નેપાળ પૂર : 547નાં મોત, ગુમ થયેલા લોકોમાં અડધાથી વધુ વિદેશી નાગરિક – ન્યૂઝ અપડેટ

નેપાળ પૂર : 547નાં મોત, ગુમ થયેલા લોકોમાં અડધાથી વધુ વિદેશી નાગરિક – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, બીબીસી ન્યૂઝ ગુજરાતી
    • પદ, નવી દિલ્હીથી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 8 મિનિટ

નેપાળની નૅશનલ ડિઝાસ્ટર રિસ્ક ઍન્ડ મૅનેજમેન્ટ ઑથોરિટી (એનડીઆરઆરએમએ)એ કહ્યું છે કે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે અને અત્યારસુધીમાં 538 મૃતદેહો મળી આવ્યા છે.

નેપાળ પોલીસે 547 લોકોનાં મોતની પુષ્ટિ કરી છે અને 1,473 લોકો ઘાયલ થયાની માહિતી આપી છે.

એનડીઆરઆરએમએના જણાવ્યા પ્રમાણે, 977 લોકો ગુમ છે, જે પૈકી 517 લોકો વિદેશી છે. આ બધા વચ્ચે 121 વિદેશી નાગરિકોને બચાવવામાં આવ્યા છે. બચાવવામાં આવેલા નાગરિકોમાં 85 ભારતીય નાગરિકો, 16 ચીની નાગરિકો અને 9 દક્ષિણ કોરિયાના નાગરિકોનો સમાવેશ થાય છે. ત્રણ લોકોની રાષ્ટ્રિયતાની પુષ્ટિ નથી કરવામાં આવી.

ચીનના સરકારી મીડિયાએ કહ્યું, 'તિબેટમાં 558 લોકો ગુમ, સરોવર ફાટવાનું હાઈ રિસ્ક'

ચીનના સરકારી મીડિયાએ કહ્યું, 'તિબેટમાં 558 લોકો ગુમ, સરોવર ફાટવાનું હાઈ રિસ્ક' – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, VCG via Getty Images

ઇમેજ કૅપ્શન, કુત્રિમ સરોવરનો એક ભાગ તૂટવા અંગેનું 'હાઈ ઍલર્ટ' જારી કરવામાં આવ્યું છે.

બુધવારે આવેલા ભયંકર પૂરને કારણે તિબેટમાં પાંચ લોકોનાં મોત થઈ ગયાં છે. ચીનના સરકારી મીડિયા પ્રમાણે, 558 લોકો ગુમ છે.

ચીને ચેતવણી આપી છે કે હાલમાં થયેલા ભૂસ્ખલન બાદ બનેલા એક સરોવર ફાટવાનું જોખમ વધી ગયું છે. તેની નીચેના વિસ્તારમાં ફરી વખત પૂર આવી શકે છે.

સરકારી મીડિયા સીસીટીવી પ્રમાણે, શુક્રવાર સુધી નેપાળ-તિબેટ સીમા પાસે બનેલા આ બૅરિયર સરોવરમાં અનુમાનિત 25 લાખ ઘનમીટર પાણી જમા થઈ ચૂક્યું હતું.

બૅરિયર સરોવર એ હોય છે, જે કાટમાળને કારણે નદીનો રસ્તો રોકવાને કારણે બને છે.

ચીનના જળ સંસાધન મંત્રાલય અનુસાર, છોછેન ખોલા અને રુપેરુ ત્સાંગપો નદીઓનાં સંગમ પર બનેલું આ સરોવર ગુરુવારે ઉફાન પર હતું. અધિકારીઓનું કહેવું હતું કે ગુરુવારથી સપ્તાહના અંત વચ્ચે લગભગ 30 લાખ ઘનમીટર પાણી સરોવરમાં આવવાની આશંકા છે, જેને કારણે સરોવરના કિનારા પર 'હાઈ રિસ્ક' છે.

તિબેટ તરફ બનેલો 'ડૅમ તૂટ્યો' – નેપાળ પોલીસે આપ્યું ઍલર્ટ, ફરી પૂરની આશંકા

 નેપાળ પોલીસે એલર્ટ જારી કર્યું કે પાણીનો બંધ તૂટી ગયો છે.

ઇમેજ સ્રોત, CCTV

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ચીની સરકારી મીડિયાએ આ તળાવનું લોકેશન શેર કર્યું છે.

છેલ્લા એક કલાકમાં, સીસીટીવીએ બુધવારે થયેલા ભૂસ્ખલન બાદ બનેલા આ તળાવનાં ચોક્કસ સ્થાન જાહેર કર્યાં છે.

નેપાળની નૅશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન ઍન્ડ મૅનેજમેન્ટ ઑથોરિટીએ જણાવ્યું છે કે તેને માહિતી મળી છે કે આજે ફરી તે જ વિસ્તારમાં પાણી સાથે માટીના વહેણમાં થોડો વધારો થયો છે, જ્યાં રસુવામાં ભોટેકોશી નદીમાં ભારે પૂર આવ્યું હતું.

ત્યાં ફરીથી પૂર આવવાનો ખતરો ઉભો થયો છે.

ઉત્તરી નેપાળમાં ફરી પૂર આવવાની ચેતવણી આપવામાં આવી રહી છે. બચાવ અને રાહત કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓ લોકોને સુરક્ષિત અને ઊંચાઈવાળા વિસ્તારોમાં ખસેડી રહ્યા છે.

ચીનના સરકારી મીડિયાએ પુષ્ટિ કરી છે કે બુધવારે થયેલા ભૂસ્ખલન પછી બનેલા સરોવરમાંથી આજે પાણી ઓવરફ્લો થવાનું શરૂ થઈ ગયું છે.

સરકારી ટીવી ચેનલના જણાવ્યા અનુસાર, સરોવર સંપૂર્ણપણે ભરાઈ ગયું છે અને પાણી ધીમે ધીમે બહાર નીકળી રહ્યું છે. તેના કારણે અધિકારીઓએ વિસ્તારમાં ચાલી રહેલી બચાવ કામગીરીને અસ્થાયી રીતે રોકી દીધી છે અને સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

ચીનના નૅશનલ બ્રૉકસ્ટરના અહેવાલ મુજબ, આ તળાવ ગિયરોંગ બંદરથી આશરે 10 કિમી દૂર સ્થિત છે અને તેમાં બે મિલિયન ઘન મીટરથી વધુ પાણીનો સંગ્રહ છે.

નેપાળ પોલીસે એક ચેતવણી જારી કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે "તિબેટ તરફ પાણીનો બંધ તૂટી ગયો છે".

તેમણે સ્થાનિકો, બચાવકર્તાઓ અને સુરક્ષા દળોને સતર્ક રહેવા અને સલામત સ્થળે ખસી જવા વિનંતી કરે છે.

નેપાળની સેનાએ જણાવ્યું છે કે સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી 900 લોકોને બચાવ્યા છે.

નેપાળમાં ફ્લેશ ફ્લડથી 489 લોકોનાં મોત, રસુવા અને નુવાકોટ સૌથી વધુ પ્રભાવિત

Nepal, Tibet, flood, kailash mansarovar, બીબીસી ગુજરાતી, નેપાળ, તિબેટ, કૈલાશ માનસરોવર,

ઇમેજ સ્રોત, Reuters

નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર, બુધવારે આવેલા ભયાનક પૂરમાં અત્યાર સુધી 489 લોકોનાં મોત થયાં છે.

પોલીસે જણાવ્યું કે પૂરના કારણે સૌથી વધુ અસરગ્રસ્ત રસુવા અને નુવાકોટ જિલ્લાઓમાંથી મૃતદેહો મળી આવ્યા છે. જોકે, મોટી સંખ્યામાં મૃતદેહો ચિતવન જિલ્લામાંથી પણ મળી આવ્યા છે.

ચિતવન જિલ્લામાંથી ત્રિશૂલી નદી પસાર થાય છે, જે આગળ જઈને સેતી ગંડકી નદીમાં મળે છે. પૂરના તેજ પ્રવાહને કારણે મૃતદેહો તણાઈને ચિતવન સુધી પહોંચી ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

નેપાળમાં અચાનક આવેલા પૂર અને ભૂસ્ખલન બાદ રાહત અને બચાવ કામગીરી સતત ચાલુ છે.

ઘણા વિસ્તારોમાં ભારે વિનાશના કારણે બચાવ ટીમોને અસરગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે.

નેપાળમાં ગુમ થયેલા વિદેશી નાગરિકોની યાદી જાહેર, જેમાં 178 ભારતીયો સામેલ

Nepal, Tibet, flood, kailash mansarovar, બીબીસી ગુજરાતી, નેપાળ, તિબેટ, કૈલાશ માનસરોવર,

ઇમેજ સ્રોત, Reuters

નેપાળ સરકારે બુધવારે આવેલા ભયાનક પૂર બાદ અત્યાર સુધી ગુમ થયેલા વિદેશી નાગરિકોની યાદી જાહેર કરી છે. આ હોનારતમાં 489 લોકોનાં મોતની સત્તાવાર પુષ્ટિ થઈ ચૂકી છે.

સરકારે જાહેર કરેલી યાદીમાં 537 વિદેશી નાગરિકોનાં નામ, જન્મતારીખ અને તેમની નાગરિકતા જણાવવામાં આવી છે. આ તમામ લોકો પૂર આવ્યા બાદથી ગુમ છે.

ગુમ થયેલા લોકોમાં સૌથી વધુ 178 ભારતીય નાગરિકો સામેલ છે. ઉપરાંત 65 અમેરિકન, 53 યુક્રેનિયન, 51 મલેશિયન, 33 ઑસ્ટ્રેલિયન અને 33 બ્રિટિશ નાગરિકોનાં નામ પણ સામેલ છે.

નેપાળમાં બુધવારે આવેલા અચાનક આવેલા પૂર અને ભૂસ્ખલનથી મોટા પાયે વિનાશ સર્જાયો છે.

ઘણા વિસ્તારોમાં રસ્તાઓ અને પુલો તૂટી ગયા અથવા વહેતા પાણીમાં તણાઈ ગયા છે, જેના કારણે રાહત અને બચાવ કામગીરી પ્રભાવિત થઈ છે.

અધિકારીઓ દ્વારા ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે સેના તથા હેલિકૉપ્ટરની મદદ લેવામાં આવી રહી છે.

નેપાળમાં પૂર: મૃત્યુઆંક 469 પર પહોંચ્યો

શુક્રવારે નેપાળના નુવાકોટ જિલ્લાના ત્રિશુલીમાં અચાનક આવેલા પૂર પછી લોકો પોતાના ઘરની આસપાસનો કાટમાળ હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ઇમેજ સ્રોત, Getty Images

નેપાળ પોલીસે શુક્રવારે જણાવ્યું હતું કે બુધવારના પૂરમાં મૃત્યુઆંક વધીને 469 થઈ ગયો છે.

દરમિયાન, ચીનની સ્ટેટ સમાચાર એજન્સી શિન્હુઆએ અહેવાલ આપ્યો છે કે તિબેટમાં પૂરને કારણે ફસાયેલા 555 પ્રવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.

દરમિયાન, ભારત, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાએ જણાવ્યું છે કે આ દુર્ઘટના બાદ તેમના કેટલાક નાગરિકો ગુમ થયા છે. ગુમ થયેલા લોકોમાંથી કોઈ તિબેટ બાજુ ફસાયેલા છે કે કેમ તે નક્કી કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

નેપાળ-તિબેટ સરહદ પર પૂર અને ભૂસ્ખલનને કારણે પરિસ્થિતિ હજુ પણ પડકારજનક છે અને રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.

બુધવારે નેપાળના નુવાકોટ જિલ્લામાં ત્રિશુલી નદીના કિનારે અચાનક પૂરને કારણે થયેલો વિનાશ

ઇમેજ સ્રોત, AP Photo/Niranjan Shrestha

ઇમેજ કૅપ્શન, બુધવારે નેપાળના નુવાકોટ જિલ્લામાં ત્રિશુલી નદીના કિનારે અચાનક પૂરને કારણે થયેલો વિનાશ
શુક્રવારે નેપાળના નુવાકોટ જિલ્લાના ત્રિશુલીમાં અચાનક આવેલા પૂર પછી લોકો પોતાના ઘરની આસપાસનો કાટમાળ હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ઇમેજ સ્રોત, REUTERS/Navesh Chitrakar

ઇમેજ કૅપ્શન, શુક્રવારે નેપાળના નુવાકોટ જિલ્લાના ત્રિશુલીમાં અચાનક આવેલા પૂર પછી લોકો પોતાના ઘરની આસપાસનો કાટમાળ હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
27 ઓગસ્ટના રોજ નેપાળ-તિબેટ સરહદ નજીક અચાનક પૂર અને ભૂસ્ખલન પછી, નેપાળી સૈન્યના સૈનિકો એક બચી ગયેલા વ્યક્તિને સ્ટ્રેચર પર લઈ જાય છે.

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, 27 ઓગસ્ટના રોજ નેપાળ-તિબેટ સરહદ નજીક અચાનક પૂર અને ભૂસ્ખલન પછી, નેપાળી સૈન્યના સૈનિકો એક બચી ગયેલા વ્યક્તિને સ્ટ્રેચર પર લઈ જાય છે.

ગુજરાત: ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોક દરબાર યોજ્યો

ગુજરાત: ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે લોક દરબાર યોજ્યો

ઇમેજ સ્રોત, @AmitShah/x

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારના બોપલ, ઘુમા, શેલા અને આસપાસના વિસ્તારોના નાગરિકો માટે બોપલની બિકેએમ સ્કૂલ ખાતે 'લોક દરબાર'નું આયોજન કરવામાં આવ્યું હતું.

સમાચાર એજન્સી એએનઆઈ આનુસાર, આ કાર્યક્રમમાં ગાંધીનગર લોકસભા સાંસદ અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અંકિત શાહ, ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શના વાઘેલા અને અમદાવાદના મેયર હિતેશ બારોટ ઉપસ્થિત રહ્યા હતા.

તાજેતરમાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ, વરસાદી પાણીના નિકાલ (સ્ટોર્મ વોટર ડ્રેનેજ), રસ્તાઓ અને ટ્રાફિક મૅનેજમેન્ટ, નવી પાઇપલાઇન દ્વારા પીવાના પાણીની જોગવાઇ, ડ્રેનેજ લાઇન અને ઝોનલ લેવલની માળખાકીય સુવિધાઓ સહિતના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

લોક દરબારમાં ઉપસ્થિત નાગરિકોને સંબોધતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે આ વિસ્તારના નાગરિકો સાથે તેમનો સંબંધ 30 વર્ષથી વધુ સમયથી પ્રેમભર્યો અને પરિવાર જેવો રહ્યો છે.

તાજેતરમાં પડેલા આશરે 20-21 ઇંચ જેટલા ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, અણધાર્યા અને ભારે વરસાદને કારણે વિસ્તારના રહીશોને મુશ્કેલી પડી હતી.

તેમણે જણાવ્યું કે પૂરના પાણી ઓસર્યાના બીજા જ દિવસથી વરસાદી પાણીના કાયમી નિકાલ માટે ગ્રાઉન્ડ લેવલનું આયોજન શરૂ કરી દેવામાં આવ્યું હતું.

રહીશોને ખાતરી આપતા તેમણે કહ્યું કે એવું મજબૂત અને સમયબદ્ધ આયોજન કરવામાં આવ્યું છે કે જેથી ભવિષ્યમાં જો આ વિસ્તારમાં 30 ઇંચ જેટલો વરસાદ પડે તો પણ સોસાયટીઓ અને ઘરોમાં પાણી ન ભરાય.

"બોપલ, ઘુમા, શેલા અને આસપાસના નવા વિકસેલા વિસ્તારો માટે જસપુરથી પીવાના પાણીની પાઇપલાઇનની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેના દ્વારા આગામી સમયમાં તમામ રહીશોને પૂરતા પ્રમાણમાં નર્મદાનું શુદ્ધ પીવાનું પાણી મળશે."

નેપાળમાં આવેલા પૂરમાં 90 અમેરિકનો ગુમ, રાષ્ટ્રપતિ ટ્રમ્પે શું કહ્યું?

નેપાળમાં આવેલા પૂરમાં 90 અમેરિકનો ગુમ, રાષ્ટ્રપતિ ટ્રમ્પે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે કહ્યું કે નેપાળના રસુવા જિલ્લામાં આવેલા પૂર બાદ તમામ શક્ય સહાય કરવાની જાહેરાત કરી છે.

ઍક્ઝિક્યુટિવ આદેશ પર હસ્તાક્ષર કરતી વખતે પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ નેપાળના શીર્ષ નેતૃત્વનો સંપર્ક કર્યો છે અને જરૂરી તમામ સહાયતા કરવાની વાત કરી છે.

આ વિનાશને અત્યંત ભયાનક ગણાવતા તેમણે કહ્યું કે તેમણે આ પહેલાં ક્યારેય આવું કંઈ જોયું નથી.

ટ્રમ્પે કહ્યું "અમે નેપાળ સાથે વાત કરી છે અને તેમને શક્ય તેટલી બધી મદદની ઑફર કરી છે. નેપાળ સાથે અમારા ખૂબ સારા સંબંધો છે. ત્યાં જે બન્યું તે અત્યંત ભયાનક હતું."

"તે ફક્ત પાણી જ નહોતું, પરંતુ પાણી અને કાદવનું ખતરનાક મિશ્રણ હતું જે કદાચ પહેલાં ક્યારેય કોઈએ આવું જોયું નથી."

"મજબૂત યોગ્ય રીતે બનેલી ઇમારતો પણ માચીસની લાકડીઓની જેમ વહી ગઈ."

તેમણે વધુમાં કહ્યું કે આ ખૂબ જ દુઃખદ ઘટના છે અને અમેરિકા મદદ મોકલી રહ્યું છે.

ટ્રમ્પે કહ્યું, "અમે ત્યાંના નેતૃત્વ સાથે વાત કરી છે અને તેમને કહ્યું છે કે અમે તેમને જે પણ મદદની જરૂર પડશે તે પૂરી પાડવા માટે તૈયાર છીએ."

ટ્રમ્પે એમ પણ કહ્યું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં મોટી સંખ્યામાં અમેરિકન નાગરિકો હાજર હતા અને અમેરિકાને હજુ સુધી તમામ અસરગ્રસ્ત લોકોની સંપૂર્ણ યાદી મળી નથી.

અમેરિકાના વિદેશ મંત્રાલય અનુસાર, નેપાળમાં આવેલા પૂરથી લગભગ 90 અમેરિકન નાગરિકો પ્રભાવિત થયા છે.

નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર, દેશમાં પૂરને કારણે મૃત્યુઆંક 389 પર પહોંચી ગયો છે.

નેપાળના વડા પ્રધાન બાલેન શાહે કહ્યું છે કે બચાવકર્મીઓએ અત્યાર સુધીમાં લગભગ 600 લોકોને સુરક્ષિત રીતે બચાવી લીધા છે.

નેપાળ ટુરિઝમ બોર્ડે જણાવ્યું છે કે પૂર પછી 31 દેશોના 540 વિદેશી નાગરિકો ગુમ થયા છે.

આ વિસ્તારની મુલાકાત લેનારા પ્રવાસીઓમાં સૌથી વધુ સંખ્યા ભારતના છે જે 178 છે.

હાલમાં બનેલ તળાવ ઓવરફ્લો થવાનું 'મોટું જોખમ' : ચીનનું સ્ટેટ મીડિયા

હાલમાં બનેલ તળાવ ઓવરફ્લો થવાનું 'મોટું જોખમ' : ચીનનું સ્ટેટ મીડિયા

નેપાળ-તિબેટ સરહદ પર અન્ય એક નવું પૂર આવવાનું જોખમ રહેલું છે, જે રાહત અને બચાવ કામગીરીને વધુ મુશ્કેલ બનાવી શકે છે.

એએફપી ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, ચીનની સરકારી ન્યૂઝ એજન્સી શિન્હુઆએ કહ્યું છે કે અચાનક આવેલા પૂર પછી બનેલું તળાવ 'તૂટી જવાનું અને નીચેના વિસ્તારોમાં પૂરનું પાણી ઘૂસી જવાનું એક મોટું જોખમ સર્જાયું છે.

આ આગાહી સૂચવે છે કે "સતત વરસાદ વચ્ચે આગામી ત્રણ દિવસમાં તળાવમાં પાણીની આવક લગભગ 30 લાખ ક્યુબિક મીટર (3 બિલિયન લિટર) સુધી પહોંચી શકે છે" જે 1200 ઑલિમ્પિક-સાઇઝના સ્વિમિંગ પૂલ બરાબર છે.

સરકારી ન્યૂઝ એજન્સીએ વધુમાં ઉમેર્યું હતું કે આનાથી "ગીરોંગ પૉર્ટ અને નીચાણવાળા વિસ્તારોમાં વધુ નુકસાન થઈ શકે છે".

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન