વડા પ્રધાન મોદીએ પોતે કયા 'સમાચાર'ને ખોટા ગણાવ્યા - ન્યૂઝ અપડેટ

વડા પ્રધાન મોદી

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશ યાત્રા પર ભારત સરકાર દ્વારા ટૅક્સ-સેસ લગાવવાના સમાચારને ખોટા ગણાવ્યા છે.

વડા પ્રધાન મોદીએ શુક્રવારે ઍક્સ પર એક પોસ્ટમાં લખ્યું કે વિદેશ યાત્રા પર આ પ્રકારના પ્રતિબંધ લાદવાનો તો કોઈ સવાલ જ નથી.

તેમણે ઍક્સ પર લખ્યું કે , "આ સંપૂર્ણ જૂઠ છે. આમાં કોઈ સત્ય નથી. વિદેશ યાત્રા પર આવા પ્રતિબંધ લાદવાનો સવાલ જ નથી. અમે આપણા લોકો માટે ઈઝ ઑફ ડુઇંગ બિઝનસ અને ઈઝ ઑફ લિવિંગને બહેતર બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ."

વડા પ્રધાન મોદીએ એક મીડિયા આઉટલેટની ઍક્સ પોસ્ટને રિપોસ્ટ કરતા આ દાવાને ખોટો ગણાવ્યો હતો.

પોસ્ટમાં દાવો કરાયો કે ભારત સરકાર વિદેશ યાત્રા પર ટૅક્સ/સરચાર્જ લગાવવા વિશે વિચારી રહી છે. જોકે, વડા પ્રધાનની પ્રતિક્રિયા પછી મીડિયા આઉટલેટે આ પોસ્ટ ડિલીટ કરી દીધી.

આની પહેલાં વડા પ્રધાને વિદેશી મુદ્રા બચાવવા માટે લોકોને બિનજરૂરી વિદેશ યાત્રા ટાળવાની અપીલ કરી હતી.

ઇઝરાયલ અને લેબનોન વચ્ચે યુદ્ધવિરામ લંબાવાયો, અમેરિકાએ કરી મહત્ત્વપૂર્ણ જાહેરાત

તારીખ 15 મેના દિવસે દક્ષિણ લેબનોનમાં ક્ફાર ટિબનિત શહેરમાં ઇઝરાયલના હુમલા બાદ ધુમાડો ઊઠતો જોઈ શકાય છે. યુદ્ધવિરામ છતાં ઇઝરાયલની સેનાએ હુમલો કર્યો

ઇમેજ સ્રોત, Ramiz Dallah/Anadolu via Getty Images

ઇમેજ કૅપ્શન, તારીખ 15 મેના દિવસે દક્ષિણ લેબનોનમાં ક્ફાર ટિબનિત શહેરમાં ઇઝરાયલના હુમલા બાદ ધુમાડો ઊઠતો જોઈ શકાય છે. યુદ્ધવિરામ છતાં ઇઝરાયલની સેનાએ હુમલો કર્યો

બીબીસી સંવાદદાતા બ્રૅન્ડન ડ્રૅનન અને યાંગ તિયાન અનુસાર ઇઝરાયલ અને લેબનોન વચ્ચે ફરી અમેરિકાએ યુદ્ધવિરામ કરાવ્યો છે. અમેરિકાએ જાહેરાત કરી હતી કે બંને દેશોએ 45 દિવસના સીઝફાયર પર સહમતી દર્શાવી છે.

અમેરિકાના વિદેશ મંત્રાલયે શુક્રવારના જણાવ્યું કે વૉશિંગ્ટન ડીસીમાં બે દિવસની વાટાઘાટ પછી ઇઝરાયલ અને લેબનોન યુદ્ધવિરામને લંબાવવા પર સહમત થઈ ગયા છે.

અમેરિકાના વિદેશ મંત્રાયલના પ્રવક્તા ટૉમી પિગૉટે જણાવ્યું કે, "29 મેના પેન્ટાગોનમાં સુરક્ષા વિશે વાતચીત થઈ હતી, જેમાં બને દેશોની સૈન્ય ટીમો સામેલ હશે."

જોકે, આની પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 16 એપ્રિલના યુદ્ધવિરામનું એલાન કર્યું હતું, પરંતુ ત્યાર બાદ પણ ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ગોળીબાર ચાલી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે બુધવારના જ લેબનોનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ઇઝરાયલના હવાઈ હુમલામાં દક્ષિણી વિસ્તારોમાં 22 લોકોનાં મોત થયાં હતાં જેમાં આઠ બાળકો પણ સામેલ હતાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન