You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હિન્દુ વિ. હિન્દુત્વ : રાહુલ ગાંધીનો દાવો કૉંગ્રેસને ફાયદો કરાવશે કે ભાજપને?
- વાંચવાનો સમય: 6 મિનિટ
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગયા શનિવારે અમેઠીમાં એક પદયાત્રા દરમિયાન ફરી એક વાર હિન્દુ વિરુદ્ધ હિન્દુત્વની ચર્ચા છેડીને બીજેપીને ઘેરવાની કોશિશ કરી છે.
રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન તાકતાં કહ્યું કે, 'હિન્દુત્વવાદી ગંગામાં એકલા સ્નાન કરે છે. ગંગામાં હિન્દુ કરોડો લોકો સાથે સ્નાન કરે છે. એક તરફ હિન્દુ છે, બીજી તરફ હિન્દુત્વવાદી છે. એક બાજુ સાચ છે, બીજી બાજુ જૂઠ છે. હિન્દુ સાચું બોલે છે, હિન્દુત્વવાદી જૂઠું બોલે છે.'
ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે કાશી વિશ્વનાથ કૉરિડોરના લોકાર્પણ સમારોહ પ્રસંગે પીએમ મોદીએ ગંગામાં સ્નાન કર્યું હતું.
આની પહેલાં જયપુરમાં યોજાયેલી 'મોઘવારી ઘટાડો રેલી' દરમિયાન પણ રાહુલ ગાંધી હિન્દુ વિરુદ્ધ હિન્દુત્વવાદી મુદ્દે બીજેપી સરકારને ઘેરી ચૂક્યા છે.
એટલું જ નહીં, કૉંગ્રેસ પાર્ટી સોશિયલ મીડિયાથી માંડીને બીજાં તમામ પ્રચાર-માધ્યમો પરથી આ મુદ્દે સતત બીજેપીને ઘેરવાનો પ્રયાસ કરતી દેખાય છે.
આ બધું જોતાં સવાલ ઊભો થાય છે કે, શું આ મુદ્દો આગામી વિધાનસભા-ચૂંટણીઓમાં રાહુલ ગાંધી અને એમની પાર્ટીને લાભ અપાવશે?
રાહુલ ગાંધી અને હિન્દુત્વ પર ચર્ચા
કૉંગ્રેસ પાર્ટીમાં મુખ્યતઃ રાહુલ ગાંધીએ હિન્દુ વિરુદ્ધ હિન્દુત્વના મુદ્દા પર કેન્દ્ર સરકાર સામે મોરચો ખોલ્યો છે.
અમેઠી પહેલાં જયપુર અને વર્ષના આરંભમાં તામિલનાડુની ચૂંટણી દરમિયાન જ નહીં, રાહુલ ગાંધી છેલ્લાં ઘણાં વરસોથી આ બંને શબ્દો વચ્ચેનો ભેદ દર્શાવવાની કોશિશ કરી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ, શું કૉંગ્રસના કાર્યકરો માટે રાહુલ ગાંધીની આ વાત મતદાતાઓ સમક્ષ રજૂ કરવી આસાન હશે?
દાયકાઓથી કૉંગ્રેસના રાજકારણની નોંધ રાખતાં વરિષ્ઠ પત્રકાર અપર્ણા દ્વિવેદી માને છે કે રાહુલ ગાંધીનું આ મુદ્દા પર કેન્દ્રિત થવું એ કૉંગ્રેસના કાર્યકર્તાઓ માટે પણ એક સમસ્યારૂપ છે.
તેમણે જણાવ્યું કે, "રાહુલ ગાંધી આ મુદ્દા દ્વારા કૉંગ્રેસથી નારાજ અને નિરાશ થયેલા લોકોને પોતાના પક્ષમાં પાછા લાવવાનો પ્રયાસ કરે છે. તેઓ એ મતદાતાવર્ગ પર લક્ષ્ય સાધે છે જેઓ ક્યારેય પૂર્ણરૂપે બીજેપીના મતદાતા નહોતા, પરંતુ કૉંગ્રેસથી નારાજ થયેલા હતા. તેઓ એ મતદાતાવર્ગને લલચાવવા માગે છે."
"પરંતુ જ્યારે રાહુલ ગાંધી આ મુદ્દા પર વાત કરે છે તો એ એમના જ કાર્યકર્તાઓ માટે એક સમસ્યા બની જાય છે. કેમ કે, તેઓ જનસામાન્યને લગતા મુદ્દા લઈને જનતાની વચ્ચે જઈ શકે છે. પણ જ્યારે એમના નેતા હિન્દુ અને હિન્દુત્વના મુદ્દે વાત કરે છે તો તેઓ ડગમગી જાય છે કે આ મુદ્દો લઈને તેઓ લોકોની વચ્ચે કઈ રીતે જાય? અને રાહુલ ગાંધીના તર્કને જનસામાન્ય સુધી કઈ રીતે પહોંચાડે? એમને એ કઈ રીતે સમજાવે કે રાહુલ ગાંધી શું કહેવાની કોશિશ કરે છે?"
પાછલાં ઘણાં વર્ષોથી અલ્પસંખ્યકો વચ્ચે કામ કરતા એક કૉંગ્રેસી કાર્યકરે બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું કે રાહુલ ગાંધીએ આવા મુદ્દાથી બચતા રહેવું જોઈએ.
કોટાનિવાસી કૉંગ્રેસી કાર્યકર અબ્દુલ કરીમ ખાને જણાવ્યું કે, "રાહુલજી જ્યારે આ મુદ્દો છેડે છે તો અમારા જેવા કાર્યકરો માટે થોડી મુશ્કેલી ઊભી થાય છે. કેમ કે જ્યારે અમે અલ્પસંખ્યકો વચ્ચે જઈએ છીએ તો લોકો કહે છે કે હવે રાહુલ ગાંધી પણ મોદીની જેમ હિન્દુ-હુન્દુત્વ બોલવા લાગ્યા છે."
"જ્યારે બહુસંખ્યક સમાજમાં ભાજપના વોટર પાસે જઈએ છીએ તો લોકો કહે છે કે મોદીએ રાહુલ ગાંધીને મંદિર-મંદિર ફરતા કરી દીધા."
"એક ત્રીજો વર્ગ છે, જેમને વીજળી, રસ્તા, પાણી અને સ્થાનિક મુદ્દા સાથે નિસબત છે. તેઓ ઇચ્છે છે કે મુદ્દા એવા ઉઠાવાય જેનો એમની જિંદગી પર સીધો પ્રભાવ પડે. આ બધાંમાં સીધાસટ મુદ્દાને જનસામાન્ય વચ્ચે મૂકવા સરળ હોય છે કેમ કે એવા મુદ્દે તેઓ પહેલાંથી વહેંચાયેલા નથી હોતા."
રાહુલ ગાંધીએ શું કરવું જોઈએ?
આ બાબતમાં કૉંગ્રેસના કાર્યકર સમૂહોના જુદા-જુદા મત હોઈ શકે છે.
પરંતુ ઇતિહાસ દર્શાવે છે કે રાજકીય રેલીઓમાં પાયાના મુદ્દે મનોરંજક રીતે અપાયેલું ભાષણ દીર્ઘ કાળ સુધી લોકોના મગજમાં ઘૂમરાય છે.
પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી પોતાના એવા અંદાજ માટે જાણીતા હતા.
પરંતુ સવાલ એ છે કે શું રાહુલ ગાંધીએ એવા મુદ્દા ઊભા કરવાથી બચવું જોઈએ?
વરિષ્ઠ રાજકીય વિશ્લેષક અભયકુમાર દુબે માને છે કે રાહુલ ગાંધીએ આ સમયે એ કરવું જોઈએ જે એમના અને એમની પાર્ટી માટે જરૂરી છે.
તેમણે જણાવ્યું કે, "જ્યારે સુપ્રીમ કોર્ટ એ વાત નથી સમજાવી શકી કે હિન્દુ ધર્મ અને હિન્દુત્વ વચ્ચેની ભેદરેખા શી છે, હિન્દુ આધ્યાત્મિકતા અને હિન્દુ રાજકીય એકતા -જે હિન્દુત્વનો પર્યાય છે- વચ્ચે શો સંબંધ છે, તો પછી આમ-જનતા આ વાત કઈ રીતે સમજશે?"
"રાહુલ ગાંધી આવી ચર્ચા છેડીને કંઈ પણ હાંસલ નહીં કરી શકે. મુખ્યરૂપે એ એક વિદ્વત્મંડળીય (અકાદમિક) મુદ્દો જ બની રહે છે. અને વિદ્વત્મંડળીય મુદ્દાના આધારે સાર્વજનિક જીવનમાં કોઈને પણ પોતાની યુક્તિમાં સફળતાનો લાભ નથી મળતો. રાહુલ ગાંધીએ આ વાત સમજવી જોઈએ."
"આ રીતની ચર્ચાઓ કરવાને બદલે એમણે કૉંગ્રેસનું સંગઠન મજબૂત કરવું જોઈએ. કૉંગ્રેસને એક સ્થાયી અધ્યક્ષ આપે. અને જે રીતે પ્રદેશોમાં કૉંગ્રેસ વિખરાયેલી છે એને ઠીક કરે. પંજાબમાં, સંગઠનમાં તડો પડવાના કારણે જીતની સ્થિતિ હારમાં પલટાતી દેખાય છે. આ મુદ્દા પર વધારે ધ્યાન આપવું જોઈએ."
"કેમ કે જો પંજાબમાં કૉંગ્રેસ હારી જાય તો દોષની ઠીકરી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના દરવાજે ફૂટશે."
રાજકીય મજબૂતી જરૂરી
રાહુલ ગાંધી છેલ્લાં કેટલાંક વર્ષોથી હિન્દુ વિરુદ્ધ હિન્દુત્વની ચર્ચા કરી રહ્યા છે અને આ જ ગાળામાં કૉંગ્રેસે એક સામાન્ય ચૂંટણી સમેત વિધાનસભાની ઘણી ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે.
હવે તો એ પણ સવાલ છે કે રાહુલ ગાંધીની આ રણનીતિ કેટલી કારગત રહી છે.
અભયકુમાર દુબે માને છે કે કૉંગ્રેસને મજબૂત રીતે સંગઠિત કરીને એમાં રાજકીય શક્તિને જોડવી એ રાહુલ ગાંધીની પ્રાથમિકતા હોવી જોઈએ.
દુબે પોતાના તર્કને સમજાવતાં કહે છે, "હિન્દુત્વ અને હિન્દુનો મુદ્દો એક અકાદમિક મુદ્દો છે. અને જનતાને એમાં કોઈ રસ નથી. જનતા એ જુએ છે કે કયા નેતા પર રાષ્ટ્ર સહમત થઈ રહ્યું છે."
"કયા નેતા પોતાના વાયદા રજૂ કરી રહ્યા છે અને કોણ સો નહીં તો પચાસ, ચાલીસ કે ત્રીસ ટકા પૂરા કરતા દેખાય છે. એ મહત્ત્વની વાત છે. અને એની (નેતાની) વિરુદ્ધ બદનામીની એક પણ વાત ન હોય."
"તમે જ્યારે નરેન્દ્ર મોદીને રાજ્યોના સ્તરે વારંવાર ચૂંટણી હરાવશો ત્યારે કેન્દ્રમાં ચૂંટણી જીતવાના તમારા સંજોગ ઊભા થશે. અત્યારે બીજેપી એકાદી જગ્યાએ હારે છે, બાકીની જગ્યાઓએ જીતી જાય છે. જ્યાં સુધી આ સ્થિતિ નહીં બદલાય ત્યાં સુધી આ સેમિનારમાં કરી શકાય એવી ચર્ચા છે."
જોકે, અભય દુબે માને છે કે રાહુલ ગાંધીની વાત પૂર્ણરૂપે ખોટી નથી.
તેમણે જણાવ્યું કે, "રાહુલ ગાંધીએ જ્યારે નરેન્દ્ર મોદી વિશે કહેલું કે આ સૂટ-બૂટની સરકાર છે તો નરેન્દ્ર મોદી હલબલી ગયેલા. તો રાહુલ ગાંધીને લાગે છે કે આ સરકાર પૂંજીપતિઓની એજન્ટ છે, એવું કહીને તેઓ નરેન્દ્ર મોદીને નુકસાન કરી શકે છે."
"પરંતુ આટલું જ કરવાથી કંઈ નહીં થાય. એમના પક્ષમાં જુવાળ ઊભો થાય છે તોપણ તેઓ એનો ફાયદો નથી ઉઠાવી શકતા. અને એક વાત એ પણ છે કે રાહુલ ગાંધીને સૌથી પહેલાં પોતાના ઘરમાં જ એકમત ઊભો કરવાની જરૂર છે. પહેલાં ઘરને મજબૂત કરશે ત્યારે જ દુશ્મન પર હુમલો કરી શકાશે."
"એમણે એ સમજવું જરૂરી છે કે એ કયો મુદ્દો છે જેનો લાભ લઈને બીજેપી કૉંગ્રેસને નુકસાન કરીને પોતાને મજબૂત કરી લે છે. એ એમની પ્રાથમિકતા હોવી જોઈએ."
ગાંધી જેટલી મોટી કસોટી
આ વાત ભલે અતાર્કિક લાગે પણ રાહુલ ગાંધી જેટલી તાકાતથી હિન્દુ અને હિન્દુત્વ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરે છે. એટલી જ તાકાતથી સોશિયલ મીડિયાથી માંડીને અન્ય પ્રચારમાધ્યમો દ્વારા બીજેપી અને વામપંથી તત્ત્વો આ અંતરને અવગણવાનો પ્રયાસ કરતા દેખાય છે.
જયપુરમાં રાહુલ ગાંધીની રેલી પછી સોશિયલ મીડિયાથી લઈને ટીવી ચૅનલોના ઍન્કરોએ એ સાબિત કરવાનો પ્રયાસ કર્યો કે હિન્દુત્વ હિન્દુ સાથે એવી રીતે જોડાયેલું છે, જેવા માતૃત્વ અને પિતૃત્વ શબ્દો માતા અને પિતા સાથે જોડાયેલા છે.
પરંતુ સવાલ એ ઊભો થાય છે કે જો રાહુલ ગાંધી આ ભેદને સ્પષ્ટ કરવા માગે છે તો એમાં ખોટું શું છે?
આ વાતનો જવાબ દિલ્લીસ્થિત ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનના અધ્યક્ષ અને ગાંધીવાદી લેખક કુમાર પ્રશાંતે આપ્યો.
તેમણે કહ્યું, "રાહુલ ગાંધીનો આ પ્રયાસ ખૂબ જ સકારાત્મક અને સારું પગલું છે. અને એ ખૂબ મોટું પણ છે, પરંતુ શું રાહુલ ગાંધી પોતે જ તૈયાર કરેલી કસોટીમાં ખરા સાબિત થવા તૈયાર છે? જો તૈયાર હોય તો એ કૉંગ્રેસને નવજીવન આપી શકે એમ છે."
"ભલે થોડો સમય લાગે કે જનતાની સમજમાં આ વાત નથી આવતી. પરંતુ જનતાને આ વાત એટલી જ સમજાશે જેટલી એમની સમજાવાશે."
"આ બધું જોતાં જો કૉંગ્રેસનું ટોચનું નેતૃત્વ એવું નક્કી કરી લે કે એમણે આમાંથી ડગવાનું નથી તો તમે જોજો કે સંપૂર્ણ ધારા બદલાઈ જશે. પરંતુ એ એક મોટું કામ છે. જો કોઈ માણસ પોતાના વિચારને પોતાના આચરણમાં પણ દેખાડી શકે તો આજે પણ સમાજ બદલી શકે છે."
"રાહુલ ગાંધી પોતે બનાવેલી કસોટી પર જાતે જેટલી હદ સુધી સાચા સાબિત થશે, એટલી હદ સુધી કૉંગ્રેસને નવું જીવન આપી શકશે. અને જે હદ સુધી એને એક ચાલ અને એક નારાના રૂપમાં, એક સમયસૂચક ઓજારના રૂપમાં એનો ઉપયોગ કરવા માગશે તો કૉંગ્રેસ એટલી જ કમજોર અને બોદી થશે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો