600 વર્ષથી કેરળમાં રહેતા ગુજરાતીઓનું જીવન આવું છે
કેરળ એટલે કે કેરલમના દરિયાકિનારે આવેલા કાલિકટનાં આ મકાનો અમદાવાદની પોળોનાં મકાનોની યાદ અપાવે તેવી રીતે બનાવવામાં આવ્યાં છે.
હજુ 10 વર્ષ પહેલાં સુધી અહીં મોટી સંખ્યામાં ગુજરાતી પરિવારો રહેતા હતા, પરંતુ આજકાલ અહીં માત્ર સિનિયર સિટીઝન્સ જ જોવા મળે છે. નવી પેઢીના ગુજરાતીઓ હવે ધીરે ધીરે કેરળને 'અલવિદા' કહી રહ્યા છે.
લગભગ 600 વર્ષથી ગુજરાત તેમજ મુંબઈના અલગ-અલગ ખૂણેથી આવીને કેરળના કાલિકટ, કોચીન, ઇરનાકુલમ્ અને એલેપ્પી જેવા વિસ્તારોમાં વસવાટ કરી રહેલા આ ગુજરાતી મૂળના લોકોની નવી પેઢી હવે ધીરે ધીરે કેરળ છોડી રહી છે.
ગુજરાતીઓ કેરળ કેવી રીતે પહોંચ્યા અને તેઓ ત્યાં શું કરે છે?
કેરળમાં તેમનું જીવન કેવું છે?
જુઓ બીબીસી ગુજરાતીનો આ ખાસ અહેવાલ કેરળથી...

હાલમાં પરિસ્થિતિ એવી છે કે ગુજરાતી સમાજના યુવાનો કેરળમાં રહેવા ઇચ્છતા નથી. તેઓ ઉચ્ચ અભ્યાસ અર્થે બૅંગલુરુ, હૈદરાબાદ અને ચેન્નાઈ જેવાંં શહેરોમાં જાય છે, અને અભ્યાસ બાદ ત્યાં જ વસવાટ કરે છે.
આવી પરિસ્થિતિ માત્ર કાલિકટની જ નથી પરંતુ એલેપ્પી અને કોચીનની પણ છે.
એક સમયમાં એલેપ્પીમાં રહેતા અનેક ગુજરાતી પરિવારોની સંખ્યા હવે 15 ઘરો જેટલી જ છે.
જે પરિવારો અહીં રહે છે, તે લગભગ છેલ્લી પેઢી છે, કારણ કે તેમનાં બાળકો બીજાં શહેરોમાંથી પાછાં આવીને અહીં રહેવાં માંગતાં નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



