આ વર્ષે ચોમાસું નબળું : હવામાન વિભાગની ફરી આગાહી, ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે?

ઇમેજ સ્રોત, Getty Images
હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસાના આગામી ચાર મહિનામાં દેશમાં સરેરાશના 90 ટકા જેટલો વરસાદ થશે. જેનો અર્થ એ થયો કે આ વર્ષે દેશમાં ચોમાસું નબળું રહેવાની સંભાવના છે. એકંદરે સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની વધુ શક્યતા છે.
આ પહેલાં હવામાન વિભાગે એપ્રિલમાં જે પૂર્વાનુમાન જારી કર્યું હતું તેમાં કહેવામાં આવ્યું હતું કે લાંબાગાળાની સરેરાશના 92 ટકા વરસાદ થવાની શક્યતા છે. એટલે કે એમાં પણ સરેરાશ કરતાં ઓછો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.
હવામાન વિભાગે ફરી 29 મેના રોજ નબળા ચોમાસાની આગાહી કરી છે અને જૂનથી લઈને સપ્ટેમ્બર સુધી ચાર મહિનામાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થશે.
ગુજરાતમાં પણ હવામાન વિભાગના મોટાભાગના વિસ્તારોમાં પૂર્વાનુમાનમાં સરેરાશ કરતાં ઓછા વરસાદની આગાહી કરી છે.
જોકે, હવામાન વિભાગે 4 ટકાની મૉડલ ત્રૂટી પણ રાખી છે. એનો અર્થ એ થયો કે ચાર મહિનાની લાંબાગાળાની સરેરાશના 86 ટકાથી લઈને 94 ટકા સુધી વરસાદ થઈ શકે છે.
આ વર્ષે ભારતના ચોમાસા પર અલ-નીનોની અસર પણ જોવા મળશે અને જેમ જેમ ચોમાસું આગળ વધશે તેમ તેમ અલ-નીનોની સ્થિતિ મજબૂત થતી જશે.
ગુજરાતમાં કયા વિસ્તારોમાં ચોમાસું નબળું રહેવાની શક્યતા?

ઇમેજ સ્રોત, IMD
ગુજરાત ભારતના પશ્ચિમના વિસ્તારોમાં આવેલું છે અને રાજ્યને હવામાન વિભાગે મૉન્સૂન કૉર ઝોનમાં રાખે છે. આ વિસ્તારોમાં ચોમાસામાં કેવો વરસાદ થાય તેના પર ધ્યાન આપવામાં આવે છે.
ભારતમાં નૈઋત્યાના ચોમાસાના વર્તનને માપવા અને આગાહી કરવા માટે હવામાનશાસ્ત્રીઓ અને કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ઉપયોગમાં લેવાતા મહત્ત્વપૂર્ણ ભૌગોલિક પ્રદેશોને મૉન્સૂન કૉર ઝોન કહેવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હવામાન વિભાગે રજૂ કરેલા પૂર્વાનુમાન પ્રમાણે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ચાર મહિનાના લાંબાગાળા દરમિયાન સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની શક્યતા વધારે છે.
પૂર્વાનુમાન પ્રમાણે મધ્ય ભારતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થશે, આ ઉપરાંત ઉત્તર-પશ્ચિમ ભારતમાં પણ સામાન્ય કરતાં ઓછો વરસાદ થશે. ગુજરાત આ બંને પ્રદેશોમાં આવે છે જેથી રાજ્યમાં પણ સામાન્ય કરતાં ઓછો વરસાદ થશે.
આ વર્ષે એવું પણ બને કે એકાદ વરસાદ થયા બાદ વરસાદ ખેંચાઈ શકે છે અને બે વરસાદ વચ્ચેનો ગાળો લંબાઈ શકે છે. જેથી મગફળી જેવા પાકો અને બીજા પાકોમાં પિયતની જરૂરિયાત ઊભી થઈ શકે છે.
ગુજરાતમાં ચોમાસાની શરૂઆતના જૂન મહિનામાં પણ સરેરાશ કરતાં ઓછો વરસાદ પડે તેવી સંભાવના છે. એટલે કે ચોમાસાની શરૂઆતથી જ વરસાદમાં ઘટ આવી શકે છે.
રાજ્યમાં બે ચાર વિસ્તારોને બાદ કરતાં મોટા ભાગના વિસ્તારોમાં આ વર્ષે ચોમાસામાં વરસાદની ઘટ વર્તાઈ શકે છે. જેથી ખેડૂતોએ પિયતની સગવડ પર આધાર રાખવો પડી શકે છે.
ચોમાસાની શરૂઆત ધીમી થશે?

ઇમેજ સ્રોત, IMD
હવામાન વિભાગે ચાર મહિનાના લાંબાગાળાની સાથે જૂન મહિનામાં પણ ગુજરાત સહિત દેશમાં કેટલો વરસાદ પડશે તેની માહિતી પણ આપી છે.
જૂન મહિનાના પૂર્વાનુમાન પ્રમાણે દેશભરમાં ચોમાસાના આ પ્રથમ મહિનામાં પણ સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની શક્યતા છે.
હવામાન વિભાગનું કહેવું છે કે જૂન મહિનામાં ઉત્તર ભારતના કેટલાક વિસ્તારો, પૂર્વ ભારતના કેટલાક વિસ્તારો તથા દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે.
ગુજરાતમાં કચ્છ જિલ્લામાં અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે.
ગુજરાતના મોટા ભાગના બીજા વિસ્તારોમાં જૂન મહિનામાં પણ સરેરાશ કરતાં ઓછો વરસાદ થવાની શક્યતા છે. એટલે રાજ્યમાં ચોમાસાની શરૂઆતના મહિનામાં પણ સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના છે.
ચોમાસા પર અલ નીનોની અસર થશે?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતના હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ ડૉ. મોહાપાત્રાના કહેવા પ્રમાણે ભારતનું ચોમાસું જેમ જેમ આગળ વધશે તેમ તેમ અલ-નીનો પણ મજબૂત થતું જશે.
સામાન્ય રીતે પ્રશાંત મહાસાગરમાં જ્યારે અલ-નીનો બને ત્યારે ભારતના ચોમાસા પર તેની નકારાત્મક અસર પડે છે. એટલે કે અલ-નીનોના વર્ષમાં સામાન્ય રીતે ભારતમાં ચોમાસામાં સરેરાશ કરતાં ઓછો વરસાદ પડે છે. જોકે, કેટલાંક એવાં વર્ષો પણ હતાં જેમાં અલ-નીનો હોવા છતાં ભારતમાં ચોમાસામાં સારો વરસાદ થયો હતો.
મોહાપાત્રા પ્રમાણે જૂન મહિનામાં નબળું અલ-નીનો બનાવાની શક્યતા છે અને જુલાઈ મહિનાથી અલ-નીનોની સ્થિતિ મજબૂત બનતી જશે.
ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં અલ-નીનો વધારે મજબૂત બની જશે. જ્યારે ઇન્ડિયન ઑશન ડાયપૉલ ચોમાસા દરમિયાન તટસ્થ રહેવાની સંભાવના છે.
જેના કારણે આ વર્ષે દેશમાં ચોમાસા પર અલ-નીનોની અસર જોવા મળી શકે છે અને જે રીતે પૂર્વાનુમાન છે એ પ્રમાણે સરેરાશ કરતાં ઓછો વરસાદ થઈ શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















