ડોનાલ્ડ ટ્રમ્પે કૉલ પર કહ્યું - 'આઇ લવ પીએમ મોદી, તેઓ મારા મિત્ર છે' - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Mark Wilson/Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ ભારતીય વડા પ્રધાન મોદીને ખૂબ પસંદ કરે છે અને ભારત અમેરિકા પર વિશ્વાસ કરી શકે છે.
અમેરિકાના 250મા સ્વતંત્રતા દિવસે નવી દિલ્હીમાં એક સમારોહ ચાલી રહ્યો હતો. આ સમારોહ દરમિયાન અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરેએ લાઇવ કૉલ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પને સમારોહમાં સામેલ કર્યા હતા.
ટ્રમ્પે કૉલ પર કહ્યું , "આઇ લવ પ્રાઇમ મિનિસ્ટર મોદી. તેઓ ખૂબ સારા છે. તેઓ મારા મિત્ર છે, હું કહેવા માગું છું કે તમે લોકો ખૂબ સારા છો. ભારત અને અમેરિકા ક્યારેય આટલા નજીક નહોતા. ભારત મારા પર અને અમારા દેશ પર 100% વિશ્વાસ કરી શકે છે."
"જો તેમને ક્યારેય મદદની જરૂર પડે, તો તેમને ખબર છે કે કોને કૉલ કરવો. તેઓ અહીં જ કૉલ કરશે. અમે સારું કરી રહ્યા છીએ, અમે રેકૉર્ડ બનાવી રહ્યા છીએ. અમારી અર્થવ્યવસ્થા રેકૉર્ડ સ્તરે છે, આપણું શેરબજાર રેકૉર્ડ સ્તરે છે. હું વડા પ્રધાન મોદીનો બહુ મોટો પ્રશંસક છું."
નોંધનીય છે કે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયો અને પીએમ મોદી 23મેના રોજ મળ્યા હતા. તે સમયે, સર્જિયો ગોરે જણાવ્યું હતું કે રુબિયોએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ તરફથી પીએમ મોદીને વ્હાઇટ હાઉસની મુલાકાત માટે સત્તાવાર આમંત્રણ આપ્યું છે.
ફાલ્ટા વિધાનસભા બેઠકનાં પરિણામ પર પીએમ મોદીએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, SAM PANTHAKY/AFP via Getty Images
પશ્ચિમ બંગાળની ફાલ્ટા વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ મોટી જીત હાંસલ કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેને "લોકશાહીનો વિજય" ગણાવ્યો છે.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું , "ફાલ્ટાના લોકોએ પોતાનો મત જણાવી દીધો. લોકશાહી જીતી ગઈ છે અને ડરાવવાનો પ્રયાસોની હાર થઈ છે."
તેમણે લખ્યું "ફાલ્ટામાં રેકૉર્ડ માર્જિનથી જીતવા બદલ શ્રી દેબાંગ્શુ પાંડાજીને અભિનંદન. આ પશ્ચિમ બંગાળના લોકોનો ભાજપમાં અતૂટ વિશ્વાસ દર્શાવે છે. લોકો પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રોમાં કરેલાં ઉત્તમ કામોને જોઈ રહ્યા છે અને તેથી તેમણે અમારા પર વધુ આશીર્વાદ આપવાનું નક્કી કર્યું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે લખ્યું, "પશ્ચિમ બંગાળના તમામ ભાજપ કાર્યકરોને મારી શુભકામનાઓ, તેમણે ખૂબ જ શાનદાર કામ કર્યું છે. અમે પશ્ચિમ બંગાળની પ્રગતિ માટે કામ કરતા રહીશું."
ઉલ્લેખનીય છે કે ભાજપના દેબાંગ્શુ પાંડાએ એક લાખથી વધુ મતોથી ચૂંટણી જીતી હતી. તેમણે 1,49,666 મતો એટલે 71.2% મત મેળવ્યા હતા.
કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (માર્ક્સવાદી)ના શંભુનાથ કુર્મી 40,645 (19.34%) મતો સાથે બીજા ક્રમે રહ્યા. કૉંગ્રેસના ઉમેદવાર અબ્દુર રઝાક 10,084 (4.8%) મતો સાથે ત્રીજા ક્રમે રહ્યા.
તૃણમૂલ કૉંગ્રેસના ઉમેદવાર જહાંગીર ખાનને પણ 7783 (3.7%) મત મળ્યા, જોકે મતદાન પહેલાં તેમણે ચૂંટણી મેદાનમાંથી ખસી જવાની જાહેરાત કરી હતી.
ઈરાન યુદ્ધ પર ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું 'હું ખરાબ સમજૂતીઓ કરતો નથી'

ઇમેજ સ્રોત, NISHIMURA / AFP via Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેમણે ઈરાનના મુદ્દે વાટાઘાટ કરી રહેલા પોતાના પ્રતિનિધિઓને ઉતાવળમાં કોઈ કરાર ન કરવા સૂચના આપી છે.
જોકે,આ અગાઉના અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે એક સમજૂતીની નજીક છે.
ડોનાલ્ડ ટ્રમ્પે પણ કહ્યું છે કે તેઓ ઈરાન સાથે એક સારી સમજૂતી કરશે અને તે દરમિયાન તેમણે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના કાર્યકાળ દરમિયાન થયેલા કરારની ટીકા કરી.
અમેરિકાના મીડિયા અનુસાર, હાલમાં જે કરાર પર ચર્ચા થઈ રહી છે તેમાં 60 દિવસના યુદ્ધવિરામને લંબાવવા, હોર્મુઝની સામુદ્રધુનીને ફરીથી ખોલવા અને ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર વધુ વાટાઘાટનો સમાવેશ થાય છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું , "જો હું ઈરાન સાથે કોઈ કરાર કરીશ, તો તે સારો અને યોગ્ય રહેશે. ઓબામાએ કરેલા કરાર જેવો નહીં, જેનાથી ઈરાનને ઘણી રોકડ રકમ મળી અને પરમાણુ શસ્ત્રોનો માર્ગ ખૂલ્યો.
"અમારો કરાર બિલકુલ વિપરીત છે, પરંતુ કોઈએ નથી જોયો અને તે શું છે તે કોઈને ખબર નથી. તેને હજુ સુધી અંતિમ સ્વરૂપ પણ આપવામાં આવ્યું નથી. તેથી જેઓ તેની ટીકા કરી રહ્યા છે, તેમની વાત સાંભળશો નહીં, તેઓ તેના વિશે કંઈ જાણતા નથી."
તેમણે લખ્યું, "મારા પહેલાંના લોકોએ આ સમસ્યા વર્ષો પહેલાં ઉકેલી લેવી જોઈતી હતી, પરંતુ તેમણે એવું ન કર્યું. હું ખરાબ સમજૂતી કરતો નથી."
ઉલ્લેખનીય છે કે રવિવારે પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે આશા વ્યક્ત કરી હતી કે તેઓ બીજા રાઉન્ડની વાતચીતનું આયોજન કરશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




















