મહિલા અનામત મુદ્દે વડા પ્રધાન મોદીએ કહ્યું - 'આ તેમનો હક છે અને આપણે ઘણા દાયકાથી તેને રોક્યો છે'

ઇમેજ સ્રોત, sansad tv
વડા પ્રધાન નરેન્દ્ર મોદી મહિલા અનામત અને પુન: સીમાંકન અંગે ત્રણ દિવસીય વિશેષ સત્ર દરમિયાન લોકસભાને સંબોધિત કરી રહ્યા છે.
વડા પ્રધાને પુન: સીમાંકન અંગે કહ્યું, "હું આજે જવાબદારીપૂર્વક કહેવા માગું છું કે નિર્ણયપ્રક્રિયા કોઈની સાથે ભેદભાવ નહીં કરે, કોઈની સાથે અન્યાય નહીં થાય."
"પહેલાં જે સીમાંકન થયું છે, જે પ્રમાણ અગાઉથી ચાલતું આવે છે, તેમાં કોઈ ફેરફાર નહીં થાય. એ પ્રમાણે જ પુન: પરિસીમન થશે."
"જો ગૅરંટી જોઈએ, તો હું ગૅરંટી પણ આપું છું."
તેમણે મહિલા અનામત અંગે કહ્યું કે, "આપણે એવા ભ્રમમાં ન રહેવું જોઈએ કે આપણે નારિ શક્તિને કંઈક આપી રહ્યા છીએ, આ તેમનો હક છે અને ઘણા દાયકાથી આપણે તેને રોકેલો છે, આજે એ વાતનું પ્રાયશ્ચિત કરીને આપણી પાસે એ પાપમાંથી મુક્તિ મેળવવાની તક છે."
ડિલિમિટેશન અને મહિલા અનામત પર સંસદમાં ચર્ચા : 'જે લોકો આજે વિરોધ કરશે, તેમને લાંબા સમય સુધી કિંમત ચૂકવવી પડશે'

ઇમેજ સ્રોત, Rajyasabha TV
મોદી સરકારે આજે સંસદમાં ડિલિમિટેશન બિલ રજૂ કર્યું છે જેના પર ચર્ચા ચાલી રહી છે.
આ ચર્ચામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ થયા. તેમણે આ મુદ્દે સંસદમાં નિવેદન આપ્યું.
વડા પ્રધાન મોદીએ કહ્યું કે, "જ્યારે આ વિચાર 25-30 વર્ષ પહેલાં પહેલી વખત આવ્યો અને તેની જરૂર અનુભવાઈ, ત્યારે આપણે તેને અમલમાં લાવવો જોઇતો હતો અને આજે અમે તેને એક પુખ્ય સ્વરૂપમાં લાવ્યા છીએ. જરૂરિયાત અનુસાર આ સમય દર સમય બદલાતો રહ્યો છે અને આ જ લોકશાહીની સુંદરતા છે. આપણો દેશ લોકશાહીની માતા છે. આપણી લોકશાહી હજારો વર્ષોથી ચાલતી વિકાસની યાત્રા છે અને સંસદમાં આપણે બધા પાસે પવિત્ર અવસર છે કે આપણે વિકાસની આ યાત્રામાં એક નવું પાસું જોડીએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મહિલા અનામત અને ડિલિમિટેશન બિલ અંગે લોકસભામાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "જે આજે આ બિલનો વિરોધ કરશે, તેમને લાંબા સમય સુધી આની કિંમત ચૂકવવી પડશે."
તેમણે કહ્યું કે, "હવે દેશની બહેનો પર ભરોસો કરીએ, 33 ટકા મહિલાઓને અહીં આવવાનો અધિકાર આપીએ અને તેમને નિર્ણય કરવા દઈએ."
મહિલા અનામત પર તેમણે કહ્યું કે દેશની 50 ટકા વસ્તીએ નીતિ-નિર્માણમાં સામેલ થવું જોઈએ.
તેમણે કહ્યું કે, "મારે સૌને સાથે લઈને ચાલવું છે અને મને બંધારણે આ જ શીખવ્યું છે."
અગાઉ કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે લોકસભામાં ડિલિમિટેશન બિલ પર ચર્ચા દરમિયાન કહ્યું કે આ પ્રક્રિયા બાદ દરેક રાજ્યમાં લોકસભા બેઠકોની સંખ્યા 50 ટકા વધી જશે.
મેઘવાલે કહ્યું કે, "બધાં રાજ્યોમાં કુલ લોકસભા બેઠકોની સંખ્યા 815 થઈ જશે જેમાંથી 272 બેઠકો મહિલાઓ માટે અનામત હશે."

ઇમેજ સ્રોત, Getty Images
આની પહેલાં કૉંગ્રેસ સાંસદ કેસી વેણુગોપાલે આ બિલને સંસદમાં રજૂ કરવાનો વિરોધ કર્યો જેના જવાબમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે અમે વિપક્ષને આકરો જવાબ આપીશું.
આ બિલમાં લોકસભામાં બેઠકોની હાલની સંખ્યા 543થી વધારીને 850 કરવાનો પ્રસ્તાવ છે.
સાથે જ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની એક-તૃતીયાંશ બેઠકો મહિલાઓ માટે અનામત કરવાનો પણ પ્રસ્તાવ છે. જોકે મહિલા અનામતનો આ પ્રસ્તાવ 2023માં પસાર થયેલા નારીશક્તિ વંદન અધિનિયમ પર આધારિત છે જેમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી હતી, પણ તેનો અમલ ભવિષ્યમાં થનારી વસ્તી ગણતરી અને ડિલિમિટેશન સાથે જોડવામાં આવ્યો હતો.
એટલે કે પ્રસ્તાવ અનુસાર લોકસભાની બેઠકોની સંખ્યા વધાર્યા બાદ મહિલાઓ માટે બેઠકો અનામત કરવામાં આવશે.
અને આ મામલે વિપક્ષ સરકાર પર આક્ષેપ કરી રહ્યો છે, વિપક્ષના મુખ્ય બે આરોપ છે.
- સરકાર ડિલિમિટેશન પ્રક્રિયા હેઠળ ઉત્તર ભારત અને જે રાજ્યોમાં તે મજબૂત છે ત્યાં બેઠકો વધારવા માગે છે. તેની હેઠળ ઉત્તર અને દક્ષિણ ભારતીય રાજ્યોમાં બેઠકોનું અંતર બહુ વધી જશે જે ભારતીય જનતા પાર્ટીને ફાયદો કરાવશે. સાથે જ આનાથી દક્ષિણ ભારતીય રાજ્યોનું ભારતીય સંસદમાં પ્રતિનિધિત્વ નબળું પડશે.
- સરકાર મહિલા અનામતને બહાના તરીકે વાપરીને રાજનીતિક હિત સાધવા માગે છે.
જોકે ભારતીય જનતા પાર્ટીએ આ આરોપોને ફગાવ્યા છે અને કહ્યું છે કે બધાં રાજ્યોને સમાન પ્રતિનિધિત્વ મળશે અને મહિલાઓને અનામન સુનિશ્ચિત કરીને તે તેમની ભાગીદારી વધારવા માગે છે.
વિપક્ષનો સરકાર પર શું આરોપ છે

ઇમેજ સ્રોત, ANI
તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)નાં સાંસદ કાકોલી ઘોષે કહ્યું કે અમે આ બિલનો વિરોધ એટલે કરી રહ્યા છીએ કારણ કે આમાં મહિલા અનામતને ડિલિમિટેશન સાથે જોડવામાં આવી છે.
તેમણે કહ્યું કે સમાનતાનો અધિકાર જન્મથી સૌને મળ્યો છે, આ લોકતાંત્રિક અધિકાર પર નિર્ભર કરે છે અને સમાનતાનો અધિકાર કોઈ રાજનીતિક પ્રક્રિયા પર નિર્ભર ન હોવો જોઈએ.
કૉંગ્રેસ સાંસદ કે.સી.વેણુગોપાલે લોકસભામાં ચર્ચા દરમિયાન કહ્યું કે, "2023માં સંસદે એક વિધેયક પસાર કર્યો હતો જેમાં સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામત નક્કી કરાઈ હતી. તે સમયે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, સીપીપી ચેરપર્સન સોનિયા ગાંધી, અને અન્ય વિપક્ષના નેતાઓએ સરકારને સ્પષ્ટ કહ્યું હતું કે આને 2024ની ચૂંટણીમાં લાગુ કરવામાં આવે. તો પછી 2024ની ચૂંટણીમાં મહિલાઓ માટે 33 ટકા અનામત લાગુ કેમ નથી કરાઈ?"
રાહુલ ગાંધી બોલ્યા, 'આ ભાજપનો ખતરનાક ખેલ'

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઍક્સ પર લખ્યું કે, "ભાજપની ખતરનાક યોજનાઓમાંથી આ એક છે કે તે 2029ની ચૂંટણીમાં પોતાના ફાયદા માટે બધી લોકસભા બેઠકોની સીમાંકન પ્રક્રિયા પોતાના હિસાબથી કરવા માગે છે."
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે પ્રસ્તાવિત વિધેયક બધી શક્તિ ડિલિમિટેશન કમિશનને સોંપશે જે સરકાર પોતે નિયુક્ત કરશે અને તેનું નિર્દેશન કરશે.
તેમણે લખ્યું કે, "અમે જોયું છે કે ભાજપ આ કેવી રીતે કરે છે-આસામ અને જમ્મુ-કાશ્મીરમાં સીમાંકન પ્રક્રિયાને પોતાના પક્ષમાં ફેરવી. જે ક્ષેત્રો અને સમુદાયો ભાજપનું સમર્થન નથી કરતા તેમને ચૂંટણીમાં લાભ માટે વહેંચી દેવામાં આવ્યા."
રાહુલ ગાંધીએ આગળ લખ્યું છે કે, "કેટલીક બેઠકોમાં 25 લાખ મતદાતા છે, જ્યારે કેટલાકમાં માત્ર આઠ લાખ છે. કેટલીક બેઠકોમાં 12 વિધાનસભા ક્ષેત્રો છે, જ્યારે કેટલાકમાં માત્ર છ, કેટલીક બેઠકોને આ રીતે ટુકડામાં વહેંચી દેવાઈ છે કે તેઓ આપસમાં જોડાયેલી ન રહે, કેટલીક વખત નદીઓ અથવા પહાડોને પાર પણ વિભાજન કરવામાં આવ્યું છે."
તેમણે કહ્યું કે, "અમે (મોદી સરકારને) ઓબીસી, દલિત અને આદિવાસીઓનો હિસ્સો ચોરાવા નહીં દઈએ. સરકાર જાતિ વસ્તી ગણતરીના આંકડાની અવગણના કરવા માગે છે. અમે દક્ષિણ, પૂર્વોત્તર અને નાનાં રાજ્યોની સાથે અન્યાયને પણ સહન નહીં કરીએ."
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે સરકાર જે પ્રસ્તાવ લાવી રહી છે, તેનો મહિલા અનામત સાથે કોઈ સંબંધ નથી. અને આ સંશોધન સીમાંકન મારફતે સત્તા પર કબજો મજબૂત કરવાની એક કોશિશ છે.
દક્ષિણ ભારતીય રાજ્યો સાથે ભેદભાવનો આક્ષેપ

ઇમેજ સ્રોત, ANI
16થી 18 એપ્રિલ સુધી સંસદના વિશેષ સત્રમાં આ બિલ પર ચર્ચા થશે. જો આ વિધેયક પસાર થઈ જશે તો 2029ની સામાન્ય ચૂંટણીમાં મહિલા અનામતનો રસ્તો ખૂલી શકે છે.
વિપક્ષનાં દળોએ આને પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણીના કેટલાક દિવસે પહેલાં મહિલા મતદાતાઓને લુભાવવાની કોશિશ ગણાવી છે.
તમિલનાડુની 234 બેઠકો માટે 23 એપ્રિલના દિવસે વોટિંગ થશે.
એક ચૂંટણી સભામાં તમિલનાડુના મુખ્ય મંત્રી અને ડીએમકે નેતા એમકે સ્ટાલિને કહ્યું કે, "પાડોશી રાજ્યોના નેતાઓ પણ રાજનીતિ મતભેદોથી ઉપર ઊઠીને ડિલિમિટેશન વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે."
સ્ટાલિને કાળા ઝંડા ફરકાવીને ડિલિમિટેશનના નિર્ણયનો વિરોધ કર્યો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયનો વિરોધ કરવા માટે તેમણે પોતાના સમર્થકો સાથે કાળાં કપડાં પહેર્યાં હતાં.
આ દરમ્યાન તેમણે પ્રસ્તાવિત ડિલિમિટેશન વિધેયકની કૉપી સળગાવીને પોતાનો વિરોધ નોંધાવ્યો.
તેમણે કહ્યું કે, "ડિલિમિટેશન મારફતે એનડીએ તમિળો પર હુમલો કરી રહી છે. 23 એપ્રિલના મતદાનમાં અમે તેમને દેખાડી દઈશું કે અમે કોણ છીએ."
તેમણે કહ્યું કે તેમની સરકાર હંમેશાં મહિલાઓ માટે સમર્પિત સરકાર તરીકે કામ કરતી રહી છે પરંતુ કેન્દ્ર સરકાર મહિલા અનામતના બહાને રાજનીતિક હિત સાધી રહી છે.
આ વિધેયકના ઉદ્દેશ્ય વિશે કહ્યું કે ડિલિમિટેશનની પ્રક્રિયા 'તાજેતરમાં પ્રકાશિત વસ્તીગણતરી'ના આધાર પર થશે. છેલ્લી વસ્તી ગણતરી 2011માં થઈ હતી. એટલે આ વિધેયકનો આધાર 2011માં થયેલી વસ્તી ગણતરી હશે.
આ એજ બિંદુ છે જેની પર દક્ષિણનાં રાજ્યોને પોતાના પ્રતિનિધિત્વમાં કમી થવાની ચિંતા છે.
અત્યાર સુધી રાજ્યને મળતી સંસદીય બેઠકોની સંખ્યાનો આધાર કોઈ પણ રાજ્યની વસ્તી અને તેમની નિર્વાચન બેઠકોનો અનુપાત કેટલાંક રાજ્યોમાં લગભગ સમાન રહે.
એટલે સમગ્ર ભારતમાં દરેક સીટ લગભગ સમાન વસ્તીનું પ્રતિનિધિત્વ કરશે.
દાયકાઓ સુધી ભારતમાં વસ્તી વૃદ્ધિ અસમાન રહી છે, જેમાં દક્ષિણ રાજ્યોએ સારું પ્રદર્શન કર્યું છે.
અધ્યયનો અનુસાર જો હાલની પરિસ્થિતિમાં વસ્તીના અનુપાતમાં બેઠકો નક્કી કરવાનો સાચો માપદંડ લાગુ કરાય, તો દક્ષિણ રાજ્યોનું પ્રતિનિધિત્વ નબળું પડશે.
કેરળના મુખ્ય મંત્રી પિનરાઈ વિજયને ઍક્સ પર લખ્યું, "ડિલિમિટેસન બિલ, 2026નો ડ્રાફ્ટ જ હવે સાર્વજનિક રૂપથી ઉપલબ્ધ છે, જે સંકેત આપે છે કે ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર રાજ્યોની હાલની આનુપાતિક ભાગીદારી અને લોકસભામાં તેમના પ્રતિનિધિત્વને ધ્યાનમાં રાખ્યા વિના સીમાંકનની પ્રક્રિયા આગળ વધારવા માટે ઉત્સુક દેખાઈ રહી છે."
તેમણે લખ્યું, "એવી પ્રક્રિયા બહુ અન્યાયપૂર્ણ હશે કારણ કે કેરળ સહિત એ રાજ્યોને જ નુકસાન ભોગવવું પડશે જેમણે રાષ્ટ્રીય વસ્તીગણતરી નીતિ, 1976ને ઈમાનદારી અને ગંભીરતાથી લાગુ કરવા માટે પ્રયાસ કર્યા. બીજી તરફ જે રાજ્યોએ વસ્તી નિયંત્રણના ઉપાયોને લાગુ કરવામાં સુસ્તી દેખાડી, તેમને ઈનામ મળતું દેખાય છે."
કેરળમાં નવ એપ્રિલના 140 બેઠકો માટે મતદાન થયું.
કૉંગ્રેસ નેતા કપિલ સિબ્બલે કહ્યું કે, "ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધી લોકસભા બેઠકો છે અને તમિલનાડુમાં 39. ડિલિમિટેશન બાદ ઉત્તર પ્રદેશમાં 120 બેઠકો થઈ જશે, તમિલનાડુમાં 59. એટલે પહેલાં બંને પ્રદેશો વચ્ચે બેઠકોનું અંતર 41 હતું અને હવે તે 61 થઈ જશે. જો દરેક પ્રદેશમાં આ આંકડો રાખશો તો ઉત્તર ભારતમાં બેઠકોની સંખ્યા ઘણી વધી જશે. તેમને રાજનીતિક ફાયદો થશે."
સરકાર અને ભાજપનો પક્ષ

ઇમેજ સ્રોત, Getty Images
ત્યારે કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ કહ્યું કે ડિલિમિટેશન બિલને લઈને તમિલનાડુ અને વિપક્ષના આરોપ યોગ્ય નથી.
તેમણે સમાચાર એજન્સી એએનઆઈએ કહ્યું, "તમિલનાડુની બેઠકો તો વધવાની છે. દક્ષિણ ભારત સાથે બિલ્કુલ અન્યાય નહીં થાય. જો સ્ટાલિનની કેટલીક ચિંતાઓ છે તો તે વડા પ્રધાનને પત્ર લખી શકે છે અને તેમની પાર્ટીના સાંસદ સંસદમાં પોતાની વાત રજૂ કરી શકે છે. પોતાનાં સૂચનો આપી શકે છે."
ભાજપના પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ કૉંગ્રેસ નેતા સોનિયા ગાંધીના એક આરોપ પર કે સરકાર બિલને લઈને ઉતાવળમાં છે, કહ્યું કે, "અમે જલ્દીમાં છીએ કારણ કે મહિલાઓ 30 વર્ષથી રાહ જઈ રહી છે.. શું તમને ઉતાવળ નથી, સોનિયાજી? તમારી પાસે મોકો હતો 2010માં રાજ્યસભામાં બિલ પાસ થયા બાદ તેને આરજેડીને સાધવા માટે લોકસભામાં ન લવાયું."
"હવે 16થી 18 એપ્રિલ વચ્ચે સંસદના વિશેષ સત્ર મારફતે મહિલાઓને તેમનો અધિકાર મળવા જઈ રહ્યો છે. 30 વર્ષ બાદ આ લાગુ થવા જઈ રહ્યું છે અને અમે ઇચ્છીએ છીએ કે 2029ની લોકસભાથી લાગુ થઈ જાય, એટલે મહિલાઓના સશક્તિકરણ અને સમાવેશનો અધિકાર મળી શકે."
ત્યારે તેલંગાના ભાજપના નેતા પ્રકાશ રેડ્ડીએ કહ્યું કે, "ઇન્ડિયા ગઠબંધને આખરે કહ્યું કે તે મહિલા અનામત બિલનું સમર્થન કરશે, પણ ડિલિમિટેશન બિલનું સમર્થન નહીં કરે."
"ડિલિમિટેશન બિલનો વિરોધ કરવાનો કોઈ મતલબ નથી. તમે પણ તમારાં હિત અને રાજનીતિક ફાયદા અનુસાર સીમાંકન કર્યું હતું. લોકો તમારી દરેક ગતિવિધિ પર નજર રાખી રહ્યા છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















