઇચ્છે છે."
"અમેરિકા હોર્મુઝની સામુદ્રધુનીની ટ્રાફિક સમસ્યા હલ કરવામાં મદદ કરશે. ઘણાં સારાં પગલાં લેવામાં આવશે અને ઘણા પૈસા બનશે."
તેમણે કહ્યું, "ઈરાન હવે પુનર્નિર્માણ શરૂ કરી શકે છે. અમે તમામ પુરવઠા સાથે તૈયાર રહીશું, જેથી બધું સરળતાથી થાય તે સુનિશ્ચિત કરવા માટે અમે ત્યાં હાજર રહીશું. અને મને એ વિશ્વાસ છે કે આ થશે. જે અમેરિકામાં થઈ રહ્યું છે, તેવો જ મધ્યપૂર્વ માટે સુવર્ણ યુગ બની શકે છે."
નોંધનીય છે કે ઈરાને યુદ્ધ દરમિયાન કહ્યું હતું કે, તે હુમલામાં નાશ પામેલા તેના માળખાકીય સુવિધાઓ માટે વળતર માગશે. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટતા કરી નથી કે તે ઈરાનને તેના પુનર્નિર્માણમાં નાણાકીય સહાય આપશે કે નહીં.
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ પર ઇઝરાયલની પહેલી પ્રતિક્રિયા

ઇમેજ સ્રોત, Ronen Zvulun / POOL / AFP via Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઇઝરાયલે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધવિરામનો સ્વીકાર કર્યો છે. જોકે, તેણે સ્પષ્ટ કર્યું છે, આ યુદ્ધવિરામ લેબનોન પર લાગુ થશે નહીં.
ઇઝરાયલે તેના સત્તાવાર નિવેદનમાં કહ્યું, "અમે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનાં બે અઠવાડિયાં માટે ઈરાન પર હુમલા બંધ કરવાના નિર્ણયને સમર્થન આપીએ છીએ, શરત તે છે કે ઈરાન તાત્કાલિક હોર્મુઝની સામુદ્રધુનીને ખોલે અને અમેરિકા, ઇઝરાયલ અને અન્ય દેશો પર હુમલા બંધ કરે."
તેણે આગળ જણાવ્યું હતું કે, " એ સુનિશ્ચિત કરવાના અમેરિકાના પ્રયાસોને ઇઝરાયલ સમર્થન આપે છે કે ઈરાન હવે પરમાણુ શસ્ત્રો, મિસાઇલ કે આતંકવાદ માટે ખતરો ન બને. ન અમેરિકા માટે, ન ઇઝરાયલ કે ન ઈરાનના પડોશીઓ આરબ દેશો માટે અને ન વિશ્વ માટે."
"અમેરિકાએ ઇઝરાયલને જાણ કરી છે, તે આ ટાર્ગેટ પ્રાપ્ત કરવા માટે પ્રતિબદ્ધ છે. આગામી વાટાઘાટમાં અમેરિકા અમારી અને અમારા પ્રાદેશિક સાથી દેશો સાથે આ લક્ષ્યો શૅર કરશે."
નોંધનીય છે, પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે એક ઍક્સ પોસ્ટમાં જણાવ્યું હતું કે, યુદ્ધવિરામ લેબનોન પર પણ લાગુ થશે, પરંતુ ઇઝરાયલે કહ્યું છે, યુદ્ધવિરામ લેબનોનમાં લાગુ કરવામાં આવશે નહીં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન































