પાકિસ્તાને અમેરિકા અને ઈરાન વચ્ચે કઈ રીતે યુદ્ધવિરામ કરાવ્યો?

પાકિસ્તાને અમેરિકા અને ઈરાન વચ્ચે કઈ રીતે યુદ્ધવિરામ કરાવ્યો?

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, કૅરોલિન ડેવિસ
    • પદ, પાકિસ્તાન સંવાદદાતા
  • વાંચવાનો સમય: 2 મિનિટ

મંગળવારે સાંજે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીમકીભર્યા સૂર ઉચ્ચારી રહ્યા હતા, ત્યારે પાકિસ્તાનમાંથી આશાસ્પદ અણસાર મળ્યા હતા

ગણતરીની કલાકોમાં ઈરાન અને અમેરિકા વચ્ચે બે અઠવાડિયાં માટે સીઝફાયરની જાહેરાત થઈ હતી. પાકિસ્તાનના એક સ્ત્રોતે નામ ન છાપવાની શરતે બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે પાકિસ્તાનની મધ્યસ્થતાથી ઈરાન અને અમેરિકાની વચ્ચે "ઝડપભેર" વાટાઘાટો થઈ હતી.

પાકિસ્તાન તરફથી "બહુ થોડા લોકો" આ વાટાઘાટોમાં સામેલ થયા હતા અને મૂડ "નિરુલ્લાસ અને ગંભીર હતો, છતાં આશા હતી કે સંઘર્ષવિરામ શક્ય છે." બીબીસીએ જેમની સાથે વાત કરી, તેઓ વાટાઘાટોમાં પ્રત્યક્ષ રીતે સામેલ ન હતા.

પાકિસ્તાનની ભૂમિકા

અમેરિકા અને ઇરાન વચ્ચે સંઘર્ષ વિરામ, પાકિસ્તાનની ભૂમિકા, પાકિસ્તાને શું ભૂમિકા ભજવી, શહબાઝ શરીફ, બીબીસી ગુજરાતી ઇન્ટરનેશનલ ન્યૂઝ આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, માર્ચ મહિનામાં ઇસ્લામાબાદ ખાતે પાકિસ્તાન, સાઉદી અરેબિયા, યુએઈ તથા ઇજિપ્તના વિદેશ મંત્રીઓની બેઠક યોજાઈ હતી

છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી ઈરાન અને અમેરિકાની વચ્ચે પાકિસ્તાને મધ્યસ્થની ભૂમિકા ભજવી હતી અને સંદેશાનું આદાનપ્રદાન કર્યું હતું. પાકિસ્તાન અને ઈરાન વચ્ચે ઐતિહાસિક સંબંધ પ્રવર્તે છે અને તેની સરહદ ઈરાન સાથે જોડાયેલી છે. પાકિસ્તાન અવારનવાર ઈરાન સાથેના "ભાઈ જેવા" સંબંધોની વાત કરે છે.

જ્યાં સુધી અમેરિકા સાથેના સંબંધનો સવાલ છે, તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનનાં સશસ્ત્ર દળોના વડા ફિલ્ડ માર્શલ આસિમ મુનિરને "ફેવરિટ ફિલ્ડ માર્શલ" કહ્યા છે. ટ્રમ્પે કહ્યું હતું કે ફિલ્ડ માર્શલ મુનિર "મોટા ભાગના લોકો કરતાં" ઈરાનને વધુ સારી રીતે જાણે છે.

એક તબક્કે વાટાઘાટો વણસી ગઈ

એક તબક્કે વાટાઘાટો વણસી ગઈ હતી. મંગળવારે રાત્રે પાકિસ્તાનની સંસદમાં બોલતી વેળાએ પાકિસ્તાનના વિદેશમંત્રી ઇશાક ડારે કહ્યું, "ગઈકાલ (સોમવાર) સુધી એવું લાગતું હતું કે બધું સકારાત્મક દિશામાં આગળ વધી રહ્યું છે." ઇઝરાયલે સોમવારે ઈરાન ઉપર હવાઈ હુમલા કર્યા હતા અને ઈરાન દ્વારા સાઉદી અરેબિયા ઉપર હુમલા કરવામાં આવ્યા હતા.

ઇશાક ડારે કહ્યું હતું, "આમ છતાં, પાકિસ્તાન શક્ય હોય ત્યાં સુધી પરિસ્થિતિને મૅનેજ કરવા પ્રયાસ કરી રહ્યું છે." ફિલ્ડ માર્શલ મુનિરે આ ઘટનાક્રમની ટીકા કરી હતી. મંગળવારે સૈન્ય અધિકારીઓ સાથે વાત કરતાં કહ્યું કે સાઉદી અરેબિયા ઉપર હુમલાથી, "શાંતિપૂર્ણ રીતે યુદ્ધને અટકાવવાના સંનિષ્ઠ પ્રયાસોને આઘાત પહોંચે છે."

યુદ્ધ શરૂ થયું ત્યારથી પાકિસ્તાન દ્વારા ઈરાન માટે જે ભાષા વાપરવામાં આવી, તે સૌથી કઠોર હતી.

કેટલાક નિષ્ણાતોના કહેવા પ્રમાણે, આને કારણે પાકિસ્તાન ઉપર દબાણ વધ્યું હોઈ શકે છે. પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે સંરક્ષણ કરાર થયેલા છે. તાજેતરમાં વારંવાર હુમલા કરવા છતાં આ કરાર પર અમલીકરણ કરવામાં નથી આવ્યું.

'હજુ પણ પરિસ્થિતિ નાજુક'

વીડિયો જુઓ
વીડિયો કૅપ્શન, ઈરાનની વધુ એક દરિયાઇ રસ્તો બંધ કરવાની ચીમકી

પાકિસ્તાનમાં મધ્યરાત્રિ પછી વડા પ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ 'એક્સ' ઉપર લખ્યું, "મજબૂત અને શક્તિશાળી ડિપ્લોમેટિક પ્રયાસોમાં સાતત્યપૂર્ણ પ્રગતિ થઈ રહી છે, જેના નજીકના ભવિષ્યમાં નક્કર પરિણામ જોવા મળી શકે છે."

સ્થાનિક સમય મુજબ બપોરના સમયે પાકિસ્તાન ખાતે ઈરાનના રાજદૂતે એક્સ પોસ્ટમાં લખ્યું હતું કે, વાટાઘાટો "મહત્ત્વપૂર્ણ અને સંવેદનશીલ તબક્કા"માં છે. સવારે 5 વાગતા પહેલાં પાકિસ્તાનના વડા પ્રધાને જાહેરાત કરી હતી કે સીઝફાયર માટે સહમતિ સધાઈ ગઈ છે. તેમણે 10મી એપ્રિલ અને શુક્રવારના રોજ બંને પક્ષકારોને ઇસ્લામાબાદ આવવા માટે આમંત્રણ પાઠવ્યું હતું જેથી કરીને, "નક્કર કરાર વિશે વધુ વાટાઘાટો થઈ શકે."

પાકિસ્તાનના સ્ત્રોતે બીબીસીને જણાવ્યું હતું કે, "અમે હજુ પણ શંકાશીલ છીએ." સાથે જ ઉમેર્યું હતું કે, "હજુ પણ સ્થિતિ નાજુક છે." બંને પક્ષકારો વચ્ચે વિશ્વાસ નથી અને તેઓ પોતપોતાની પરિસ્થિતિને સજ્જડતાપૂર્વક વળગી રહ્યા છે. પાકિસ્તાન બંનેની બેઠક કરાવી શકે છે, પરંતુ સવાલ એ છે કે બંને પક્ષકારો કઈ વાતે સહમત થશે?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન