પ્રિયંકા ગાંધીએ કહ્યું - 'મોદી સરકારને પહેલી વખત આંચકો લાગ્યો, આ આંચકો જરૂરી હતો' – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, X/INCIndia
કૉંગ્રેસનાં સંસદસભ્ય પ્રિયંકા ગાંધીએ બંધારણીય સુધાર બિલ પસાર ન થવા સંદર્ભે શનિવારે પત્રકાર પરિષદને સંબોધી હતી. જેમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે ગઈકાલે જે કંઈ થયું, તેમાં લોકશાહીનો વિજય થયો છે.
પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે સરકારે લોકશાહીને નબળી પાડવાનો પ્રયાસ કર્યો હતો, જેને અટકાવવામાં આવ્યો હતો.
પ્રિયંકા ગાંધીએ કહ્યું, "મોદી સરકારે લોકશાહીને નબળી પાડવાનો અને સંઘીય માળખામાં ફેરફાર કરવાનું કાવતરું કર્યું, જેને અમે નિષ્ફળ બનાવી દીધું છે."
તેમણે કહ્યું, "આ બંધારણનો વિજય છે, દેશનો વિજય છે. વિરોધપક્ષોની એકતાની જીત છે. જે સત્તારુઢ પક્ષના નેતાઓના ચહેરા ઉપર સ્પષ્ટપણે જોઈ શકાય છે."
"આ વાત મહિલા આરક્ષણ સંબંધે ન હતી. આ વાત પુનઃસીમાંકન સાથે જોડાયેલી હતી. મોદી સરકારે એવી રીતે પુનઃસીમાંકન કરવું હતું કે જેમાં જાતિઆધારિત વસતિગણતરીના આંકડા જોવા ન પડે અને તેમને મનમરજી કરવાની સ્વતંત્રતા મળી જાય."
"આમા વિપક્ષ સાથ આપે તે શક્ય જ ન હતું. સમગ્ર દેશે જોયું છે કે કેવી રીતે જો વિપક્ષ એક થાય, તો મોદી સરકારને હરાવી શકાય છે."
પ્રિયંકા ગાંધીએ કહ્યું, "મોદી સરકારને પહેલી વખત આંચકો લાગ્યો છે, એટલે તેને 'બ્લૅક ડે' કહે છે. આ આંચકો લાગવો ખૂબ જ જરૂરી હતો. આજે મહિલાઓનો સંઘર્ષ ખૂબ જ વધી ગયો છે. તેઓ સરકારનું પીઆર (પબ્લિક રિલેશન્સ) અને મીડિયાબાજી જુએ છે અને સમજે છે. એટલે આ બધું નહીં ચાલે."
પ્રિયંકા ગાંધીએ કહ્યું, "કેન્દ્ર સરકારે વિચાર્યું કે બિલ પસાર થઈ જશે, તો તેમનો વિજય થયો હોત. અને જો એમ ન થયું તો અમે તમામ વિપક્ષી નેતાઓને મહિલાવિરોધી સાબિત કરીને મહિલાઓ માટે મસીહા બની જઈશું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શુક્રવારે લોકસભામાં 131મા બંધારણીય સુધાર માટેનું બિલ રજૂ થયું હતું. જેના માટે વોટિંગ થયું, પરંતુ આ બિલ લોકસભામાં પસાર થઈ શક્યું ન હતું.
ટ્રમ્પે કહ્યું, "ઈરાન સાથે કરાર ન થયા, તો બૉમ્બ નાખવા પડશે"

ઇમેજ સ્રોત, Brendan SMIALOWSKI / AFP via Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જો બુધવાર સુધીમાં ઈરાન સાથે કોઈ મોટો કરાર ન થયો, તો ઈરાન ઉપર ફરીથી બૉમ્બમારો કરવો પડશે.
ટ્રમ્પને પૂછવામાં આવ્યું હતું, "કદાચ હું આનાથી વધારે નહીં લંબાવું, પરંતુ નાકાબંધી ચાલુ રહેશે. અફસોસની વાત એ છે કે આપણે ફરીથી બૉમ્બમારો કરવો પડશે."
અમેરિકા અને ઈરાન વચ્ચે કરાર થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે, એવામાં ટ્રમ્પે આ નિવેદન કર્યું છે.
આ પહેલાં ટ્રમ્પે કહ્યું હતું, "મને થોડીવાર પહેલાં જ ખૂબ સારા સમાચાર મળ્યા છે. મધ્યપૂર્વ એશિયામાં ઈરાન સાથેની પરિસ્થિતિ સુધરી રહી હોય એમ દેખાય છે."
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના ઇસ્લામાબાદ ખાતે અમેરિકા અને ઈરાન વચ્ચે પહેલા તબક્કાની વાટાઘાટો થઈ હતી, જેમાં કોઈ પરિણામ નહોતું નીકળ્યું.
સ્મૃતિ મંધાનાએ રોહિત શર્માનો કયો રેકૉર્ડ તોડ્યો?

ઇમેજ સ્રોત, Mark Nolan/Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં ખેલાડી સ્મૃતિ મંધાનાએ શુક્રવારે દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી મૅચમાં રોહિત શર્માનો એક રેકૉર્ડ તોડી નાખ્યો છે. તેઓ હવે બાબર આઝમનો રેકૉર્ડ તોડવાની પણ નજીક પહોંચી ગયાં છે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકા સામેની ટી20 મૅચ છ વિકેટે હાર્યું હતું.
ભારતે પહેલી બૅટિંગ કરતા સાત વિકેટે 157 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમે 4 વિકેટે 19.1 ઓવરમાં 158 રન બનાવીને જીત મેળવી હતી.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ મૅચ હારી હતી પરંતુ સ્મૃતિ મંધાનાએ રોહિત શર્માનો રેકૉર્ડ તોડ્યો હતો.
આંતરરાષ્ટ્રીય પુરુષ ટી20 ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવવાનો રેકૉર્ડ બાબર આઝમના નામે છે જ્યારે બીજા ક્રમે ભારતીય ક્રિકેટર રોહિત શર્મા છે.
રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનાર ભારતીય ખેલાડી હતા. રોહિત શર્માએ 159 મૅચમાં 4231 રન બનાવ્યા છે. સ્મૃતિ મંધાનાએ 161 મૅચમાં 4244 રન બનાવીને સૌથી વધારે રન બનાવનાર ભારતીય ખેલાડી બની ગયાં છે.
આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનાર મહિલા અને પુરુષ ખેલાડીઓની વાત કરીએ તો ન્યૂઝીલૅન્ડના સુઝી બૅટ્સે 181 મૅચમાં 4717 રન બનાવ્યા છે. જ્યારે બીજા ક્રમે બાબર આઝમ છે. પાકિસ્તાનના ક્રિકેટર બાબર આઝમે 145 મૅચમાં 4596 રન બનાવ્યા છે.
ત્રીજા ક્રમે હવે સ્મૃતિ મંધાના છે તેમણે 161 મૅચમાં 30.31ની ઍવરેજ અને 124.38ના સ્ટ્રાઇક રેટથી 4244 રન બનાવ્યા છે.
ઈરાને કહ્યું ટ્રમ્પે 'એક કલાકમાં સાત દાવા કર્યા અને સાતેય ખોટા છે', ટ્રમ્પે શું કહ્યું

ઇમેજ સ્રોત, Hamed Malekpour/Iranian Parliament Communication Office/Handout via Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે મધ્ય-પૂર્વ એશિયામાં ઈરાનની પરિસ્થિતિ સુધરી રહી હોય, તેમ દેખાય છે અને તેમને ખૂબ જ સારા સમાચાર મળ્યા છે.
જ્યારે ટ્રમ્પને 'સારા સમાચાર' શું છે, તેના વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, "તમને આના વિશે ટૂંક સમયમાં માહિતી મળશે. અમે વાટાઘાટો કરી રહ્યા છીએ. મને આશા છે કે પરિસ્થિતિ સારી રહેશે. આમાંથી અનેક ચીજો નક્કી થઈ ગઈ છે અને માની લેવામાં આવી છે."
ટ્રમ્પે કહ્યું, 'સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે તમે ઈરાન પાસે પરમાણુ હથિયાર ન રહેવા દઈ શકો. તે અન્ય તમામ બાબતો કરતાં વધુ મહત્ત્વપૂર્ણ છે.'
રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું છે કે જો બુધવાર સુધી યુદ્ધને સમાપ્ત કરવાની દિશામાં કોઈ કરાર ન થયા, તો ઈરાન સાથેનો સંઘર્ષવિરામ ખતમ થઈ શકે છે. તેમણે દાવો કર્યો હતો કે ઈરાનનું સંવર્ધિત યુરેનિયમ ઈરાન લેશે.
આના વિશે પ્રતિક્રિયા આપતા ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બકાઈએ ભારપૂર્વક જણાવ્યું છે, "સંવર્ધિત પદાર્થ (યુરેનિયમ) અમેરિકા મોકલવાનો ક્યારેય વિકલ્પ જ ન હતો."
બીબીસીની પર્શિયન સેવાના જણાવ્યા પ્રમાણે, ઇસ્માઇલ બકાઈએ કહ્યું, "કરાર ન થાય, ત્યાર સુધી ઈરાન ઉપર અમેરિકાના નૌકાદળની નાકાબંધી ચાલુ રહેશે, તો તેને સંઘર્ષવિરામનો ભંગ માનવામાં આવશે અને ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ માટે ચોક્કસથી જરૂરી પગલાં લેશે."
ઈરાનની સંસ્દના અધ્યક્ષ મોહમ્મદ બગર ગાલિબાફે કહ્યું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક કલાકમાં સાત દાવા કર્યા અને સાતેય ખોટા છે.
ગાલિબાફે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર લખ્યું, "જો ઈરાનનાં બંદરો પર અમેરિકાની નાકાબંધી ચાલુ રહી, તો હોર્મુઝની સામુદ્રધુની પણ ખુલ્લી નહીં રહે."
તેમણે ઉમેર્યું, "હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લો રહેશે કે બંધ અને તેના માટે શું નિયમ રહેશે, તે ધરાતલ ઉપરની પરિસ્થિતિથી નક્કી થશે, સોશિયલ મીડિયા ઉપર નહીં. હોર્મુઝ સ્ટ્રેટમાંથી નક્કી થયેલા જળમાર્ગ પરથી પસાર થઈ શકાશે અને ઈરાનની મંજૂરી ઉપર તેનો આધાર રહેશે."
ગાલિબાફે કહ્યું જૂઠથી યુદ્ધ જીતી ન શકાય તથા વાટાઘાટો પણ કોઈ નિષ્કર્ષ સુધી ન પહોંચે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં અમેરિકાની સાથે વાટાઘાટો કરવા માટે ઈરાનનું જે પ્રતિનિધિમંડળ પહોંચ્યું હતું, તેનું નેતૃત્વ ઈરાનના સ્પીકર મોહમ્મદ બગર ગાલિબાફે કર્યું હતું.
ઈરાન-અમેરિકા વાટાઘાટો અંગે પાકિસ્તાનના વિદેશ મંત્રીએ અપડેટ આપ્યા

ઇમેજ સ્રોત, Osmancan Gurdogan/Anadolu via Getty Images
પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇસહાક ડારે સ્ટ્રેટ ઑફ હોર્મુઝના તણાવ અંગે મહત્ત્વપૂર્ણ અપડેટ આપ્યા છે.
તુર્કીમાં અંતાલિયા ડિપ્લોમેસી ફૉરમમાં બોલતી વેળાએ તેમણે કહ્યું, "અમેરિકા અને ઈરાન વચ્ચે અમુક મુદ્દે સહમતી બાકી છે. અમે આશા નથી ત્યજી અને અમે કરાર સુધી પહોંચવા માટે મહેનત કરી રહ્યા છીએ, કારણ કે તેનાથી સમગ્ર વિશ્વને લાભ થશે."
ડારને ટાંકતા બીબીસી ઉર્દૂ લખે છે, "અમે બાકી રહેલા મુદ્દા ઉપર સહમતિ સધાય તે માટે મતમતાંતરને દૂર કરવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ. લેબનોનમાં સંઘર્ષવિરામ થઈ ગયો છે અને હવે સારી વાત એ છે કે ઈરાને વિના શરતે જહાજોને માટે હોર્મુઝની સામુદ્રધુની ખોલી નાખી છે."
અમેરિકા અને ઈરાન વચ્ચે પહેલા તબક્કાની વાટાઘાટો પાકિસ્તાનના ઇસ્લામાબાદ ખાતે થઈ હતી અને ટૂંક સમયમાં આગામી વાતચીત થાય તેવી શક્યતા છે.
બીજી બાજુ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રૂથ સોશિયલ ઉપર લખ્યું, "ખૂબ જ ઝડપથી સ્ટ્રેટ ઑફ હોર્મુઝ ખુલ્લી રહ્યું છે, એ વાતે રાષ્ટ્રપતિ શી જિનપિંગ ખૂબ જ ખુશ છે."
જિનપિંગ સાથેની મુલાકાત અંગે તેમણે લખ્યું, "ચીનમાં અમારી મુલાકાત ખાસ અને કદાચ ઐતિહાસિક પણ હશે. હું રાષ્ટ્રપતિ શી સાથે મુલાકાતની રાહ જોઈ રહ્યો છું. ઘણું બધું હાંસલ કરવામાં આવશે."
ઉલ્લેખનીય છે કે અમેરિકાનું કહેવું છે કે ચીન દ્વારા ઈરાનને હથિયાર પૂરા પાડવામાં આવે છે. જ્યારે ચીને આ આરોપોને નકાર્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-પાકિસ્તાનનો ઉલ્લેખ કરીને આ વાત કહી

ઇમેજ સ્રોત, Tasos Katopodis/Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાને 'પીસમૅકર' એટલે કે 'શાંતિ પ્રસ્થાપિત કરાવનાર' તરીકે ઓળખાવ્યા છે. તેમણે ફરી એક વખત દાવો કર્યો છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે સૈન્યસંઘર્ષ થંભાવ્યો હતો.
ટ્રમ્પે કહ્યું, "મેં આઠ યુદ્ધ રોકાવ્યાં છે, પરંતુ જો આપણે ઈરાન અને લેબનોનને પણ જોડીએ તો 10 યુદ્ધ થશે અને લાખો જિંદગી બચી છે. વિચારો, આપણે કેટલી જિંદગી બચાવી છે."
ટ્રમ્પે કહ્યું, "હવે, સ્ટ્રેટ ઑફ હોર્મુઝની સ્થિતિ લગભગ સ્પષ્ટ થઈ ગઈ છે, ત્યારે મને નાટોનો ફોન આવ્યો કે શું આપણને તેમની મદદ જોઈએ છે? મેં તેમને કહ્યું કે મને તમારી મદદ બે મહિના પહેલાં જોઈતી હતી, પરંતુ હવે મને તમારી મદદ બિલકુલ નથી જોઈતી. જ્યારે અમને તમારી જરૂર હતી, ત્યારે તમે જરાય કામ નથી આવ્યા, પરંતુ વાસ્તવમાં આપણને ક્યારેય એમની જરૂર જ ન હતી. તેમને આપણી જરૂર હતી."
ટ્રમ્પે આ પહેલાં સોશિયલ મીડિયા ઉપર હોર્મુઝની સામુદ્રધુની ખોલવાની જાહેરાત પછી સોશિયલ મીડિયા ઉપર એક પછી એક પોસ્ટ મૂકીને મહત્ત્વપૂર્ણ વાતો કરી હતી.
ટ્રમ્પે હોર્મુઝની સામુદ્રધુનીને ખોલવા બદલ ઈરાનનો આભાર માન્યો અને કહ્યું કે જ્યાર સુધી ઈરાન કરાર નહીં કરે, તેની "નૌકાદળ દ્વારા નાકબંધી" ચાલુ રહેશે.
ટ્રમ્પે નાટોને 'કાગળનો વાઘ' કહીને તેની ટીકા કરી હતી. સાથે જ બહાદુરીપૂર્વક અમેરિકા સાથે રહીને લડવા બદલ સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા અને કતારનો આભાર માન્યો હતો.
ટ્રમ્પે એક પોસ્ટમાં પાકિસ્તાન અને વડા પ્રધાન શહબાઝ શરીફ તથા ફિલ્ડ માર્શલ આસિમ મુનીરનો આભાર માન્યો. સાથે જ પાકિસ્તાનના વડા પ્રધાન તથા ફિલ્ડ માર્શલને 'મહાન' અને 'શ્રેષ્ઠ' ગણાવ્યા હતા.
રાહુલ ગાંધી સામે બેવડી નાગરિકતા મુદ્દે એફઆઈઆર દાખલ કરવા આદેશ

ઇમેજ સ્રોત, ANI
અલાહાબાદ હાઇકોર્ટની લખનૌ બૅન્ચે બેવડાં નાગરિકત્વ મુદ્દે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીની સામે એફઆઈઆર (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) દાખલ કરવા આદેશ આપ્યા છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈ લખે છે, બૅન્ચે એફઆઈઆર દાખલ કર્યા પછી કોઈપણ કેન્દ્રીય એજન્સીને તપાસ સોંપવાની ઉત્તર પ્રદેશ સરકારને છૂટ આપી હતી.
એસ વિગ્નેશ શિશિર એમપી/એમએલએ કોર્ટમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામે એફઆઈઆર કરવા અરજી કરી હતી, જેને નકારી દેવામાં આવી હતી. જેને અરજદારે ઉચ્ચ અદાલતમાં પડકારી હતી.
ન્યૂઝ એજન્સી એએનઆઈ જણાવે છે કે આ કેસની તપાસ અનેક ન્યાયક્ષેત્ર હેઠળ આવતી હોવાથી તેની તપાસ કોઈ કેન્દ્રીય એજન્સી દ્વારા કરાવવામાં આવે, તેવી રજૂઆત ઉત્તર પ્રદેશ સરકારના વકીલે કરી હતી.
રાજસ્થાન રૉયલ્સના મૅનેજરને દંડ ફટકારાયો

ઇમેજ સ્રોત, Pankaj Nangia/Getty Images
રાજસ્થાન રૉયલ્સના ટીમ મૅનેજર રવિંદરસિંહ ભિંડર ઉપર બીસીસીઆઈએ (ક્રિકેટ કંટ્રૉલ બોર્ડ ઑફ ઇન્ડિયા) રૂ. એક લાખનો દંડ લાદ્યો છે. રવિંદરસિંહ ઉપર આઈપીએલના (ઇન્ડિયન પ્રીમિયર લીગ) પીએમઓએ પ્રોટોકૉલનો ભંગ કરવાનો આરોપ છે.
તા. 10મી એપ્રિલ 2026ના રોજ ગૌહાટીના એસીએ સ્ટેડિયમ ખાતે રાજસ્થાન રૉયલ્સ તથા રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લુરુ વિરુદ્ધ મૅચ રમાઈ હતી. જેમાં તેમણે ડગઆઉટમાં મોબાઇલનો ઉપયોગ કર્યો હતો.
રવિંદરસિંહ ભિંડરે પોતાની ભૂલ સ્વીકારી છે અને વિના શરતે માફી માંગી લીધી છે.
ડગઆઉટમાં મોબાઇલ ફોનનો વપરાશ કરવો એ બીસીસીઆઈ આઈપીએલ પીએમઓએ પ્રોટોકૉલના નિયમ ક્રમાંક 4.1.1ના ભંગ સમાન છે.
આઈપીએલની સત્તાવાર વેબસાઇટ ઉપર આપવામાં આવેલી વિગતો પ્રમાણે, રવિંદરસિંહ ભિંડરે પહેલી વખત નિયમભંગ કર્યો છે, એટલે બીસીસીઆઈ આઈપીએલ પીએમઓએ પ્રોટોકૉલના અનુચ્છેદ 7.42(એ) હેઠળ તેમની ઉપર રૂ. એક લાખનો દંડ કરવામાં આવ્યો છે.
આ સિવાય ભિંડરને ભવિષ્યમાં વધુ સાવધાની રાખવા તથા નિર્ધારિત નીતિ-નિયમોનું કડકાઈપૂર્વક પાલન કરવા માટે ચેતવણી પણ આપવામાં આવી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















