'મેં કહ્યું કે તું મને ભાઈ લાગે છે, પણ એ ન માન્યો, તેણે મારા સ્તન પર ઈજા પહોંચાડી', યૌન હિંસાનો મામલો શું છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, હરદોઈમાં લગ્નના ઇન્કાર બાદ યુવકે સગીરાના બ્રેસ્ટને નુકસાન પહોંચાડ્યું સ્તન પ્રેમ પ્રકરણ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, સૈયદ મોઝિજ ઇમામ
    • પદ, બીબીસી માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

ચેતવણી: આ અહેવાલની કેટલીક વિગતો વિચલિત કરી શકે છે

ઉત્તર પ્રદેશના હરદોઈમાં એક સગીરાએ લગ્નનો ઇન્કાર કરતાં તેમની સાથે મારઝૂડ અને તેમના સ્તન પર ઈજા પહોંચાડ્યાનો મામલો સામે આવ્યો છે. પોલીસે આ કેસમાં 24 વર્ષીય યુવકની ધરપકડ કરી લીધી છે.

આ ઘટના 11 મેના રોજ બની હતી. પોલીસે એફઆઇઆરમાં યૌન હિંસા સાથે સંકળાયેલી ગંભીર કલમો લગાવી છે.

સગીરાએ પોલીસને જણાવ્યું કે તેઓ દિલ્હીમાં પોતાનાં મોટાં બહેન સાથે રહે છે અને 3 મેના રોજ પોતાનાં પિતરાઈ બહેનના લગ્નપ્રસંગમાં સામેલ થવા માટે પોતાના ગામડે પહોંચ્યાં હતાં. 11 મેના રોજ જ્યારે તેઓ લગ્ન સમારોહમાંથી ઘરે પરત ફરી રહ્યાં હતાં, એ દરમિયાન જ આ ઘટના ઘટી.

હરદોઈ પોલીસે પહેલાં મારઝૂડનો કેસ દાખલ કર્યો હતો, પરંતુ મામલો વધુ ઉગ્ર બનતાં બાદમાં યૌન હિંસા સાથે સંકળાયેલી કલમો પણ જોડી દેવાઈ.

એસએચઓ સતીશચંદ્ર પ્રમાણે, આ સંબંધમાં બીએનએસની કલમ 115(2), 351(3), 352, 75 અને 118(2) અંતર્ગત કેસ દાખલ કર્યો છે. આ કલમો કોઈને ઈજા પહોંચાડવા, મૃત્યુ નિપજાવવા કે ગંભીર નુકસાન પહોંચાડવાની ધમકી આપવા, શાંતિભંગ કરવા અને યૌન ઉત્પીડન સાથે સંકળાયેલા મામલા સાથે સંબંધિત છે.

યૌન ઉત્પીડન એટલે કોઈ મહિલા વિરુદ્ધ એવો અપરાધ, જે શારીરિક જ નહીં, બલકે માનસિકપણે પણ નુકસાન પહોંચાડે.

પોલીસ જાહેર કરેલા નિવેદનમાં એવું પણ જણાવાયું છે કે આરોપી અને સગીરા પહેલાંથી એકબીજાને ઓળખતાં હતાં.

સગીરાનું નિવેદન

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ,

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સગીરાએ કહ્યું, "મારો આખો પરિવાર ઘરથી થોડે દૂર આવેલા કાકાના ઘરે ગયો હતો. રાતના લગભગ 11 વાગ્યે માએ કહ્યું કે એક વખત ઘરે જઈને જોઈ આવો, બધું ઠીક છે કે નહીં? હું એકલી જ ઘરે જઈ રહી હતી. રસ્તામાં અતુલે મને પકડી લીધી."

સગીરાએ આગળ કહ્યું, "અતુલે મારું મોં દબાવ્યું અને મને સૂમસામ જગ્યાએ લઈ ગયો. ત્યાં તેણે મને ઝાડ સાથે બાંધીને લગ્નનું દબાણ કર્યું. એ પરાણે વાત કરવાની અને દરરોજ મળવાની વાત કરવા લાગ્યો. જ્યારે મેં કહ્યું કે આવું ન થઈ શકે, તો તેણે મારી સાથે મારઝૂડ કરી."

તેઓ કહે છે, "મેં કહ્યું કે તું મને ભાઈ લાગે છે, પણ એ ન માન્યો. એ મને મારતો-ઝૂડતો રહ્યો. એ બાદ તેણે મને ફરી પૂછ્યું - મારી સાથે લગ્ન કરીશ કે નહીં? મેં ના પાડી તો તેણે મારા સ્તન પર ઈજા પહોંચાડી."

સગીરાના પરિવારનો દાવો છે કે તેઓ તેમને ઘરની બહાર બેહોશ અવસ્થામાં મળ્યાં હતાં.

એ બાદ પરિવાર સગીરાને હૉસ્પિટલ લઈ ગયો. ભાનમાં આવ્યા બાદ તેમણે પરિવારને પોતાની સાથે થયેલી ઘટના અંગે વાત કરી. એ બાદ પરિવાર તેમને લઈને પોલીસ ચોકી પહોંચ્યો.

માનો આરોપ છે કે પોલીસ સ્ટેશનમાં તેમની સુનાવણી ન થઈ. જોકે, પોલીસનો દાવો છે કે મામલામાં તુરંત કાર્યવાહી કરતાં આરોપીને જેલમાં નાખી દેવાયો હતો.

બીજી તરફ, આરોપીના પિતરાઈ ભાઈએ નામ ન આપવાની શરતે બીબીસી સાથે વાત કરી અને આ આરોપોને ખોટા ગણાવ્યા અને દાવો કર્યો કે બંને એકબીજાને પહેલાંથી ઓળખતાં હતાં.

છોકરીની માએ મીડિયાને કહ્યું, "અમે લોકો ભણેલા નથી, તેથી અમને ખબર નથી કે પોલીસે એફઆઇઆરમાં શું લખ્યું છે."

પોલીસે શું જણાવ્યું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ,

ઇમેજ સ્રોત, AZEEM MIRZA

ઇમેજ કૅપ્શન, હરદોઈ પોલીસના અજિત ચૌહાણે કહ્યું પૂછપરછમાં આ મામલા પાછળ "પ્રેમપ્રસંગ"ની વાત પણ સામે આવી છે.

એ બાદ મામલો વધુ ઉગ્ર બનતાં ફરી વાર મેડિકલ તપાસ કરાવાઈ, જે બાદ પોલીસે આ કેસમાં વધુ કેટલીક કલમો જોડી છે.

હરદોઈ પોલીસના સર્કલ ઑફિસર અજિત ચૌહાણે કહ્યું, "એક યુવતી સાથે તેના જ ગામની એક વ્યક્તિએ મારઝૂડ કરી હતી. આ સંબંધે બેનીગંજ પોલીસે તરત યુવતીની મેડિકલ તપાસ કરાવી અને તેના ભાઈની અરજીના આધારે સંબંધિત કલમોમાં મામલો દાખલ કર્યો હતો. બાદમાં ફરિયાદ પક્ષે કહ્યું કે છોકરીને વધુ કેટલીક ઈજાઓ પણ થઈ છે, જેનો ઉલ્લેખ અગાઉ મેડિકલમાં નહોતો."

આ મામલામાં પોલીસે જે બે કલમો જોડી છે, તેમાં બીએનએસની કલમ 75 યૌન ઉત્પીડન સાથે સંબંધિત છે, જ્યારે કલમ 118 ખતરનાક હથિયાર કે સાધન વડે ઈજા કે ગંભીર ઈજા પહોંચાડવાના મામલામાં લગાવાય છે.

પોલીસનો દાવો છે કે પૂછપરછમાં આ મામલા પાછળ "પ્રેમપ્રસંગ"ની વાત સામે આવી છે.

પોલીસ પ્રમાણે, આરોપી અતુલ અને સગીરા પહેલાં હરિયાણામાં રહીને મજૂરી કરતાં હતાં અને ગત ત્રણ વર્ષથી બંને વચ્ચે સંબંધ હતા.

પોલીસ તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવાયું છે કે ગામ આવ્યા બાદ કોઈ વાત અંગે બંને વચ્ચે બોલાચાલી થઈ ગઈ, જે બાદ આ ઘટના થઈ.

પોલીસે એવો પણ દાવો કર્યો કે તપાસમાં લગ્ન માટે દબાણ કરવાની વાત હજુ સુધી તથ્યાત્મક રીતે સાચી નથી જણાઈ. પોલીસનું કહેવું છે કે અપહરણના આરોપ પણ તપાસમાં સાચા નથી જણાયા. બંને સ્વેચ્છાએ મળી રહ્યાં હતાં.

'આ સાંભળીને કંપારી છૂટી જાય છે'

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ,

ઇમેજ સ્રોત, Getty Images

આ મામલા અંગે સામાજિક કાર્યકર અને લખનૌ યુનિવર્સિટીનાં પૂર્વ કુલપતિ રૂપરેખા વર્માનું કહેવું છે કે લોકોમાં ડર ઘટી ગયો છે.

તેમણે કહ્યું, "આ સાંભળીને કંપારી છૂટી જાય છે. વિચારી પણ ન શકાય કે કોઈ છોકરો આવું પણ કરી શકે છે, આવા ઘણા કેસ છે, જેમાં આગળ ખબર જ નથી પડતી કે શું થયું છે."

જોકે, આ મામલે પર મનોચિકિત્સકોનો મત છે કે બદલાની ભાવનાને કારણે આ પ્રકાર ઘટનાઓ બને છે.

યુનિટી લૉ કૉલેજમાં મનોવિજ્ઞાનના સહાયક પ્રોફેસર શમ્સી અકબરે કહ્યું, "આ પ્રકારની ઘટનામાં કોઈ એક નિશ્ચિત "માનસિક બીમારી" અંગેનું નિષ્કર્ષ સીધું ન કાઢી શકાય. કોઈ વ્યક્તિનો આટલો હિંસક, અનિયંત્રણકારી અને યૌન આક્રમક વ્યવહાર હોય, તેનાં ઘણાં મનોવૈજ્ઞાનિક અને સામાજિક કારણો હોઈ શકે છે."

તેમણે કહ્યું, "ના ન પાડી શકવી, મહિલાને પોતાની સંપત્તિ સમજવું, પરાણે સંબંધો થોપવા - આ બધી સામાજિક અને વ્યવહારિક સમસ્યાઓ પણ હોય છે, જેના કારણે આવી ઘટનાઓ સામે આવે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન