ઈરાની હુમલામાં એક ભારતીય ખલાસીનું મોત, ભારતીય દૂતાવાસે શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, AFPTV / AFP via Getty Images
સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)નાં બે ઑઇલ ટૅન્કરો પર મંગળવારે ઈરાને મિસાઇલથી હુમલો કર્યો હતો, જેમાં એક ભીરતીય ક્રૂ મેમ્બરનું મોત થઈ ગયું હતું. આ હુમલામાં છ ભારતીયો સહિત આઠ લોકો ઘાયલ થયા છે.
યુએઈમાં આવેલા ભારતીય દૂતાવાસે એક નિવેદન જાહેર કરીને ભારતીય ક્રૂ મેમ્બરના મોત પર શોક વ્યક્ત કર્યો.
દૂતાવાસે લખ્યું, "બે જહાજો પર થયેલા હુમલામાં એક ભારતીય નાવિકના દુ:ખદ મોત પર ઘેરો શોક વ્યક્ત કરીએ છીએ. અમે હાલત પર સતત નજર રાખી રહ્યા છીએ ને ઘાયલો અને તેમના પરિવારોને તમામ સંભવ મદદ આપવા માટે સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છીએ."
યુએઈના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, તેનાં ટૅન્કર મોમ્બાસા અને અલ બહિયાને ઈરાનથી છોડવામાં આવેલી બે ક્રૂઝ મિસાઇલોએ નિશાન બનાવ્યાં, હુમલો હોર્મુઝ સ્ટ્રેટના દક્ષિણ ભાગમાં ઓમાનના સમુદ્ર ક્ષેત્રમાં થયો હતો.
મંત્રાલયે જણાવ્યું કે મોમ્બાસા ટૅન્કર પર તહેનાત એક ભારતીયનું મોત થઈ ગયું છે અને આઠ લોકો ઘાયલ થયા છે. જેમાં છ ભારતીય અને બે યુક્રેની નાગરિકો છે. ઘાયલો પૈકી ચારની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
હુમલાને કારણે બંને ટૅન્કરોને નુકસાન પહોંચ્યું અને તેમાં આગ લાગી ગઈ, જોકે આગ પર કાબૂ મેળવી લેવાયો.
યુએઈ સંરક્ષણ મંત્રાલયે આ હુમલાની નિંદા કરતા કહ્યું કે આ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે.
બીજી તરફ ઈરાની રિવૉલ્યૂશનરી ગાર્ડ્સે એક નિવેદન જારી કરીને હુમલાની જવાબદારી લેતા કહ્યું કે હુમલાનો શિકાર જહાજ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સોનમ વાંગચુકના અનશનનો 17મો દિવસ, અભિજિત દીપકેએ તેમની તબિયત વિશે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Sanchit Khanna/Hindustan Times via Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુક કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના માગોના સમર્થનમાં 17 દિવસથી અનશન પર છે.
સીજેપીના સંસ્થાપક અભિજિત દીપકેએ જણાવ્યું કે સોનમ વાંગચુકનું સ્વાસ્થ્ય સતત કથળતું જાય છે.
અભિજિત દીપકેએ ઍક્સ પર કહ્યું, "સોમન સરની ભૂખ હડતાલનો 17મો દિવસ. તેમની માંસપેશીઓનું વજન ઓછું થવાનું શરૂ થઈ ગયું છે. તેમને દર્દ અનુભવાઈ રહ્યું છે."
તેમણે આગળ લખ્યું, "અન્ય તમામ લોકોની માફક મેં પણ તેમને ભૂખ હડતાળ સમાપ્ત કરવાની અપીલ કરી. તેમણે શાંત ભાવથી કહ્યું કે મને ભૂખ હડતાળ સમાપ્ત કરવાનું નહીં કહો. સરકારને પૂછો કે તેઓ વાતચીત કેમ નથી કરવા માગતી."
સોમન વાંગચુકના સમર્થનમાં તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)નાં સાંસદ મહુઆ મોઇત્રાએ પણ નિવેદન જારી કર્યું છે.
તેમણે ઍક્સ પર પોસ્ટ કરીને લખ્યું, "સોમન સર, તમારા અનશને ન્યાયની લડાઈમાં દેશના યુવાનોને એક કર્યા છે. તમારો ઉદ્દેશ પૂર્ણ થઈ ગયો છે."
તેમણે આગળ લખ્યું, "સરકારને તમારી કે કરોડો યુવાનોની જિંદગીની પરવાહ નથી. પરંતુ તમારી જિંદગી અમારા માટે મહત્ત્વની છે. કૃપા કરીને અનશન સમાપ્ત કરો અને લડાઈ ચાલુ રાખો."
ઉલ્લેખનીય છે કે દિલ્હીના જંતર-મંતર પર છેલ્લા કેટલાક દિવસોથી સીજેપીનાં ધરણાપ્રદર્શન ચાલુ છે. પ્રદર્શનકારીઓની મુખ્ય માગ છે કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પોતાના પદ પરથી રાજીનામું આપે.
ભારત અને અમેરિકાએ ટ્રેડ ડીલ સાથે જોડાયેલા અહેવાલ વિશે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલ અને અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે આવેલી રૉયટર્સના એક રિપોર્ટને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે.
હકીકતમાં, સમાચાર એજન્સી રૉયટર્સે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે ભારતે અમેરિકાની સાથે ઉતાવળમાં કોઈપણ વેપાર કરાર કરવા માટે ઇન્કાર કર્યો છે અને ડીલમાં વધુ સારી શરતોની અપેક્ષા રાખી રહ્યું છે.
કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે ઍક્સ પર આ સમાચારને "સંપૂર્ણપણે ખોટા, નિરાધાર અને ભ્રામક" ગણાવ્યા છે.
પિયૂષ ગોયલે લખ્યું, "જૂનમાં નવી દિલ્હી મુલાકાતે આવેલા અમેરિકન ટ્રેડ પ્રતિનિધિ જૅમિસન ગ્રીયર સાથે મારી ખૂબ જ સારી બેઠકો થઈ હતી. બંને પક્ષોએ એવા વેપાર કરાર પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા ફરીથી વ્યક્ત કરી હતી, જે સંતુલિત હોય, અર્થપૂર્ણ હોય અને બંને દેશોના વ્યવસાયો, ખેડૂતો, શ્રમિકો અને ગ્રાહકો માટે લાભ સુનિશ્ચિત કરવામાં આવે."
તેમણે આગળ લખ્યું, "અમારી ટીમો આ ઉદ્દેશ્યને હાંસલ કરવા માટે સંપૂર્ણ રીતે સક્રિય છે."
રૉયટર્સના રિપોર્ટને ટાંકતા ભારત સ્થિત અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે ઍક્સ પર લખ્યું, "ફેક ન્યૂઝ ઍલર્ટ! કોઈએ પણ કોઈપણ પ્રસ્તાવને નકાર્યો નથી."
તેમણે લખ્યું, "બંને પક્ષો વચ્ચે અત્યંત સકારાત્મક બેઠકો થઈ હતી અને ટ્રેડ ડીલને અંતિમ સ્વરૂપ આપવા માટે પોતાની પ્રતિબદ્ધતા ફરીથી વ્યક્ત કરવામાં આવી હતી. અમે આ દિશામાં સતત સક્રિય રીતે જોડાયેલા છીએ."
નોંધનીય છે કે ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરારના ફ્રેમવર્કને લઈને મહત્ત્વપૂર્ણ બેઠક જૂનના અંતમાં નવી દિલ્હીમાં યોજાઈ હતી.
હોર્મુઝની સામુદ્રધુનીમાં બે ઑઇલ ટૅન્કરો પર હુમલો, યુએઈનો દાવો

ઇમેજ સ્રોત, Amirhossein KHORGOOEI / ISNA / AFP via Getty Images
સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)એ હોર્મુઝ સ્ટ્રેટમાં તેનાં બે ઑઇલ ટૅન્કરો પર થયેલા હુમલા માટે ઈરાનને જવાબદાર ગણાવ્યું છે.
અમીરાત અને બહેરીનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું જ્યારે કે આઠ લોકો ઘાયલ થયા છે.
બહેરીનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે મોમ્બાસા અને બાહિયા નામનાં બે ઑઇલ ટૅન્કરોને ઈરાનથી છોડવામાં આવેલી બે ક્રૂઝ મિસાઇલોથી નિશાન બનાવવામાં આવ્યાં હતાં.
મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, હુમલો હોર્મુઝ સ્ટ્રેટના દક્ષિણ ભાગમાં અને ઓમાનના સમુદ્ર ક્ષેત્રમાં થયો.
જોકે, ઈરાને આ આરોપો પર કોઈ પ્રતિક્રિયા વ્યક્ત કરી નથી.
ઈરાની સૈન્ય સૂત્રો સાથે સંકળાયેલી સમાચાર એજન્સીએ દાવો કર્યો છે કે 'ઘણા નિયમોનું ઉલ્લંઘન કરનારાં જહાજો પર હુમલો કરવામાં આવ્યો', પરંતુ હુમલાનો સ્રોત કે જવાબદાર પક્ષનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો.
આ પહેલાં, બ્રિટનની યુકે મેરિટાઇમ ટ્રેડ ઑપરેશન્સ (યુકેએમટીઓ)એ મંગળવારે સવાલે ઓમાનના કલહાતથી 40 નૉટિકલ માઇલ ઉત્તર-પૂર્વમાં એક સમુદ્ર ઘટનાની જાણકારી આપી હતી.
યુકેએમટીઓના કહેવા પ્રમાણે, એક ઑઇલ ટૅન્કરના કૅપ્ટને જણાવ્યું કે એક અજ્ઞાત પ્રોજેક્ટાઇલ જહાજના ઍન્જિનના રૂમના ભાગ સાથે ટકરાયું.
સંગઠને કહ્યું કે આ ઘટનામાં તમામ ચાલકદળના સભ્યો સુરક્ષિત છે અને જહાજ પર જ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




















