ગ્રાફિક્સની મદદથી જાણો કે નેપાળમાં પૂર કેવી રીતે આવ્યું અને કેવો વિનાશ વેર્યો?
નેપાળની નૅશનલ ડિઝાસ્ટર રિસ્ક ઍન્ડ મૅનેજમેન્ટ ઑથોરિટી (એનડીઆરઆરએમએ)એ કહ્યું છે કે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે અને અત્યારસુધીમાં 538 મૃતદેહો મળી આવ્યા છે.
નેપાળ પોલીસે 547 લોકોનાં મોતની પુષ્ટિ કરી છે અને 1,473 લોકો ઘાયલ થયાની માહિતી આપી છે.
એનડીઆરઆરએમએના જણાવ્યા પ્રમાણે, 977 લોકો ગુમ છે, જે પૈકી 517 લોકો વિદેશી છે. આ બધા વચ્ચે 121 વિદેશી નાગરિકોને બચાવવામાં આવ્યા છે. બચાવવામાં આવેલા નાગરિકોમાં 85 ભારતીય નાગરિકો, 16 ચીની નાગરિકો અને 9 દક્ષિણ કોરિયાના નાગરિકોનો સમાવેશ થાય છે. ત્રણ લોકોની રાષ્ટ્રિયતાની પુષ્ટિ નથી કરવામાં આવી.
બુધવારે આવેલા ભયંકર પૂરને કારણે તિબેટમાં પાંચ લોકોનાં મોત થઈ ગયાં છે. ચીનના સરકારી મીડિયા પ્રમાણે, 558 લોકો ગુમ છે.
ચીને ચેતવણી આપી છે કે હાલમાં થયેલા ભૂસ્ખલન બાદ બનેલા એક સરોવર ફાટવાનું જોખમ વધી ગયું છે. તેની નીચેના વિસ્તારમાં ફરી વખત પૂર આવી શકે છે.
સરકારી મીડિયા સીસીટીવી પ્રમાણે, શુક્રવાર સુધી નેપાળ-તિબેટ સીમા પાસે બનેલા આ બૅરિયર સરોવરમાં અનુમાનિત 25 લાખ ઘનમીટર પાણી જમા થઈ ચૂક્યું હતું.
બૅરિયર સરોવર એ હોય છે, જે કાટમાળને કારણે નદીનો રસ્તો રોકવાને કારણે બને છે.
ચીનના જળ સંસાધન મંત્રાલય અનુસાર, છોછેન ખોલા અને રુપેરુ ત્સાંગપો નદીઓનાં સંગમ પર બનેલું આ સરોવર ગુરુવારે ઉફાન પર હતું. અધિકારીઓનું કહેવું હતું કે ગુરુવારથી સપ્તાહના અંત વચ્ચે લગભગ 30 લાખ ઘનમીટર પાણી સરોવરમાં આવવાની આશંકા છે, જેને કારણે સરોવરના કિનારા પર 'હાઈ રિસ્ક' છે.

ઇમેજ સ્રોત, Safal Prakash Shrestha/NurPhoto via Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



