You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અદાણીનો ઓસ્ટ્રેલિયામાં કેમ વિરોધ થઈ રહ્યો છે?
ઑસ્ટ્રેલિયામાં ગુજરાત સ્થિત અદાણી જૂથના પ્રસ્તાવિત કોયલાની ખાણના પ્રોજેક્ટનો છેલ્લા ઘણાં સમયથી વિરોધ ચાલી રહ્યો છે.
વિરોધ કરતા લોકો મુજબ આ પ્રસ્તાવિત પરિયોજના પર્યાવરણ માટે હાનિકારક છે અને તેનાથી વાતાવરણમાં ગ્રીન હાઉસ ગેસની માત્રામાં ઝડપથી વધારો થશે.
જોકે, પ્રોજેક્ટનું સમર્થન કરતા લોકોનું કહેવું છે કે તેનાથી લોકોને રોજગારી મળશે.
પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ શું છે તે જાણવા માટે બીબીસી ગુજરાતીની ટીમ ઑસ્ટ્રેલિયાની કારમાઇકલ કોલસા ખાણ ખાતે પહોંચી હતી.
જમીનનો કોલસો જમીનમાં જ રહેવો જોઈએ?
કારમાઇકલ કોલસા ખાણ ઉત્તરી ઑસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડ રાજ્યમાં છે, અહીં અદાણીની કંપની ખોદકામ કરવાની છે.
સમુદ્રના કિનારે વસેલા બોવનથી અહીં પહોંચવા માટે પહેલા પાક્કા રસ્તા પર અને પછી કાચા રસ્તા પર આશરે 400 કિલોમીટર લાંબી મુસાફરી કરવી પડે છે.
તમને આ પણ વાંચવું ગમશે
રસ્તાની બન્ને તરફ ન કોઈ ઘર છે, ન કોઈ હોટેલ. બસ નાના નાના પહાડ, ઘણાં એકર વિસ્તારમાં દૂરદૂર સુધી ફેલાયેલા ખેતર અને ચાલતી ગાડીઓ તરફ જોતા કાંગારૂ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઘણી વખત મનમાં સવાલ આવ્યો કે આટલા ઉજ્જડ વિસ્તારમાં બનવા જતી એક ખાણ પર આટલી ચર્ચા કે વિવાદ કેમ થઈ રહ્યાં છે?
રસ્તામાં અમને અદાણીના વિરોધીઓનો એક ગુપ્ત કેમ્પ મળ્યો. 'ગુપ્ત' એટલે ઉગ્ર અદાણી સમર્થકોથી દૂર, જેથી ઉગ્ર અદાણી સમર્થક ત્યાં પહોંચી ન શકે.
જંગલની વચ્ચે હાજર આ કેમ્પમાં વાઈ-ફાઈની ઠીકઠાક સુવિધા હતી. ભોજન બનાવતાં, એકબીજાને વેચતા તેમજ તેને ખાતા લોકો હતાં.
રહેવા માટે તંબૂ હતા અને લેપટોપ પર પ્રદર્શનનોની યોજના બનાવી રહેલા પ્રદર્શનકારી હતા.
'સ્ટૉપ અદાણી'ના સંદેશ લખેલા ટી-શર્ટ પહેરીને કેટલાક લોકો ગીત ગાઈ રહ્યા હતા. કેટલાક લોકો 'સ્ટૉપ અદાણી' પોસ્ટર બનાવી રહ્યા હતા.
ઘણી જગ્યાએ દિવાલોની સાથે અદાણી વિરુદ્ધ બેનર અને પોસ્ટર રાખવામાં આવ્યા હતા.
પરંતુ આ જગ્યા કોઈ પિકનિક સ્પોટ નથી.
અહીં હાજર આશરે 40 પ્રદર્શનકારીઓમાંથી એક સ્કૉટ ડેંસે જણાવ્યું, "આ કૅમ્પ અદાણીને અટકાવવા માટે છે.
"અહીં લોકો ભોજન બનાવે છે, સફાઈ કરે છે અને અદાણી વિરુદ્ધ યોજાતા વિરોધ પ્રદર્શનોની યોજના બનાવે છે."
તેમનું કહેવું છે, "વૈજ્ઞાનિકો કહે છે કે કોલસા જમીનમાં જ રહેવા જોઈએ, બહાર નહીં. એ જ કારણ છે કે અમે અહીં છીએ."
એ પૂછવા પર કે આ વિરોધ માટે પૈસા ક્યાંથી આવે છે, તો તેના જવાબમાં તેઓ કહે છે, "આ પૈસા ફાળાની મદદથી એકત્રિત કરવામાં આવે છે.
"અહીં બધા સ્વયંસેવી છે. એવું નથી કે કોઈ શ્રીમંત અમારી મદદ કરી રહ્યા છે."
ભારત અને ઑસ્ટ્રેલિયામાં ઘણાં લોકો આ સવાલ ઉઠાવે છે કે જો અદાણી કોઈ પશ્ચિમી કંપની હોત, તો શું ત્યારે પણ આ જ પ્રદર્શનકારી અહીં જ પ્રદર્શન કરતા હોત?
તેના જવાબમાં સ્કૉટ કહે છે, "જો આ કંપની કોઈ ઑસ્ટ્રેલિયાની કંપની હોત, તો પણ અમે અહીં જ હોત અને તેનો વિરોધ કર્યો હોત."
આદિવાસી સમાજ પણ છે ખાણ વિરુદ્ધ
કેન્દ્રીય સંશાધન અને ઉત્તરી ઑસ્ટ્રેલિયાના મંત્રી મૈથ્યૂ કેનવને અમને જણાવ્યું, "બીજા કોઈ દેશની જેમ ઑસ્ટ્રેલિયામાં પણ એક નાનો વર્ગ એવો છે કે જે નથી ઇચ્છતો કે વિદેશીઓ અહીં આવે."
"મને લાગે છે કે આ દુર્ભાગ્યપૂર્ણ છે કે પર્યાવરણ આંદોલનકારી ઑસ્ટ્રેલિયાઈ સોસાયટીમાં વિદેશીઓ, વિદેશી રોકાણ વિરુદ્ધ વંશીય ભેદભાવની ભાવનાને હવા આપી રહ્યા છે. આ શરમજનક છે, પણ તેઓ એમ કરી રહ્યા છે."
કૅમ્પની નજીક જ કેન પીટર્સ ડૉડનું ઘર હતું. તેઓ બીરી-વીડી નામના આદિવાસી સમુદાય સાથે સંબંધ ધરાવે છે. સમુદાયના ઘણાં લોકો અદાણીની આ પરિયોજનાનો વિરોધ કરી રહ્યા છે.
કેન પીટર્સનું ઘર ઝાડ, ઝાડીઓ અને પર્યાવરણ બચાવવાના અનુરોધ કરતા પોસ્ટરથી ઘેરાયેલું હતું.
ઘરની પાછળ એક રૂમ ચિત્રોથી ભરપૂર હતો. તેની નજીક જ રંગોથી રંગાયેલા ટેબલ પર લાંબા સમયથી સતત વાપરવામાં આવેલું રંગકામમાં ઉપયોગમાં લેવાતું બ્રશ અને એક બોક્સ અવ્યવસ્થિત રીતે પડેલું હતું.
ડૉડ કહે છે, "અમે જોયું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં કેવી રીતે અમારી પરંપરાગત જન્મભૂમિનો વિનાશ થયો છે.
"સરકાર અમારી સહમતીથી અને તેના વગર જમીન લઈ લેશે તેના માટે અમારે તેમની સાથે સમજૂતી કરવી પડે છે.
"કંપનીઓ અમને જે વળતર આપે છે, તે ખૂબ ઓછું હોય છે. ખોદકામ થયું તો આ ખાણની જમીનની નીચેનાં પાણી પર ખરાબ અસર પડશે.
"આ પાણીને એકત્ર થવામાં વર્ષો લાગી જાય છે, પરંતુ કોલસાના કારણે તે જલદી ખલાસ થઈ જશે."
કારમાઇકલ કોલસા ખાણના વિસ્તારને ગૈલિલી બેસિન તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે અમે પ્રસ્તાવિત ખાણની નજીક પહોંચવાના હતા ત્યારે એક કારે અમારો પીછો કર્યો.
ધૂળની ડમરીઓમાં ચમકતી હેડલાઇટ્સ અમારા હૃદયના ધબકારા વધારી રહી હતી.
ગાડી નજીક આવી તો એક વ્યક્તિ ઉતરીને અમારી તસવીરો લેવા લાગ્યા હતા.
નામ, સરનામું પૂછવા પર કોઈ જવાબ આપ્યા વગર તે વ્યક્તિ ઉજ્જડ વિસ્તારમાં બનેલી એક ઇમારતના ગેટમાં ઘુસી ગયા હતા.
પ્રસ્તાવિત વિસ્તારમાં ગાય અને કાંગારુ તડકાથી બચવા માટે ઝાડ નીચે ઊભા હતા.
મેં મારી જાતને પૂછ્યું, "આ વેરાન વિસ્તાર માટે ઑસ્ટ્રેલિયામાં ઘમાસાણ કેમ ચાલી રહ્યું છે?"
ખાણની માટે રેલવે લાઇન નખાશે
અદાણી માટે પડકાર ન માત્ર આ વેરાન વિસ્તારમાં ખાણ ખોદવાનો છે, પણ કાઢવામાં આવેલા કોલસાને લઇને 400 કિલોમીટર દૂર એભટ પૉઇન્ટ બંદર સુધી પહોંચવાનો પણ છે.
જેથી તેને નિકાસ માટે ભારત કે પછી બીજા દેશની બજારો સુધી પણ મોકલી શકાય.
આ માટે કંપનીએ એક રેલવે લાઇન બનાવવી પડશે જેના માટે આસપાસના ખેડૂતો પાસેથી જમીન લેવામાં આવી છે.
ખેડૂતોએ અમારી સાથે વાત કરવાની ના પાડી દીધી હતી કેમ કે, તેમણે 'કૉન્ફિડેંશિયલટી એગ્રીમેન્ટ' પર હસ્તાક્ષર કર્યા હતા.
તેમાંથી એક ખેડૂતે કહ્યું કે સરકારે કંઇક કરવું હોય છે તો તમે તેને રોકી શકો નહીં.
પ્રોજેક્ટનો વિરોધ કરતા લોકો કહે છે કે જો રેલવે લાઇન બની તો આસપાસના નિષ્ક્રિય પડેલા પ્રોજેક્ટ પણ ફરી જીવિત થઈ જશે.
રેલવે લાઇન ધરતની નીચે દબાયેલા હજારો, કરોડો ટન કોલસાને કાઢીને તેની નિકાસ કરવાનો રસ્તો સુલભ થઈ જશે.
અદાણી ઑસ્ટ્રેલિયા વેબસાઇટની માહિતી અનુસાર જો અદાણીની પરિયોજના સંપૂર્ણપણે અમલી થઈ તો ખાણમાંથી કાઢવામાં આવેલા કોલસા 220 ડબ્બા વાળી રેલગાડીના માધ્યમથી 400 કિલોમીટર દૂર એબટ પૉઇન્ટ બંદર સુધી મોકલવામાં આવશે.
એક ટ્રીપમાં આ ટ્રેન આશરે 24 હજાર ટન કોલસા બંદર સુધી પહોંચાડી શકશે.
પરંતુ સતત થઈ રહેલી ટીકાના કારણે આ મામલો રેલવે લાઇન ફંડીંગના મુદ્દે અટવાઈ ગયો છે.
પરિયોજનાના સમર્થકોની માહિતી મુજબ, આ પ્રોજેક્ટથી ક્વીન્સલેન્ડમાં ખુશહાલી આવશે અને લોકોને નોકરીઓ મળશે.
અદાણીએ બીબીસીને મોકલેલા એક નિવેદનમાં કહ્યું કે, તેમણે ઑસ્ટ્રેલિયામાં કંપની પર લગાવવામાં આવેલા પર્યાવરણ સાથે જોડાયેલા નિયમોનું પાલન કર્યું છે અને તેને 112 સરકારી મંજૂરીઓ મળી ચૂકી છે.
પ્રોજેક્ટનું ભવિષ્ય
બૅન્કો, નાણાંકીય સંસ્થાઓ બાદ સ્થાનિક ક્વીન્સલેન્ડ રાજ્ય સરકારે રેલવે લાઇનને પ્રસ્તાવિત સરકારી ઋણ આપવાથી પોતાના હાથ પાછા ખેંચી લીધા છે.
પરંતુ ઑસ્ટ્રેલિયાની કેન્દ્ર સરકાર અદાણીની સાથે છે.
આ કારણોસર સવાલ પૂછાઈ રહ્યા છે કે વર્ષોથી વિવાદમાં ફસાયેલા આ પ્રોજેક્ટનું ભવિષ્ય હવે શું હશે? કે પછી કંપની જાતે આ પ્રોજેક્ટમાં પૈસા લગાવશે?
બીબીસીને મોકલેલા જવાબમાં કંપનીએ કહ્યું છે, "અદાણી પ્રોજેક્ટને લઇને પ્રતિબદ્ધ છે અને અમને વિશ્વાસ છે કે અમને ફંડ મળશે."
જોકે, આ વિશ્વાસનો આધાર શું છે, તેનો જવાબ કંપનીએ આપ્યો નથી.
ભવિષ્ય અક્ષય ઊર્જા છે તો કોલસા શા માટે?
છેલ્લા કેટલાક વર્ષોમાં વૈશ્વિક પરિસ્થિતિઓ બદલાઈ છે. લોકો જળવાયુ પરિવર્તન, પેરિસ ક્લાઇમેટ ચેન્જ સમજૂતી મામલે વધારે જાગૃત થયા છે.
રિપોર્ટના આધારે, ભારતીય કોલસા મંત્રી પીયૂષ ગોયલ કહી ચૂક્યા છે કે ભારત પાસે પર્યાપ્ત કોલસા છે અને તેણે કોલસાની આયાત કરવાની જરૂર નથી.
દુનિયાની મોટી કંપનીઓમાં સામેલ બ્લેકરોક ઇન્વેસ્ટમેન્ટ ગ્રૂપે કહ્યું, કોલસાનું ભવિષ્ય નથી. ભવિષ્ય અક્ષય ઊર્જાનું છે.
અમેરિકા અને યૂરોપમાં કોલસાના પ્લાન્ટ બંધ થઈ રહ્યા છે. સાથે જ સૌર ઊર્જા અને વાયુ ઊર્જાના ભાવ ઘટી રહ્યા છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના 2016ના રિપોર્ટ પ્રમાણે, વાયુ પ્રદૂષણથી દર વર્ષે 30 લાખ લોકોના મૃત્યુ થાય છે.
અન્ય એક રિપોર્ટના આધારે, સમગ્ર દુનિયામાં અક્ષય ઊર્જામાં 242 અબજ ડોલરનું રોકાણ થયું છે જેના કારણે વર્ષ 2016માં વૈશ્વિક ઊર્જા ક્ષમતા 138.5 ગીગાવૉટ થઈ ગઈ છે, જે ગત વર્ષ કરતા 9 ટકા વધારે છે.
ગ્રેટ બેરિયર રીફ
પર્યાવરણવિદ્ લાંસ પેને અમને પ્લાસ્ટિકના ડબ્બામાં બંધ કોલસાના ટૂકડા દેખાડ્યા. લાંસના આધારે આ ટૂકડા તેમના દરિયા કિનારે મળ્યા હતા.
"સમુદ્રના કિનારે આ ગંદી વસ્તુઓનું મળવું ખતરનાક છે. આપણે કોલસા કાઢીએ છીએ અને પછી કોલસાને વાતાવરણમાં ફેલાવી દઈએ છીએ. તે સારું નથી.
"ક્વીન્સલેન્ડના કિનારા પર ગ્રેટ બેરિયર રીફ એક બાથટબ જેવું છે. તમે મહાસાગરની આ જગ્યાએ જે કંઈ નાખશો, તે ત્યાં જ રહેશે. જો કોલસાના બંદરથી કોલસા પડશે તો તે ત્યાં જ રહી જશે."
પરિયોજના માટે ઋણ
લાંસ પેન કહે છે, "એ વાત સ્પષ્ટ છે કે કોલસા કોરલને ખતમ કરી દે છે. ગ્રેટ બેરિયર રીફમાં ખૂબ જ દુર્લભ જીવ જંતુ છે કે જે કોરલ બ્લીચિંગના કારણે ખતરામાં છે."
ક્વીન્સલેન્ડ રાજ્યના કિનારે બેરિયર રીફ દુનિયાના એ અદ્ભૂત સ્થળોમાંથી એક છે કે જ્યાં હજારો પ્રકારના અનોખા જીવ જંતુઓ વસે છે.
અદાણી પ્રોજેક્ટનો વિરોધ કરતા લોકો પૂછી રહ્યા છે કે જ્યારે ભારત અને ચીન અક્ષય ઊર્જામાં રોકાણ કરી રહ્યા છે તો પછી કારમાઇકલ ખાણમાંથી કાઢેલા કોલસા ક્યાં જશે?
અને તેવામાં મૂળભૂત સુવિધાઓના નિર્માણના નામે અબજો ડોલર ખર્ચ કરીને ઉજ્જડ જગ્યાએ રેલવે લાઇન બનાવવા જેવા કામનું તર્ક શું છે? ત્યારે કોણ આ પરિયોજનાને ઋણ આપવા માટે રાજી થશે?
લટકી રહ્યું છે અદાણીનું ભવિષ્ય
ખાણમાંથી નીકળેલા કોલસામાંથી મોટાભાગના કોલસાને ભારત નિકાસ કરવાનો પ્રસ્તાવ હતો, પરંતુ હવે ન તો અદાણી, ન અદાણી સમર્થક સ્પષ્ટપણે બતાવી રહ્યા છે કે કંપની માટે આગળ શું રસ્તો હશે.
કેન્દ્રીય સંસાધન મંત્રી મૈટ કેનવનને વિશ્વાસ છે કે ગૈલિલી બેસિન જલદી ખુલી જશે કેમ કે "આટલી સારી ગુણવત્તા ધરાવતા કોલસા બીજી કોઈ જગ્યાએ નથી. હું અદાણી અને બીજી કંપનીઓના રેકોર્ડથી ખુશ છું અને તેમનું અહીં સ્વાગત કરું છું."
પરંતુ સિડનીમાં ઊર્જા વિશ્લેષક ટિમ બકલેને લાગે છે, "જો અદાણી પ્રોજેક્ટ આ વર્ષે આગળ વધશે નહીં તો મને લાગતું નથી કે તે આગળ વધી શકશે.
"કેમ કે, જ્યાં સુધી સામે એક અબજપતિ હોય તો કંઈ કહી શકતા નથી. જો તેઓ (ગૌતમ અદાણી) ઇચ્છે તો આ પરિયોજનાને તેઓ આગળ વધારી શકે છે."
બગડતી અર્થવ્યવસ્થાની વાત
લગભગ બે લાખની વસતી ધરાવતા ટાઉંસવિલમાં લોકો ઇચ્છે છે કે આ પ્રોજેક્ટ આગળ વધે.
નોકરીની ચિંતા પર્યાવરણ સાથે જોડાયેલી પરેશાનીઓને ઢાંકી દે છે.
અહીં આશરે 44 હજાર લોકો કોલસા ક્ષેત્ર સાથે જોડાયેલા છે અને છેલ્લા 10 વર્ષોમાં અહીં ઘણી બધી નોકરીઓ ખતમ થઈ ગઈ છે.
અહીં શહેરના કેન્દ્રમાં દુકાનો, સંસ્થાઓના પડેલા શટર અહીંની બગડેલી અર્થવ્યવસ્થાને દર્શાવે છે.
નોકરી મોટી કે પર્યાવરણ?
એક વ્યક્તિએ અમને જણાવ્યું, "અમને નોકરીની જરૂર છે. એ માટે અમે અદાણીનું સમર્થન કરીએ છીએ."
બીજી એક વ્યક્તિએ કહ્યું, "અમને લાગે છે કે ખાણનું કામ આગળ વધવું જોઈએ. ઑસ્ટ્રેલિયામાં પર્યાવરણ મામલે ઢગલાબંધ કાયદા છે."
બિઝનેસ લૉબી ગ્રૂપ ટાઉંસવિલ એન્ટરપ્રાઇઝના માઇકલ મૈકમિલન કહે છે કે અક્ષય ઊર્જાના વધતા વ્યાપ છતાં કોલસાની અવગણના કરવી થોડી ઉતાવળ છે.
તેઓ કહે છે, "પ્રદર્શનકારીઓની થોડી ચિંતાઓ સાચી છે. પરંતુ તેમણે હજુ એક વખત વિચારવાની જરૂર છે કે વિકાસ તરફ આગળ વધતી અર્થવ્યવસ્થાઓને વીજળી ઉત્પન્ન કરવા માટે કોલસાની જરૂર છે.
"તેઓ માત્ર અક્ષય ઊર્જા પર ભરોસો રાખી શકે તેમ નથી."
"જો તેમણે (વિકાસશીલ દેશોએ) ઑસ્ટ્રેલિયા પાસેથી કોલસાની ખરીદી ન કરી તો તેઓ બીજી કોઈ જગ્યાએથી ખરીદી લેશે જેની ગુણવત્તા કદાચ આટલી સારી ન હોય."
મૈકે નિવાસી અને પૂર્વ 'સ્ટૉપ અદાણી' કેમ્પેઇનના ક્લેયર જૉન્સ્ટનના વિચાર તેમના કરતા થોડા અલગ છે.
તેઓ કહે છે, "હું ગૌતમ અદાણીને કહીશ કે તેમણે જે રીતે ભારતમાં તબાહી મચાવી છે, તે દુનિયામાં ન ફેલાવે. અમે તેમને ઑસ્ટ્રેલિયામાં એવું કરવા નહીં દઈએ."
મજબૂત કાયદો
ક્લેયસ્ટર જૉન્સ્ટન કહે છે, "અદાણીને રોકવા જરૂરી છે કેમ કે આ કંપની પર્યાવરણનું આદર કરતી નથી.
"ઑસ્ટ્રેલિયામાં પર્યાવરણને લઇને કાયદો મજબૂત છે, પરંતુ આ કંપનીનો અમારી સરકાર પર એટલો પ્રભાવ છે કે અમારે કંપની વિરુદ્ધ ઊભું થવું પડ્યું છે."
તેઓ કહે છે, "કોલસો એક એવો ડાયનાસોર છે કે જેને જમીનમાં જ દબાવી દેવો જોઈએ."
વિશેષજ્ઞોના આધારે વર્ષો સુધી આ પ્રોજેક્ટ ફસાયા રહેવાના કારણે કંપની વિકલ્પો પર વિચાર કરી રહી હશે.
પરંતુ વિકલ્પ જે કંઈ હોય, તેના પર ભારતમાં ખાસ ચર્ચા થતી દેખાતી નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો