સતત થાક લાગે છે? આઠ બાબતો જે મહિલાઓમાં સૌથી વધુ તણાવનું કારણ બને છે

    • લેેખક, મેલિસા હોગેનબૂમ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • વાંચવાનો સમય: 7 મિનિટ

સમાજશાસ્ત્રી લી રૂપનરે બીબીસીના વરિષ્ઠ સ્વાસ્થ્ય સંવાદદાતા મેલિસા હોગેનબૂમ સાથે વાત કરી હતી, જેમાં તેઓએ મહિલાઓ હજુ પણ ઘરની જવાબદારીઓ વિશે કેમ વધારે વિચારે છે, જેવા જુદા જુદા દૃષ્ટિકોણો વિશે વાત કરી હતી અને તે વધારે તણાવને કારણે લાગતાં થાકને ઘટાડવામાં તે કેવી રીતે મદદરૂપ સાબિત થઈ શકે, તે અંગે વાત કરી હતી.

આજની આ ભાગદોડ ભરેલી દુનિયામાં ઘણી મહિલાઓ પર કેટલીક અદૃશ્ય જવાબદારીઓનો બોજ રહેલો હોય છે. આનાથી તેમના માનસિક તણાવમાં વધારો થાય છે.

ઘર અને કૌટુંબિક જવાબદારીઓ, બાળકોનો ઉછેર, પૌષ્ટિક ભોજન તૈયાર કરવું અને આખા પરિવારને ખુશ રાખવા માટે સતત વિચારવું તે તેમના માનસિક કાર્યભારમાં વધારો કરે છે.

લી રૂપનર ઑસ્ટ્રેલિયામાં સમાજશાસ્ત્રનાં પ્રોફેસર છે. તેમણે ડ્રેઇન્ડ નામનું એક પુસ્તક લખ્યું છે. તેઓ કહે છે, ભાવનાત્મક તણાવનું માત્ર એક જ સ્વરૂપમાં નથી, પરંતુ કુલ આઠ પ્રકારના ભાવનાત્મક તણાવનો સ્ત્રીઓ અનુભવ કરતી હોય છે. આમાંથી કેટલાકનો તો કોઈ અંત નથી.

આજકાલ, પુરુષો ઘરમાં સ્ત્રીઓને ઘણી મદદ કરે છે. જોકે, સ્ત્રીઓ હજુ પણ ઘણું અદૃશ્ય કામનું ભારણ લઈને જીવતી હોય છે. આનાથી મહિલાઓ ઘણી વખત થાકેલી અને ભાવનાત્મક નબળાઈનો સામનો કરતી હોય છે. જોકે હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. જ્યારે કોઈ દંપતી આ ભાવનાત્મક કામનું ભારણ વહેંચે છે, ત્યારે તેમનું કામ, સ્વાસ્થ્ય અને સંબંધો સુધરે છે.

આ વાતચીત દરમિયાન, તેમણે સમજાવ્યું કે કેવી રીતે 'સમાજ મહિલાઓ પર મનોવૈજ્ઞાનિક તણાવમાં વધારો કરે છે.'

માનસિક બોજને તમે કેવી રીતે વ્યાખ્યાયિત કરો છો?

માનસિક બોજ એક ભાવનાત્મક વિચાર છે. આ કારણે તે એક થકવી નાખનારો અનુભવ સાબિત થતો હોય છે. ક્યારેક તે તમને ખુશ કરે છે, પરંતુ મોટા ભાગે તે તમને ચિંતિત કરતો હોય છે. તે ક્યારેય અટકતો નથી. જ્યારે આપણે કયાંય પણ બહાર ફરવા જઈએ તો બિનજરૂરી સામાન કે કપડાં નથી લઈ જતાં, પણ આપણે માનસિક બોજને દરેક જગ્યાએ સાથે લઈ જઈએ છીએ.

લી રૂપનરે કહ્યું, મહિલાઓ કહે છે, માનસિક તણાવ નારી આંખે નથી દેખાતો, તેની કોઈ સ્પષ્ટ મર્યાદા કે સીમાઓ નથી હોતાં. તે લાંબા સમય સુધી સાથે રહે છે. તેને સ્પષ્ટ રીતે સમજવાની જરૂર છે. તો જ આપણે આ ભાર ઘટાડી શકીશું. એટલા માટે મેં આઠ બાબતો બનાવી છે.

1. જીવનમાં આયોજન

માનસિક તણાવને સમજવાની આ કદાચ સૌથી પરંપરાગત રીત છે, જેનો સીધો અર્થ એ છે કે આયોજન કાર્યો પર નજર રાખવી, ઘર સરળતાથી ચાલે તે માટે જરૂરી બધાં અદૃશ્ય કાર્ય.

2. ભાવનાત્મક ટેકો

આ સમય દરમિયાન તમે ભાવનાત્મક ચિંતન કરતી વખતે તમારા પરિવાર, મિત્રો કે સહકર્મીઓના હાલચાલ પૂછો છો. આમાં બીજાના મૂડને સમજવા અને નાની અને મોટી ક્ષણોમાં ભાવનાત્મક ટેકો પૂરો પાડવાનો સમાવેશ થાય છે.

3. સંબંધોમાં સાનુકૂળતા

તમારાં બાળકો, મિત્રો, જીવનસાથી અને વિસ્તૃત પરિવાર સાથે મજબૂત સામાજિક સંબંધો જાળવી રાખવા. કામના સ્થળે તમે આને નેટવર્કિંગ કહી શકો છો, પરંતુ તે મૂળભૂત રીતે ખાતરી કરે છે કે દરેક વ્યક્તિ તમારી સાથે જોડાયેલ અને પ્રેમભર્યા અનુભવે છે.

4. ભાવનાત્મક વિચાર

પરંપરા ચાલુ રાખવી, જીવનમાં ખાસ અનુભવોનું સર્જન કરવું અને ભાવનાત્મક વિચારો કેળવવા.

તહેવારો દરમિયાન ઉદ્ભવાતી વિશેષ ભાવનાઓ વિશે વિચારો અને સમગ્ર ઉજવણી થાય તે સુનિશ્ચિત કરવા માટે કોણ જવાબદાર છે.

5. સ્વપ્નનું નિર્માણ

તેની ખાતરી કરવી કે આપણી આસપાસના દરેકને તેમની રુચિઓ અને મહત્ત્વાકાંક્ષાઓને અનુસરવા માટે યોગ્ય તકો મળે.

આમાં બાળકોને તેમના મનપસંદ શોખને અનુસરવાની પ્રેરિત કરવા કે તમારા જીવનસાથીને ગોલ્ફ રમવાની પ્રેરણા આપવી કે તેમની કારકિર્દી માટે સમય ફાળવવાની તક તે માટે પ્રયત્નશીલ રહેવું જેવી બાબતો સામેલ છે.

6. વ્યક્તિગત આયોજન

આને સ્વ-સંભાળ કરતાં પણ વધુ ગણો. આ ભાર તે બાબતે છે જેમાં તમે શ્રેષ્ઠ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે પૂરતા ફિટ અને સ્વસ્થ રહી રહ્યા છો કે નહીં.

તેમજ તમારું ઉદાહરણ અન્ય લોકો સમક્ષ રજૂ કરવા જેવું છે કે નહીં.

7. સુરક્ષા

આમાં તમારા પ્રિયજનો અને સમાજ વાસ્તવિક અને કાલ્પનિક બંને રીતે સુરક્ષિત છે કે કેમ તે વિશે વિચારવાનો સમાવેશ થાય છે. એ સમજવું પણ મહત્ત્વપૂર્ણ છે કે કેટલાંક માતાપિતા સલામતી સંબંધિત વધુ માનસિક બોજ લઈને ફરે છે. ઉદાહરણ તરીકે, અશ્વેત લોકો કે વિકલાંગ સમુદાયના લોકો પોતાની અને પોતાના પરિવારની સલામતી વિશે સતત ચિંતામાં હોઈ શકે છે.

8. મેટા કેર

આ થોડો ઊંડો મુદ્દો છે, પણ તે એ વિચાર સાથે સંબંધિત છે કે શું આપણે આપણી ઇચ્છાનુસાર, વિશ્વનું નિર્માણ કરવા માટે કામ કરી રહ્યા છીએ, અથવા આપણે જે કરીએ છીએ તેમાં ફેરફાર કરવાની જરૂર છે.

આ ક્ષેત્રોમાં આપણી જવાબદારીઓને ઓળખવા અને આપણું જીવન આપણાં મૂલ્યો અનુસાર ચાલી રહ્યું છે કે નહીં તે નક્કી કરવા માટે ઉચ્ચ સ્તરની વિચારસરણીની આવશ્યકતા છે.

જેમાં બાળકોને એ રીતે ઉછેરવા જોઈએ જે રીતે તેમનો ઉછેર થવો જોઈએ જેવી બાબતોનો સમાવેશ થાય છે.

અભ્યાસમાં આ શા માટે મહત્ત્વપૂર્ણ છે?

મેં માનસિક સ્વાસ્થ્ય વિશે વાંચવાનું શરૂ કર્યું. મને સમજાયું કે કંઈક એવું હતું, જેના પર આપણે ધ્યાન આપી રહ્યા ન હતા. તેથી મેં ઘણાં વર્ષો સુધી લિંગ, કામ, કુટુંબ, ઘરકામ અને ઘર વ્યવસ્થાપનનો અભ્યાસ કર્યો. એવું લાગતું હતું કે પુરુષો ઘરકામમાં સામેલ થઈ રહ્યા છે અને થોડી પ્રગતિ થઈ છે.

પણ આખી વાત એટલી સરળ નથી. કંઈક એવું છે, જેને આપણે ઓળખી રહ્યા નથી, કંઈક એવું છે, જેને આપણે ધ્યાનમાં લઈ રહ્યા નથી. મેં નક્કી કર્યું કે તે ખરેખર શું છે તે બધાને સ્પષ્ટ કરી દઉં.

મહિલાઓ ખૂબ થાકી ગઈ છે...

મેં માનસિક તણાવ માપવા માટે એક સ્કેલ બનાવ્યો. મેં સ્ત્રીઓને કેટલાક પ્રશ્નો પૂછ્યા.

શું તમારી પાસે કટોકટીનો સામનો કરવા માટે પૂરતી શક્તિ છે? શું તમે આખો દિવસ માનસિક કાર્ય કરવાથી આખરે થાકી ગયા છો? શું તમે તમારી જવાબદારીઓથી દબાયેલા અનુભવો છો?

પરિણામોમાં એક વાત સ્પષ્ટ હતી. તેમનામાં પૂરતી ઊર્જા હતી. તેઓ બિલકુલ નબળાઈ અનુભવતા નહોતા, પરંતુ મેં જે માતાઓ સાથે વાત કરી હતી તે દરેકે કહ્યું કે તેમની પાસે પૂરતી ઊર્જા નહોતી. સ્ત્રીઓમાં કોઈ પણ કટોકટીનો સામનો કરવાની અને તેની જવાબદારી લેવાની માનસિક શક્તિ હતી.

તે જ સમયે, મેં તેમને એક પ્રશ્ન પૂછ્યો: શું તમારી પાસે એટલી શક્તિ છે કે તમે તમારી સામે આવતી સારી તકનો લાભ લઈ શકો?

તેમણે જવાબ આપ્યો કે તેમની પાસે તે નથી.

આ માનસિક તણાવ કેવી રીતે ઘટાડી શકાય?

જેઓ હમણાં જ જીવનમાં શરૂઆત કરી રહ્યાં છે તેમણે યાદ રાખવું જોઈએ કે આપણી લાગણીઓ અનુભવવી ખૂબ જ મૂલ્યવાન છે. વધુમાં, આપણે દરેકની લાગણીઓ માટે જવાબદાર નથી. અને ન તો સંપૂર્ણ કુટુંબ બનાવવાની આપણી જવાબદારી છે.

આ ખ્યાલ સ્પષ્ટ રીતે સમજવો જોઈએ. બાળપણથી જ સમાજે ઘણી સ્ત્રીઓને દયાળુ, નમ્ર, સાવચેત અને શાલિન બનવા, પોતાની જરૂરિયાતોને બાજુ પર રાખીને બીજાઓ વિશે વિચારવા અને આપવાનું શીખવ્યું છે. આપણે એવું વર્તન કરવાનું બંધ કરવાની જરૂર છે કે જાણે પુરુષોની લાગણીઓનું રક્ષણ કરવાની જવાબદારી સ્ત્રીઓની હોય.

આપણે સ્ત્રીઓને એવું કહેવાનું પણ બંધ કરવાની જરૂર છે કે તેમણે પોતાના ભોગે દરેકની લાગણીઓની જવાબદારી લેવી પડશે.

મહિલાઓને સશક્તીકરણ આપવું એ ફક્ત તેમના વિશે નથી, તે દરેક વિશે છે.

આપણે એ ઓળખવાની જરૂર છે કે આપણે ક્યારે જરૂર કરતાં વધુ ભાવનાત્મક બોજ સહન કરી રહ્યા છીએ. આપણે ક્યારે ભાવનાત્મક ટેકો પૂરો પાડવા માટે હાજર રહેવું જોઈએ અને ક્યારે નહીં તે અંગે સ્પષ્ટ રહેવું જોઈએ.

આપણે કેવી રીતે વર્તવું તે અંગે થોડા વધુ વ્યૂહાત્મક બનવાની જરૂર છે, ફક્ત આદતથી કે સમાજ આપણને કહે તેમ ન વર્તવું જોઈએ. ઉદાહરણ તરીકે, હું હંમેશાં મારી દીકરીને કહું છું, "શું તમે તમારી ઊર્જા વધારવા માગો છો? અથવા તમે તમારી લાગણીઓ વધારવા માગો છો? પણ હું તેને નક્કી કરવાનું કહું છું કે તે ખરેખર જરૂરી છે કે નહીં? શું તે ફાયદારૂપ છે?"

સંશોધનમાંથી તમારે શું શીખવું જોઈએ?

સૌપ્રથમ, તમારે દુઃખી થવાનું અને દરેક વસ્તુની જવાબદારી લેવાનું બંધ કરવું પડશે. મેં એક નાનો પ્રાયોગિક અભ્યાસ કર્યો. તેમાં મેં સ્ત્રીઓને તેમના માનસિક બોજને ઓછો કરવા માટે પૈસા આપ્યા. તેમાંથી ઘણાને તે પૈસા પોતાના પર ખર્ચવામાં મુશ્કેલી પડી.

તેમને લાગ્યું કે તેમણે તે પૈસા પરિવાર પર ખર્ચવા જોઈએ, જેથી પરિવારના દરેક વ્યક્તિનું જીવન સારું રહે. તેમને લાગ્યું કે તેમના ખુદના માટે પૈસા ખર્ચવાનો તેમનો વિચાર ખોટો છે.

એકંદરે, આપણા સમાજે સ્ત્રીઓને પ્રાથમિકતા યાદીમાં સૌથી નીચે રાખી છે. ખાસ કરીને માતા બન્યાં પછી તેઓ એવું અનુભવે છે કે તેઓ પોતાના પર જે પણ ખર્ચ કરે છે કે ધ્યાન આપે છે તે તેમના બાળકો માટે નુકસાનકારક છે. જુઓ કે સમાજે આપણને કેટલાં અર્થહીન જૂઠાણાં આપ્યાં છે.

થોડા સમય માટે તે પૈસા ખર્ચ્યા પછી તેમનો માનસિક બોજ ઓછો થયો. શું તેનાથી તેમની બધી સમસ્યાઓ હલ થઈ ગઈ? જરૂરી નથી, પરંતુ તેનાથી તેમનો બોજ થોડો ઓછો થયો. સૌથી અગત્યનું, તેમની માનસિકતા બદલાઈ ગઈ. આ વાત તેમને સમજાઈ. તેમને સમજાયું કે પોતાને પ્રાથમિકતા આપવી કેટલી મહત્ત્વપૂર્ણ છે.

મેં એક મહિલાને પૈસા આપ્યા હતા તેનું નામ કેટરિના હતું. તેણે આ પૈસા અઠવાડિયાના અંતે કરેલી ટ્રીપ પાછળ ખર્ચ્યા. તેણે કહ્યું કે તેણે અન્ય ખર્ચાઓ વિશે વિચાર્યા વિના પોતાના પર પૈસા ખર્ચ્યા. જ્યારે તે ઘરે પાછી આવી ત્યારે તેના જીવનસાથીએ ઘર સાફ કરી દીધું હતું. ફ્રીઝમાં જરૂરી વસ્તુઓનો સ્ટોક હતો. કપડાં ગોઠવેલાં હતાં.

જો આપણે આપણી માનસિક ઊર્જાનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યા છીએ તે બાબતે સ્પષ્ટ થઈ જઈએ, તો આપણે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકીશું. ક્યારેક આપણે બીજાઓની મદદ લેવાની જરૂર પડે છે. ક્યારેક આપણને સ્વ-સંભાળની જરૂર પડે છે.

સંશોધન દર્શાવે છે કે સ્ત્રીઓ જેટલી વધુ શિક્ષિત અને સશક્ત હશે, તેમની પાસે નોકરીની તકો એટલી જ વધુ હશે. ઘરકામમાં તેમનો હિસ્સો સમાન હશે. પુરુષો સાથે તેમના સંબંધો વધુ સારા બનશે.

તેથી મહિલાઓનું સશક્તીકરણ ફક્ત તેમના માટે જ નથી, પરંતુ તે સમગ્ર પરિવારને લાભ આપે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમ પ્રકાશન