83 લોકોનો પરિવાર અને એક જ રસોડું, ભજિયાં ખાવાં હોય 15 કિલો લોટ જોઈએ
આંધ્ર પ્રદેશના અનંતપુર જિલ્લામાં છ પેઢીઓનો એક વિશાળ સંયુક્ત પરિવાર રહે છે. આ ઘરમાં એક દિવસની રસોઈ કરવા માટે 50 કિલો ચોખાની જરૂર પડે છે. રવિવારે સ્પેશિયલ ભોજન કરવું હોય તો એક ઘેટું કાપવું પડે. સાંજે ભજિયાં ખાવાં હોય તો 15 કિલો લોટ તૈયાર કરવો પડે, કારણ કે આ પરિવારમાં 21 નહીં, પણ 83 લોકો છે.
બીબીસી ટીમ આ સંયુક્ત પરિવાર સાથે આખો દિવસ ગાળવા માટે કુર્લાપલ્લી પહોંચી હતી. તેમણે જાણ્યું કે આટલા બધા સભ્યો કેવી રીતે સાથે રહે છે અને ભેગા મળીને શું કરે છે.
કુર્લાપલ્લી કલ્યાણદુર્ગથી સાત કિલોમીટર દૂર આવેલું છે.
આ ગામમાં 400 ઘરો છે અને 2,000ની વસતિ છે. ગામમાં પ્રવેશીને જમણી બાજુ વળતાં રસ્તાની સામસામે બે મોટાં મકાન દેખાય છે. આ બંને મકાનોમાં એ સંયુક્ત પરિવાર રહે છે.
રસ્તાની એક બાજુએ આવેલા બે માળના મકાનમાં પ્રવેશતાં સૌપ્રથમ રસોડું આવે છે. તેની પાછળ બે માળનો વેગન શેડ છે.
આ મકાનની સામે ત્રણ માળનું બીજું એક મકાન છે અને એ જ રસ્તે આગળ જતાં એક વિશાળ ખાલી પ્લૉટ ધરાવતું બીજું મકાન છે.
ત્યાં ટ્રૅક્ટર અને બસોને પાર્ક કરવામાં આવે છે. હવે આ ત્રણ મકાન પૂરતાં નથી અને પરિવાર ચોથું મકાન પણ બનાવી રહ્યો છે.
આવડો મોટો પરિવાર મુખ્યત્વે ખેતી પર નિર્ભર છે. ઘરના સૌ સભ્યો સાથે મળીને ખેતી કરે છે, ઉપરાંત દૂધાળાં ઢોર અને ઘેટાં પણ પાળે છે.
જુઓ, આ ખાસ રજૂઆત, માત્ર બીબીસી ગુજરાતી સાથે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



