પાકિસ્તાન વિદેશ મંત્રી બોલ્યા, ઈરાન અને અમેરિકા વચ્ચે સાર્થક વાતચીતની આશા – ન્યૂઝ અપડેટ

વાંચવાનો સમય: 5 મિનિટ

પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન તથા વિદેશ મંત્રી મોહમ્મદ ઇસહાક ડારે રાજધાની ઇસ્લામાબાદમાં અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ જેડી વેન્સનું સ્વાગત કર્યું.

આ દરમિયાન તેમણે ક્ષેત્ર અને વિશ્વમાં સ્થાયી શાંતિ હાંસલ કરવા માટે અમેરિકાની પ્રતિબદ્ધતાના વખાણ કર્યા.

પાકિસ્તાની વિદેશ મંત્રાલય તરફથી જારી નિવેદનમાં ડારના હવાલે કહેવાયું છે કે તેમને આશા છે કે 'ઈરાન અને અમેરિકા સાર્થક વાતચીત' કરશે.

તેમણે કહ્યું કે પાકિસ્તાન મધ્ય-પૂર્વના સંઘર્ષનું સ્થાયી અને ટકાઉ સમાધાન લાવવા માટે બંને પક્ષો વચ્ચે સહયોગ યથાવત્ રાખવા માગે છે.

છેલ્લાં 21 વર્ષ બાદ કોઈ અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ પાકિસ્તાનનો પ્રવાસ કરી રહ્યા છે. આ પહેલાં તત્કાલીન અમેરિકન ઉપ રાષ્ટ્રપતિ ડિક ચેનીએ 2005માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો.

ઇસ્લામાબાદમાં થનારી વાતચીત માટે જેડી વેન્સ સાથે અમેરિકાના રાષ્ટ્રપતિના વિશેષ દૂત સ્ટીવ વિટકૉફ તથા રાષ્ટ્રપતિના જમાઈ જૅરેડ કુશ્નર પણ આવ્યા છે.

ઈરાનની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બગર ગાલિબાફના નેતૃત્વમાં એક ઈરાની પ્રતિનિધિમંડળ પહેલાં જ ઇસ્લામાબાદ પહોંચી ચૂક્યું છે.

ઈરાન સાથે વાતચીત કરવા અમેરિકાનું પ્રતિનિધિમંડળ ઇસ્લામાબાદ પહોંચ્યું

ઈરાન સાથે વાતચીત કરવા માટે અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ જેડી વેન્સના નેતૃત્વમાં અમેરિકાનું પ્રતિનિધિમંડળ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ પહોંચી ગયું છે.

બીબીસી ઉર્દૂ સંવાદદાતા ઉમર દરાઝ નાંગિયાનાને પાકિસ્તાનના સૂત્રોએ જણાવ્યું છે કે જેડી વેન્સનું 'ઍરફોર્સ ટૂ' વિમાન ઇસ્લામાબાદમાં ઉતરી ચૂક્યું છે.

છેલ્લાં 21 વર્ષ બાદ કોઈ અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ પાકિસ્તાનનો પ્રવાસ કરી રહ્યા છે. આ પહેલાં તત્કાલીન અમેરિકન ઉપ રાષ્ટ્રપતિ ડિક ચેનીએ 2005માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો.

ઇસ્લામાબાદમાં થનારી વાતચીત માટે જેડી વેન્સ સાથે અમેરિકાના રાષ્ટ્રપતિના વિશેષ દૂત સ્ટીવ વિટકૉફ તથા રાષ્ટ્રપતિના જમાઈ જૅરેડ કુશ્નર પણ આવ્યા છે.

ઈરાનની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બગર ગાલિબાફના નેતૃત્વમાં એક ઈરાની પ્રતિનિધિમંડળ પહેલાં જ ઇસ્લામાબાદ પહોંચી ચૂક્યું છે.

ઈરાને ઇસ્લામાબાદમાં વાતચીત પહેલાં શું કહ્યું?

અમેરિકા સાથેની વાતચીત માટે ઈરાની પ્રતિનિધિમંડળ ઇસ્લામાબાદ પહોંચી ચૂક્યું છે. આ ટીમનું નેતૃત્વ કરી રહેલા ઈરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બગર ગાલિબાફે કહ્યું છે કે "તેમને અમેરિકા પર ભરોસો નથી."

બીબીસી ઉર્દૂ પ્રમાણે, ઇસ્લામાબાદ પહોંચ્યા બાદ ઈરાનના પ્રતિનિધિમંડળની સાથે આવેલા ઈરાની પત્રકારો સાથે વાતચીત કરતાં ગાલિબાફે કહ્યું, "એક વર્ષથી પણ ઓછા સમયમાં બે વખત વાતચીત તથા અમારા નેક ઇરાદાઓ છતાં, અમારા પર હુમલો કરવામાં આવ્યો અને ઘણા યુદ્ધ અપરાધો કરવામાં આવ્યા."

તેમણે કહ્યું, "અમારી મનસા સારી છે, પરંતુ અમને અમેરિકા પર ભરોસો નથી."

ઈરાની રિવૉલ્યૂશનરી ગાર્ડ કૉર (આઈઆરજીસી) સાથે જોડાયેલી ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી 'તસ્નીમ'ના જણાવ્યા પ્રમાણે, "ગાલિબાફે કહ્યું કે જો અમેરિકા એક સાચી સમજૂતી માટે તૈયાર છે અને ઈરાની લોકોના વૈધ અધિકારોને માન્યતા આપે છે, તો ઈરાન પણ સમજૂતી માટે તત્પરતા દેખાડશે."

જોકે, તેમણે ચેતવણી આપી કે "જો અમેરિકા આ વાતચીતનો ઉપયોગ માત્ર શક્તિપ્રદર્શન કે વચનભંગની રણનીતિ તરીકે કરવા માગે છે, તો ઈરાન પોતાના લોકોના અધિકારોના સંરક્ષણ માટે પોતાની ક્ષમતાઓ પર ભરોસો કરવા તૈયાર છે."

ગાલિબાફે ઈરાન પર હાલમાં થયેલા હુમલા દરમિયાન તેમના દેશ તરફથી કરવામાં આવેલી સંરક્ષણ તથા જવાબી કાર્યવાહીનો ઉલ્લેખ પણ કર્યો.

તેમણે કહ્યું, "આ એ વાતનો પુરાવો છે કે ઈરાન પોતાનાં રાષ્ટ્રીય હિતોનું સંરક્ષણ કરવા તથા પોતાની સંપ્રભુતાને બનાવી રાખવા પૂર્ણ અને દૃઢપણે સંકલ્પિત અને તૈયાર છે."

ઈરાનનું પ્રતિનિધિમંડળ વાટાઘાટો માટે પાકિસ્તાન પહોંચ્યું, વિમાનનું નામ 'મિનાબ 168' કેમ રાખ્યું?

અમેરિકા સાથે વાટાઘાટો કરવા માટે ઈરાનનું પ્રતિનિધિમંડળ ઇસ્લામાબાદ પહોંચ્યું છે.

બીબીસી ઉર્દૂના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે ઈરાનનું પ્રતિનિધિમંડળ ઇસ્લામાબાદ પહોંચી ગયું છે.

સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે, આ પ્રતિનિધિમંડળ નૂર ખાન હવાઈમથકે પહોંચ્યું હતું, જ્યાં તેમનું સ્વાગત કરવા માટે પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ જનરલ આસિમ મુનિર પહોંચ્યા હતા.

તેમની સાથે પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન તથા વિદેશ મંત્રી ઇસહાક ડાર, નૅશનલ ઍસેમ્બલીના અધ્યક્ષ સરદાર અયાઝ સાદિક તથા ગૃહ મંત્રી મોહસિન રઝા નકવી પણ હાજર હતા.

ઈરાનના સરકારી ટીવીની ટેલિગ્રામ ચૅનલ ઉપર આપવામાં આવેલી માહિતી પ્રમાણે, આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બગર ગાલિબાફ કરી રહ્યા છે.

રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી, રક્ષા પરિષદના સચિવ અલી અકબર અહમદિયાન, સૅન્ટ્રલ બૅન્કના ગવર્નર અબ્દુલનાસિર હેમ્મતી તથા ઈરાનની સંસદના અનેક સભ્યો પણ સામેલ છે.

બીજી બાજુ, અમેરિકાના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વૅન્સ કરી રહ્યા છે. તેઓ આ વાટાઘાટોમાં સામેલ થવા માટે અમેરિકાથી નીકળી ગયા હોવાના અહેવાલ છે.

ઈરાનના પ્રતિનિધિઓ જે વિમાનમાં ઇસ્લામાબાદ પહોંચ્યા, તેનું નામ 'મિનાબ 168' રાખવામાં આવ્યું હતું.

અમેરિકા દ્વારા ઈરાન ઉપર કરવામાં આવેલા હવાઈહુમલામાં મિનાબ શહેરમાં એક શાળા ઉપર થયેલા હુમલામાં 168 લોકો મૃત્યુ પામ્યાં હતાં, જેમાંથી મોટાભાગે બાળકીઓ હતી. તેમની સ્મૃતિમાં આ નામ રાખવામાં આવ્યું હતું.

એ સમયે ઈરાનના અધિકારીઓએ જણાવ્યું હતું કે તા. 28 ફેબ્રુઆરીના હુમલામાં મિનાબ શહેરની પ્રાથમિક શાળા ઉપર હુમલો થયો હતો, જેમાં બાળકીઓ મૃત્યુ પામી હતી.

ટ્રમ્પે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ વિશે આ વાત કહી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે અમેરિકા-ઈરાન વચ્ચેની વાટાઘાટો ઇસ્લામાબાદ ખાતેની બેઠકમાં જ એકસાથે જ પૂરી થઈ જશે કે આગામી અઠવાડિયાંમાં પણ ચાલુ રહેશે, તેના વિશે ટ્રમ્પે કહ્યું હતું કે તેમને કોઈ માહિતી નથી.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમની પાસે કોઈ બૅક-અપ પ્લાન છે, ત્યારે તેમણે કહ્યું, "બૅક-અપ પ્લાનની જરૂર નથી."

વર્જિનિયાથી શાર્લોટ્સવિલે જવા માટે વિમાનમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે ઉપરાષ્ટ્રપતિ જેડી વૅન્સ વાટાઘાટો માટે ઇસ્લામાબાદ જવા રવાના થયા, ત્યારે તેમને શું કહ્યું? જવાબમાં ટ્રમ્પે કહ્યું, "મેં તેમને શુભેચ્છાઓ પાઠવી."

અન્ય એક પત્રકારોએ પૂછ્યું હતું કે ઈરાન સાથેનો સારો કરાર કેવો હશે? જેના જવાબમાં ટ્રમ્પે કહ્યું, "તેમની પાસે કોઈ પરમાણુ હથિયાર નથી." અને કહ્યું કે તેમને લાગે છે કે પહેલાંથી જ સત્તાપરિવર્તન થઈ ગયું છે.

ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાનના સહકારથી કે સહયોગ વગર હોર્મુઝની સામુદ્રધુની ખુલશે, સાથે જ ઉમેર્યું હતું કે અમેરિકાને તેની જરૂર નથી.

ટ્રમ્પે કહ્યું હતું, "અમે તેને ખૂબ જ વહેલી તકે ખોલાવી દઈશું."

ટ્રમ્પને પૂછવામાં આવ્યું હતું કે ઈરાન દ્વારા હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થનારાં જહાજો ઉપર વેરો નાખવામાં આવશે એવા અહેવાલ છે. તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું, "અમે એવું નહીં થવા દઈએ."

જી-મેલ વપરાશકર્તાઓ માટે મહત્ત્વપૂર્ણ અપડેટ્સ

જીમેલના વપરાશકર્તાઓ તેમનું યૂઝરનૅમ બદલાવી શકશે. જેથી કરીને વર્ષો પહેલાં જી-મેલનું એકાઉન્ટ બનાવતી વખતે અટપટા કે રમૂજી નામ લેનારા લોકોને રાહત મળશે.

ગૂગલના સીઈઓ (ચીફ ઍક્ઝિક્યુટિવ ઑફિસર) સુંદર પિચાઈને ટાંકતા ન્યૂઝ એજન્સી એએનઆઈએ આ અહેવાલ આપ્યો છે.

પિચાઈએ જણાવ્યું હતું કે વપરાશકર્તા ગૂગલ સેટિંગ્સમાં જઈને ઉપલબ્ધ નામમાંથી પસંદગી કરી શકે છે. વ્યક્તિ જૂનું યૂઝરનેમ પણ રાખી શકે છે અને બંને નામો સાથે લૉગ-ઇન કરી શકે છે.

નવું નામ લેવા છતાં પણ તમારું જૂનું નામ ચાલુ રહેશે અને તેના ઉપર આવનારા ઈમેલ તમને ઇનબૉક્સમાં ડિલિવર થતાં રહેશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન