You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શ્રીલંકા : ‘મારા શરીરને દબાવ્યું, કપડાં ખેંચતા આગળ વધી ગયા’ શ્રીલંકામાં સરકારને હચમચાવી નાખનાર પ્રદર્શન – ગ્રાઉન્ડ રિપોર્ટ
- વાંચવાનો સમય: 4 મિનિટ
ભયંકર આર્થિક કટોકટી સામે ઝઝૂમી રહેલા શ્રીલંકામાં લોકોના ભારે આક્રોશ બાદ વડા પ્રધાન બદલાઈ ગયા પરંતુ દેશમાં પરિસ્થિતિ જલદી સુધરે તેવા અણસાર જોવા નથી મળી રહ્યા.
ગુરુવારે મોડી સાંજે પૂર્વ વડા પ્રધાન રનીલ વિક્રમસિંઘને ફરીથી વડા પ્રધાન પદના શપથ લેવડાવવામાં આવ્યા છે.
શ્રીલંકામાં ઈંધણ અને રાંધણ ગૅસ સહિત જરૂરી ચીજવસ્તુઓની અછત અને આસમાને પહોંચેલા ભાવોને કારણે લોકોમાં ભારે રોષ છે.
શ્રીલંકાની આવી કફોડી પરિસ્થિતિ માટે લોકો સત્તા પર રહેલા રાજપક્ષે પરિવારને જવાબદાર ગણે છે.
કેટલાય દિવસોથી શ્રીલંકામાં વ્યાપક વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે અને રોષે ભરાયેલા લોકો રાજપક્ષે પરિવારને સત્તામાંથી બહાર જોવા માગે છે. આ જ ક્રમમાં શ્રીલંકાની રાજધાનીમાં હિંસા અને આગચંપી પણ થઈ હતી અને કેટલાક નેતાઓનાં ઘરોને નિશાન બનાવાયા હતા.
તેના પગલે મહિંદા રાજપક્ષે વડા પ્રધાનના પદ પરથી રાજીનામું આપ્યું હતું. તે પરિવારની સાથે દેશના એ પૂર્વ વિસ્તારમાં જતા રહ્યા છે, જ્યાંની અધિકૃત મુલાકાત પણ ઓછી લેતા હતા.
મહિંદા રાજપક્ષેના મોટા ભાઈ ગોટાબાયા રાજપક્ષે પણ દેશના રાષ્ટ્રપતિ છે અને તેમની સામેનો વિરોધ વધી રહ્યો છે છતાં સત્તા છોડવા માટે તૈયાર નથી.
કોલંબોના એક મેજિસ્ટ્રેટે મહિંદા રાજપક્ષે અને તેમના પરિવારના 13 લોકો ઉપર દેશની બહાર ન જવા માટે ટ્રાવેલ બૅન લાદી દીધો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમના દીકરા નમલ રાજપક્ષે ટ્વીટ કરીને કહ્યું હતું કે, ‘દેશમાં નફરત અને હિંસા ફેલાવનારા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ અને તેમની સામે પણ જેમણે સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડ્યું છે અને તેમની સામે પણ જેમને બેકાબૂ ભીડે નિશાન બનાવી હતી.’
વાત છે નવમી મેની, જગ્યા હતી કોલંબોના સૌથી મોંઘા વિસ્તાર ગૉલસ્ટ્રીટ વિસ્તારના સૌથી પૉશ ઍડ્રેસ, ટૅમ્પલ ટ્રીઝની. મહિંદા રાજપક્ષેનું અધિકૃત નિવાસ સ્થાન.
આની બહાર મહિંદા રાજપક્ષેના સમર્થકો અને તેમની સરકારની સામે મહિનાથી શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા આંદોલનકારીઓની વચ્ચે લડાઈ થઈ હતી.
"બે ડઝન જેટલા લોકોએ મારા શરીરને દબાવ્યું"
42 વર્ષનાં નૂરા પણ છેલ્લાં કટેલાંક અઠવાડિયાથી શ્રીલંકાની ખરાબ સ્થિતિને લઈને રસ્તા પર આંદોલનકારીઓનું સમર્થન કરી રહ્યાં છે. તે રાતને યાદ કરીને તેઓ બેચેન થઈ જાય છે.
તેઓ કહે છે, “અમે લોકો તો ગૉલફેસમાં ધરણા સ્થળે બેઠાં હતાં. ફેસબુક પર મૅસેજ આવવાના શરૂ થયા હતા કે રાજપક્ષે સમર્થકોની મોટી ભીડ અમારી તરફ આવી રહી છે. બસ તેમના ઘરની પાસે જ તેઓ અમારી સાથે મારપીટ કરવા લાગ્યા. હું એકલી મહિલા હતી બે ડઝન જેટલા લોકોએ મારા શરીરને દબાવ્યું, કપડાં ખેંચી લીધા અને આગળ વધી ગયા.”
આ કહેતાં નૂરાની આંખમાં પાણી આવી ગયાં હતાં.
આ આઘાતને ભૂલાવવાનો પ્રયત્ન કરતાં નૂરા ફરીથી ગૉલફેસ પર આંદોલનકારીઓની સાથે બેઠાં છે અને તેમની માગ છે, “રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે રાજીનામાથી ઓછું તો જોઈશે નહીં અને ત્યાં સુધી અહીંથી કોઈ નહીં હલે”
તે દિવસની રાત્રે થયેલી હિંસા પછી શ્રીલંકાના વડા પ્રધાન મહિંદા રાજપક્ષેએ રાજીનામું આપ્યું હતું, પરંતુ પછી પણ લોકોનો ગુસ્સો ઠંડો થયો નહીં અને બીજા દિવસ મંગળવાર સાંજ સુધી સત્તાધારી પાર્ટીના લોકોની સામે ઘર્ષણ ચાલુ રહ્યું.
ત્યારથી રાજધાની કોલંબોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે, જેમાં ગુરુવારે સાત કલાકની છૂટ આપવામાં આવી હતી.
શ્રીલંકામાં આર્થિક સંકટ સામનો કરવામાં નિષ્ફળ રહેલી સરકાર વિરુદ્ધ થતાં પ્રદર્શન વેગ પકડી રહ્યાં છે. ગુરુવારે મોડી સાંજે પૂર્વ વડા પ્રધાન રનિલ વિક્રમસિંઘે વડા પ્રધાન પદના શપથ તો લીધા પરંતુ મોટા ભાગના લોકો તેનાથી બહુ સહમત જોવા ન મળ્યા.
ગુરુવારે કર્ફ્યુમાં છૂટ મળ્યા પછી મોટી સંખ્યામાં લોકો આંદોલનના સ્થળે ‘આંદોલનકારીઓનો ઉત્સાહ વધારવા’ માટે પહોંચ્યા હતા.
શ્રીલંકાના સૌથી સફળ ક્રિકેટરોમાંથી એક કુમારા સંગાકારનાં પત્ની યેહાલી પણ લોકોને પ્રોત્સાહન આપવા માટે પહોંચ્યાં હતાં.
તેમણે કહ્યું, ‘અમે લોકો આ દેશમાં માત્ર શાંતિ ઇચ્છીએ છીએ, બીજું કંઈ નહીં. આ આંદોલનકારીઓ ખૂબ પ્રેમાળ છે અને તેમને શાંતિપસંદ છે. હું અહીં એટલા માટે છું, કારણ કે આ અમારા દેશનું ભવિષ્ય છે.’
મહિંદા રાજપક્ષેને ક્યારેક સિંહલા બહુમતીના ‘વૉર હીરો’ તરીકે જોવામાં આવતા હતા. તેમના માથે દેશમાં હિંસક ‘તમિલ ફ્રીડમ’ની ચળવળ ચલાવનારા એલટીટીઈને જડમૂળમાંથી હઠાવી દેવાનો સહેરો બંધાતો રહ્યો છે.
પરંતુ જાણકારોને લાગે છે કે મહિંદા અને તેમનો પરિવાર દેશ પર જે પ્રકારે રાજ કરતો હતો તે લોકોને પસંદ ન હતું.
કોલંબો યુનિવર્સિટીમાં પૉલિટિકલ ઇકૉનોમીના પ્રોફેસર ફર્નાન્ડોના કહેવા પ્રમાણે, ‘તમે દેવું લો છો, પછી તે રૂપિયાનું શું થયું તે સ્પષ્ટપણ જાણવા ન મળ્યું. સાથે જ તમે એ વાત પર પણ ધ્યાન ન આપ્યું કે તમારી સરકારી ટ્રેઝરીમાં વિદેશી મુદ્રા ખાલી થતી ગઈ. શું કહીને હવે લોકોનો ગુસ્સો ઠંડો કરશો?’
કેટલાક એક મહિનાથી પ્રદર્શનસ્થળે
શ્રીલંકાના ઇતિહાસમાં કદાચ પહેલીવખત એવું થઈ રહ્યું છે કે ગુસ્સો તમામ સમુદાય અને દરેક ઉંમરના લોકોમાં જોવા મળે છે.
ગૉલફેસ પ્રદર્શનસ્થળથી થોડે દૂર એક ટૅન્ટની અંદર કેટલાંક ખ્રિસ્તી સિસ્ટર્સ બેઠાં હતાં. જાણવા મળ્યું કે તેઓ એક મહિનાથી અહીં છે અને હૉલી ફૅમિલી ચર્ચ સાથે જોડાયેલાં છે.
તેમાંથી એક સિસ્ટર શિરોમીએ કહ્યું, “અમારે કોઈ લાભ નથી જોઈતો, ન કોઈ ફાયદો. બસ અમારા માટે એ જોવું અસંભવ છે કે દેશ નબળો થઈ રહ્યો છે. નવ મેએ જે થયું તે સૌથી શરમજનક હતું. ગુસ્સે થયેલા રાજકીય સમર્થકોએ નિ:શસ્ત્ર લોકોને નિશાન બનાવ્યા. મેં ખુદ જોયું કે કેવી રીતે મહિલાઓની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું અને કેવી રીતે યુવાન વિદ્યાર્થીઓને મારવામાં આવ્યા. નહીંતર તેમના વિરોધના પગલે આખા દેશમાં ગુસ્સો કેમ ફેલાતો?”
હકીકત એ છે કે આજે શ્રીલંકામાં ખાવા-પીવાનો સામાન, દૂધ, ગૅસ, કેરોસીન, તેલ અને દવાઓ જેવી જીવનજરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ આસમાને છે. પેટ્રોલ પંપ ખાલી છે, કારણ કે દેશની પાસે બહારથી તેલની આયાત કરવા માટે આપવાના ડૉલર નથી.
નૂરા નૂરાએ છેવટે કહ્યું, “છેવટે અમારો દેશે કેવી રીતે ખરાબ થઈ ગયો. વીજળી નથી, પાણી નથી, પેટ્રોલ નથી, ખાવાનું નથી. અમારાં બાળોકોની પાસે પૈસા નથી. જો હવે કંઈ ના થયું તો પહેલાં જેવું શ્રીલંકા નહીં બની શકે.”
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો