You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બેરોજગારી : ભારતમાં વિદેશી રોકાણ વધ્યું, સરકાર યોજનાઓ લાવી તો પણ કેમ નથી મળતી કાયમી નોકરી?
- વાંચવાનો સમય: 7 મિનિટ
છેલ્લાં આઠ વર્ષમાં ભારતમાં વિદેશી પ્રત્યક્ષ રોકાણ બમણું થયું છે, પરંતુ બેરોજગારીનો દર ઘટ્યો નથી. નવી નોકરીઓ કેમ નથી મળી રહી? જાણો સાચું કારણ.
કેદાશ્વર રાવ આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમમાં રહે છે. 26 વર્ષથી સરકારી નોકરીમાં હોવા છતાં તેમની પાસે સરકારી નોકરી નહોતી.
1996માં તેમણે શિક્ષકની નોકરી માટે ડીએસસીની પરીક્ષા આપી. પરીક્ષા પાસ પણ કરી. પરંતુ તેઓ 2022 સુધી નોકરીમાં જોડાઈ શક્યા નહીં.
દરમિયાન કેદાશ્વર રાવ બી.એડ.ની ડિગ્રી હોવા છતાં સાઇકલ પર ફરીને જૂનાં કપડાં વેચે છે અને આ રીતે પોતાનું ગુજરાન ચલાવતા રહ્યા.
સરકારી તંત્રની ખામી કહો કે ન્યાયતંત્રમાં ન્યાય મેળવવામાં વિલંબ કહો, તેમની યુવાનીનાં નિર્ણાયક 26 વર્ષ વીતી ગયાં. ગરીબી અને ભૂખમરા વચ્ચે જીવતા તેઓ લગ્ન પણ કરી શક્યા નહીં અને તેમની માતાનો સહારો પણ ગુમાવી દીધો.
પછી એક દિવસ અચાનક એવું બન્યું જેની તેમણે વર્ષો પહેલાં આશા છોડી દીધી હતી.
જૂન 2022માં, મુખ્ય મંત્રી જગન મોહન રેડ્ડીએ એક દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા અને 1998 ડીએસસી પરીક્ષા પાસ કરનારા તમામ ઉમેદવારોને નોકરીમાં જોડાવા આદેશ આપ્યો.
કેદાશ્વર રાવને પણ સરકારી શાળામાં શિક્ષકની નોકરી મળી. હવે તે શાળામાં ભણાવે છે. તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. પહેરવા માટે સારાં કપડાં અને પેટ ભરીને ખાવાનું મળી રહ્યું છે. હવે તેઓ બચત પણ કરી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે કેન્દ્ર સરકારની ફાઇલોમાં કેદાશ્વર રાવ 1996થી 2002 સુધી બેરોજગાર ન હતા. શિક્ષક બન્યા પછી તો હવે બિલકુલ નહીં.
સરકારી વ્યાખ્યા મુજબ, જો કોઈ વ્યક્તિ સાત દિવસમાં એક કલાક પણ કોઈ નોકરી અથવા દૈનિક વેતન મેળવે તો તે બેરોજગાર નથી તેવું માનવામાં આવે છે.
રોજગારની આ વ્યાખ્યા ઇન્ટરનેશનલ લેબર ઑર્ગેનાઇઝેશન (આઈએલઓ)ની છે, જેને દુનિયાભરમાં સ્વીકારવામાં આવે છે જેથી બેરોજગારીના આંકડાની સરખામણી કરી શકાય.
પરંતુ ભારતની સંસ્થા કેદાશ્વર રાવ જેવા લોકોને ક્યારેક બેરોજગારની શ્રેણીમાં મૂકે છે અને તો ક્યારેક રોજગાર ધરાવતા લોકોની.
આ સંસ્થા સેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકોનૉમી (સીએમઆઈઈ) છે અને તે અર્થવ્યવસ્થા સંબંધિત ડેટા એકત્રિત કરે છે.
સીએમઆઈઈ દ્વારા ભારતના બેરોજગારીના આંકડા દર મહિને રાજ્યવાર જાહેર કરવામાં આવે છે. તેમના મતે, જો કોઈ વ્યક્તિ સરવેના દિવસે નોકરી શોધી રહી હોય તો તે બેરોજગાર છે.
આ સંદર્ભમાં, છેલ્લાં 26 વર્ષમાં કેદાશ્વર રાવ સાથે આવું ઘણી વખત બન્યું છે.
તમને ભારતના બેરોજગારીના આંકડાઓમાં કેદાશ્વર રાવ જેવાં ઘણાં ઉદાહરણો જોવાં મળશે જ્યાં યુવાનોને શિક્ષણ અને કૌશલ્ય અને ક્ષમતા હોવા છતાં ગુણવત્તાયુક્ત નોકરીઓ મળતી નથી.
કેદાશ્વર રાવ એ એક ઉદાહરણ છે કે સરકારી નોકરીઓ બહાર પાડવામાં, પરીક્ષા લેવામાં, પાસ થવામાં અને સરકારી નોકરીમાં જોડાવામાં આટલો સમય કેમ અને કેવી રીતે લાગે છે.
કેદાશ્વર રાવે ભારતની બેરોજગારી પ્રણાલીનો પર્દાફાશ કર્યો, જ્યાં આંકડામાં તેઓ યુવાનોને રોજગારી આપે છે, પરંતુ વાસ્તવિક જીવનમાં તેઓ મહિનામાં 10 દિવસ અને ક્યારેક 15 દિવસ ખાધા વિના સૂઈ જવા માટે મજબૂર હતા.
સંક્ષિપ્તમાં: ...તો આ છે નવી નોકરી નહીં મળવા પાછળનું સૌથી મોટું કારણ
- ભારતમાં પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણ વધ્યું છે પણ બેરોજગારીનો દર ઘટવાને બદલે સતત વધી રહ્યો છે.
- ટૂંકા ગાળાના રોજગારમાં, અગ્નિવીર જેવી યોજનાઓ જ નહીં, પરંતુ ઓલા, ઉબર, ઝોમેટોના ડિલિવરી બૉય અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં કામ કરતા હંગામી કર્મચારીઓ પણ આ શ્રેણીમાં આવે છે. આ બધાને તે 'ગિગ ઇકોનૉમી'ના ભાગ તરીકે વર્ણવે છે.
- સરકાર ટૂંકા ગાળાના રોજગાર ઉપર ભાર મૂકે છે. પરંતુ ટૂંકા ગાળાનો રોજગાર અર્થતંત્ર માટે, શ્રમ માટે, ગૃહસ્થો માટે સારો નથી. લોકોને સારી ગુણવત્તાનો રોજગાર મળે તે મહત્વનું છે જે કાયમી હોય.
- નોકરીઓ લાંબા સમયગાળા માટે હોવી જોઈએ. જેમાં પીએફ કાપવામાં આવે, રજાઓ મળે, પેઇડ રજાઓ મળે, મેટરનિટી લીવ મળે.
- સ્થિર લેબર ફોર્સના નિર્માણ માટે આ બધું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેનાથી સારી રોજગારી મળશે, લોકો બચત કરશે અને તે બચત રોકાણ તરફ દોરી જશે.
ભારતમાં રોજગાર અને બેરોજગારીના આંકડા
સીએમઆઈઈના આંકડા અનુસાર, જુલાઈમાં ભારતમાં બેરોજગારીનો દર 6.9 ટકા હતો.
આ દરમિયાન હરિયાણા પહેલા ક્રમે, જમ્મુ-કાશ્મીર બીજા ક્રમે અને રાજસ્થાન ત્રીજા ક્રમે હતું.
ગયા મહિને સંસદમાં આપેલા લેખિત નિવેદનમાં મોદી સરકારે કહ્યું હતું કે છેલ્લાં આઠ વર્ષમાં 22 કરોડ યુવાનોએ કેન્દ્રીય વિભાગોમાં નોકરી માટે અરજી કરી હતી, જેમાંથી માત્ર સાત લાખને જ રોજગારી મળી છે, જ્યારે ભારત સરકાર પાસે મંજૂર કરેલી એક કરોડ જગ્યા ખાલી છે.
જ્યારે છેલ્લાં વર્ષોમાં ભારતનું સીધું વિદેશી રોકાણ 20 ગણું વધ્યું છે.
આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે જો વિદેશી રોકાણ સતત વધી રહ્યું હોય તો બેરોજગારીનો દર ઘટવાને બદલે કેમ સતત વધી રહ્યો છે?
આ જ સવાલ અમે સીએમઆઈઈના મૅનેજિંગ ડિરેક્ટર મહેશ વ્યાસને પૂછ્યો હતો.
જવાબમાં તેમણે કહ્યું હતું કે, "ભારતમાં વિદેશમાંથી જે રોકાણ આવે છે તે તમામ રોકાણ એવાં ક્ષેત્રમાં આવે છે જ્યાં લેબર ઓછું લાગે છે. અમે તેને મૂડી સઘન ઉદ્યોગો (કૅપિટલ ઇન્ટેન્સિવ ઇન્ડસ્ટ્રી) કહીએ છીએ. જેવા કે પેટ્રો-કેમિકલ ઉદ્યોગ, સ્ટીલ અને પાવર જેવા ઉદ્યોગોમાં શ્રમ ઓછો લાગે છે."
"જો કુલ જીડીપીની તુલનામાં રોકાણ ઘટી રહ્યું હોય તો એ જરૂરી બની જાય છે કે સરકારે રોકાણને વધુ પ્રોત્સાહન આપવું."
"તે કેવી રીતે કરી શકાય તે અન્ય અર્થશાસ્ત્રીઓ અને સરકારી સલાહકારો કહી શકે છે, પરંતુ મૂળ વાત એ છે કે રોકાણ થવું જોઈએ અને તે પણ શ્રમ સઘન ઉદ્યોગમાં."
પોતાની જ સરકાર પર વરુણ ગાંધીના પ્રહારો
પરંતુ એવું નથી કે માત્ર સરકારી નોકરીઓમાં જ જગ્યાઓ ખાલી છે. ખાનગી ક્ષેત્રની હાલત પણ ખરાબ છે. સ્ટાર્ટ અપ અને યૂનિકૉર્ન કંપનીઓની હાલત પણ આવી જ છે.
ભાજપના સાંસદ વરુણ ગાંધી આજકાલ ભારતની બેરોજગારીના આંકડાને લઈને પોતાની જ સરકાર પર આક્રમણ કરી રહ્યા છે.
ચાર જુલાઈના રોજ, તેમણે એક અખબારના કતરણ સાથે ટ્વીટ કર્યું હતું, "છ મહિનામાં 11 હજાર યુવાનોએ નોકરી ગુમાવી, આ આંકડો વર્ષના અંત સુધીમાં 60 હજાર સુધી પહોંચી શકે છે. યૂનિકૉર્ન કંપનીઓનું માનવું છે કે આગામી બે વર્ષ પડકારજનક છે."
મોદી સરકારનો પક્ષ
આંધ્ર પ્રદેશના કેદાશ્વર રાવની કહાણી તો લાયક હોવા છતાં નોકરીની રાહ જોતા રહેવાની કહાણી હતી.
પરંતુ બેરોજગારીની એવી પણ ઘણી કહાણીઓ છે જ્યાં વિદ્યાર્થીઓ વર્ષોથી ભરતી બહાર પડવાની રાહ જોઈ રહ્યા છે. ક્યાંક તો જમીન વેચીને પિતા પોતે ભૂખ્યા સૂઈને પુત્રને નોકરી મળે તેની રાહમાં પૈસા મોકલી રહ્યા છે.
તો ક્યાંક માતા પોતાની બીમારીની સારવારના પૈસા દીકરીને આપીને નોકરી મળે તેની રાહ જોઈ રહી છે. ઘણા એવા વિદ્યાર્થીઓ છે જેઓ બે ગ્લાસ પાણી પીને સૂઈ જાય છે અને બચતના પૈસા પુસ્તકો ખરીદવાં માટે વાપરી રહ્યા છે.
આવા ઘણા વિદ્યાર્થીઓ બિહાર-ઉત્તર પ્રદેશમાં રેલવે આરઆરબી-એનટીપીસી ભરતી પરીક્ષાના હોબાળા પછી ત્યાં બીબીસી ટીમને મળ્યા હતા. યુવાનોને એવું લાગવા માંડ્યું છે કે સરકારો માટે બેરોજગારી માત્ર ચૂંટણીનો મુદ્દો છે.
આ પરીક્ષાના એક પરીક્ષાર્થીએ બીબીસીને કહ્યું, "વર્ષ 2019માં ભરતી બહાર પડી હતી અને વર્ષ 2022માં પરીક્ષાની જાહેરાત આવી, પરીક્ષાનું પરિણામ વર્ષ 2024 સુધીમાં જાહેર કરવામાં આવશે, જે ચૂંટણીનું વર્ષ છે. સરકાર એ સમયે અમારી નોકરીઓ ગણાવીને મત ભેગા કરશે."
તાજેતરમાં કેન્દ્ર સરકારે સેનામાં ભરતી માટે અગ્નિવીર યોજનાની જાહેરાત કરી હતી. તેના પર પણ ભારતના વિવિધ રાજ્યોના બેરોજગાર યુવાનોએ હોબાળો મચાવ્યો હતો.
જે વિદ્યાર્થીઓએ લેખિત, શારીરિક અને તબીબી પરીક્ષા પાસ કરી હતી તેઓ નોંધણીની રાહ જોઈ રહ્યા હતા, સરકારની પ્રેસ કૉન્ફરન્સે તેમની બધી આશાઓ પર પાણી ફેરવી દીધું.
પ્રેસ કૉન્ફરન્સમાં કહેવામાં આવ્યું હતું કે અગ્નિવીરોને ચાર વર્ષ માટે સેનામાં નોકરી મળશે.
અગ્નિવીર યોજનામાં સમસ્યા ક્યાં છે તેવા પ્રશ્નના જવાબમાં, સીએમઆઈઈના મૅનેજિંગ ડિરેક્ટર મહેશ વ્યાસ કહે છે, "મારા મતે સરકારે એવું નથી કહ્યું છે કે અગ્નિવીર એ રોજગાર સર્જન માટેની યોજના છે. આપણે અગ્નિવીરને રોજગારના મુદ્દાથી જોવી જોઈએ નહીં. જુઓ."
"અગ્નિવીર સશસ્ત્રદળોની જરૂરિયાતો અનુસાર બનાવવામાં આવી છે. અગ્નિવીરને લઈને સમસ્યા જાહેર નાણાંની છે. સરકાર પાસે તેમને લાંબા ગાળાની નોકરી આપવા માટે પૂરતા પૈસા નથી."
"સરકાર વર્તમાનના પગાર ચૂકવી શકશે, પરંતુ પેન્શન સહિતની જવાબદારી સરકારને ભારે પડી રહી છે. તેથી સરકાર આ બાબતથી દૂર જઈ રહી છે, અને કહી રહી છે કે અમે કરાર આધારિત નોકરીઓ તરફ આગળ વધી રહ્યા છીએ."
મહેશ વ્યાસ કરાર આધારિત નોકરીઓ અથવા ટૂંકા ગાળાના રોજગારને બે દ્રષ્ટિકોણથી જુએ છે.
તેઓ કહે છે, "ટૂંકા ગાળાનો રોજગાર અર્થતંત્ર માટે, શ્રમ માટે, ગૃહસ્થો માટે સારો નથી. લોકોને સારી ગુણવત્તાનો રોજગાર મળે તે મહત્વનું છે જે કાયમી હોય."
"જ્યાં કોઈના વ્યવસાયમાં તેમને હંમેશાં કર્મચારીની જરૂર પડશે, આવી સ્થિતિમાં જો વેપારી કોઈને એક વર્ષ કે બે વર્ષના કરાર પર નોકરી આપે તો તે ખોટું છે."
"આ લવચીકતા લાવવાની અલગ રીત છે. જ્યા કરાર આધારિત રોજગાર હોય છે તેમાં વચેટિયા આવી જાય છે જે પોતાના પૈસા લઈ જાય છે. તો મને લાગે છે કે આપણે કૉન્ટ્રાક્ટ લેબરની પ્રક્રિયા ઘટાડવી જોઈએ અથવા બંધ કરવી જોઈએ."
ટૂંકા ગાળાના રોજગારમાં, અગ્નિવીર જેવી યોજનાઓ જ નહીં, પરંતુ ઓલા, ઉબર, ઝોમેટોના ડિલિવરી બોય અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં કામ કરતા હંગામી કર્મચારીઓ પણ આ શ્રેણીમાં આવે છે. આ બધાને તે 'ગિગ ઇકોનૉમી'ના ભાગ તરીકે વર્ણવે છે.
તેઓ આગળ કહે છે, "જો આવી નોકરીઓ નહીં હોય તો સ્થિતિ વધુ ખરાબ થશે. આ કારણે આવી નોકરીઓ ન હોવી એ યોગ્ય નથી. આનાથી સારી નોકરીઓ હોવી વધુ જરૂરી છે."
"આ નોકરીઓને અમે ગિગ ઇકોનૉમી કે ગિગ વર્ક્સ કહીએ છીએ. ગિગ ઇકોનૉમીનો અર્થ એવો થાય છે કે જો હું ગાડી ચલાવવા માટે તૈયાર હોઉં તો હું કાર કાઢીશ, ઓલા ડ્રાઈવિંગ લાયસન્સ મેં લઈ રાખ્યું છે, હું કાર ચલાવું છું, કામ કરું છું અને થોડા પૈસા કમાઈ લઈશ."
"પણ કાલે હું બીમાર પડીશ અને મને પૈસાની જરૂર પડશે તો હું પૈસા લાવી શકતો નથી. આનાથી એક અનિશ્ચિતતા પેદા થાય છે."
મહેશ વ્યાસ આને 'સારી ગુણવત્તા વગરની' નોકરી માને છે. તેઓ કહે છે કે આ કારણસર એ જરૂરી છે કે સરકારે લોકોને વધુ સારી ગુણવત્તાની નોકરીઓ આપવી જોઈએ, જે લાંબા સમયગાળા માટે હોવી જોઈએ.
જેમાં પીએફ કાપવામાં આવે, રજાઓ મળે, પેઇડ રજાઓ મળે, મેટરનિટી લીવ મળે. સ્થિર લેબર ફોર્સના નિર્માણ માટે આ બધું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેનાથી સારી રોજગારી મળશે, લોકો બચત કરશે અને તે બચત રોકાણ તરફ દોરી જશે.
છેલ્લા કેટલાક મહિનાઓથી બેરોજગારીને લઈને વિપક્ષ, યુવા અને અન્ય કેટલાંક સંગઠનોના હોબાળા બાદ સરકારે ફરી એકવાર નવો વાયદો કર્યો છે. નવી ડૅડલાઇન મુજબ આગામી દોઢ વર્ષમાં મોદી સરકાર મિશન મોડમાં 10 લાખ નોકરીઓ આપશે. આ ટ્વીટ 14 જૂને વડાપ્રધાન કાર્યાલય તરફથી કરવામાં આવ્યું છે.
મહેશ વ્યાસના મતે, બેરોજગારીના વધતા દરની સૌથી વધુ અસર મહિલાઓ પર પડી છે, જેઓ શ્રમબળમાં પાછળ જઈ રહી છે.
જરા કલ્પના કરો કે જો ભારતની અડધી વસ્તી પુરુષો જેટલી કમાણી કરે તો દરેક પરિવાર કેટલો ખુશ હશે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો