You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નરેન્દ્ર મોદી સરકારના 20 લાખ કરોડ રૂપિયાના 'આત્મનિર્ભર પૅકેજ'નું શું થયું?
- વાંચવાનો સમય: 6 મિનિટ
કોરોના મહામારીના કારણે ભારતનું અર્થતંત્ર હજુ પણ બીમાર છે. સોમવારે બહાર પાડવામાં આવેલા જીડીપીના આંકડામાં નજીવો સુધારો થયો છે.
નાણાકીય વર્ષ 2020-21 માટે જીડીપીમાં 8 ટકાના ઘટાડાની ધારણા હતી, તેની સામે જીડીપીમાં 7.3 ટકાનું સંકોચન થયું છે. આ સમયગાળામાં ચોથા ક્વાર્ટર દરમિયાન, એટલે કે જાન્યુઆરીથી માર્ચ વચ્ચે 1.3 ટકા વૃદ્ધિનો અંદાજ હતો, ત્યારે 1.6 ટકા વૃદ્ધિ થઈ છે.
પરંતુ આ આંકડાના આધારે હજુ પણ એવું નથી લાગતું કે અર્થતંત્ર તરત બેઠું થઈને દોડવા લાગશે.
અર્થતંત્ર કેટલી હદે બીમાર છે અને તેનો ઇલાજ કેટલો જરૂરી છે, તેનો અંદાજ ચાર-પાંચ માપદંડ પરથી મળી શકે છે.
આ માપદંડ છેઃ જીડીપીના આંકડા (જે સોમવારે જાહેર થયા હતા), બેરોજગારીનો દર (જે સતત વધી રહ્યો છે), ફુગાવાનો દર (ખાદ્યપદાર્થોના ભાવ આસમાને પહોંચ્યા છે) અને લોકોની ખરીદશક્તિ (આવક જ ન હોય ત્યારે ખર્ચ ક્યાંથી કરે).
આ બધા માપદંડ જોવામાં આવે તો છેલ્લા એક વર્ષમાં સ્થિતિમાં ખાસ ફેરફાર જોવા નથી મળ્યો.
ભારતના બીમાર અર્થતંત્રનું કારણ આ જ છે.
પોતાને અર્થતંત્રની ડૉક્ટર ગણાવનાર મોદી સરકારે આ બીમારી દૂર કરવા ઘણા પ્રયાસ કર્યા છે. પરંતુ સરકાર બીમાર અર્થતંત્રની હાલત સુધારવામાં નિષ્ફળ રહી છે. તેથી ભૂલ ક્યાં થઈ છે તે જાણવું જરૂરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીમાર પડેલું અર્થતંત્ર આઈસીયુમાં ન પહોંચી જાય તે માટે કોરોનાની પહેલી લહેર વખતે મોદી સરકારે 20 લાખ કરોડ રૂપિયાના રાહત પૅકેજની જાહેરાત કરી હતી.
સોમવારે જે આંકડા બહાર આવ્યા તે જાન્યુઆરીથી માર્ચ મહિનાના હતા જે દરમિયાન લોકોમાં કોરોનાનો ભય જતો રહ્યો હતો.
સરકાર મહામારી અંકુશમાં આવી ગઈ હોવાનો દાવો કરતી હતી અને લગભગ તમામ આર્થિક નિયંત્રણો દૂર કરવામાં આવ્યા હતા.
તેવામાં સવાલ પેદા થાય છે કે મોદીના 20 લાખ કરોડના મેગાબૂસ્ટર ડોઝની અસર માત્ર આટલી જ છે?
તેનો જવાબ જો 'ના' હોય તો તે રાહત પૅકેજનું આખરે શું થયું અને તેની અસર ક્યારે જોવા મળશે? શું સરકારે જે વચન આપ્યું હતું તે પ્રમાણે ખર્ચ કરી શકશે?
20 લાખ કરોડનો હિસાબકિતાબ
26 માર્ચ 2020 - ભારતમાં પૂર્ણ લૉકડાઉનની જાહેરાત બાદ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પૅકેજની ઘોષણા કરવામાં આવી હતી જેથી મજૂરોને ગુજરાન ચલાવવા અંગે પાયાની મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે.
આ પૅકેજમાં ગરીબો માટે 1.92 લાખ કરોડનો ખર્ચ કરવાની યોજના હતી.
13 મે 2020 - નાણા મંત્રીએ પહેલા દિવસે 5.94 લાખ કરોડના પૅકેજની વિગત આપી હતી જેમાં મુખ્યરૂપે નાના વ્યવસાયોને લોન આપવા તથા નૉન-બૅન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ અને વીજ વિતરણ કંપનીઓને મદદ માટે આપવામાં આવતી રકમની માહિતી આપવામાં આવી હતી.
14 મે 2020 - આ દિવસે 3.10 લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું.
15 મે 2020 - સતત ત્રીજા દિવસે 1.5 લાખ કરોડ રૂપિયાના ખર્ચની વિગત આપવામાં આવી. આ ખર્ચ કૃષિ ક્ષેત્રમાં થવાનો હતો.
16 મે અને 17 મે 2020 - ચોથા અને પાંચમા દિવસે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સુધારા માટે થનારા 48,100 કરોડ રૂપિયાના ખર્ચની વિગત આપવામાં આવી. તેમાં કોલસો, ખાણ, ઉડ્ડયન, અંતરિક્ષ વિજ્ઞાનથી લઈને શિક્ષણ, રોજગાર, વ્યવસાયોની મદદ અને સરકારી સાહસોની સ્થિતિ સુધારવાના ઉપાય સામેલ હતા. સાથે સાથે રાજ્યોને વધારાની મદદ આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી.
રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાએ પણ 8,01,603ના પગલાં જાહેર કર્યા હતા. તેને પણ આ પૅકેજનો હિસ્સો ગણવામાં આવ્યું હતું.
ઉપર જણાવેલા તમામ પૅકેજને સંગઠિત કરીને સરકારે તેને 20 લાખ કરોડના આત્મનિર્ભર પૅકેજનું નામ આપ્યું હતું.
કઈ જગ્યાએ કેટલો ખર્ચ થયો?
આ તો થઈ સરકારી જાહેરાતોની વાત. પરંતુ વાસ્તવમાં તેમાંથી કેટલો ખર્ચ થયો? આ જાણવા માટે અમે ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાસચિવ સુભાષ ચંદ્ર ગર્ગ સાથે વાત કરી હતી.
તેમણે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેમાંથી 10 ટકા જેટલો પણ 'વાસ્તવિક ખર્ચ' નથી થયો.
તેઓ કહે છે કે "આરબીઆઈએ 8 લાખ કરોડનું લિક્વિડિટી પૅકેજ જાહેર કર્યું હતું જેને આની સાથે જોડવાની કોઈ જરૂર ન હતી."
"લિક્વિડિટીને આરબીઆઈએ પોતાની તરફથી ઑફર કરી હતી, પરંતુ બૅન્કોએ લીધી નહીં. ક્રેડિટ ગ્રોથ આ વાતનો પુરાવો છે. આ વખતનો ક્રેડિટ ગ્રોથ હજુ પણ પાંચથી છ ટકાની વચ્ચે છે જે ઐતિહાસિક રીતે નીચે ગણાય."
ભૂતપૂર્વ નાણા સચિવનું માનવું છે કે 20 લાખ કરોડના રાહત પૅકેજમાં રાહતની વાત માત્ર ચારથી પાંચ લાખ કરોડ જેટલી જ હતી, જેનો સરકારે ખર્ચ કરવાનો હતો. તેમાંથી સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પૅકેજ હેઠળ પ્રવાસી મજૂરો માટે જ 1 લાખ કરોડથી દોઢ લાખ કરોડનો ખર્ચ કર્યો.
આ ઉપરાંત બીજી જગ્યાએ થયેલા ખર્ચનો સમાવેશ કરીએ તો કેન્દ્ર સરકારે આ પૅકેજમાં બે લાખ કરોડથી વધારે ખર્ચ નથી કર્યો.
ભારત સરકારના ભૂતપૂર્વ મુખ્ય આંકડાશાસ્ત્રી પ્રણબ સેન પણ સુભાષ ચંદ્ર ગર્ગની વાત સાથે અમુક હદે સહમત છે, પરંતુ સંપૂર્ણપણે નહીં.
તેઓ માને છે કે 20 લાખ કરોડના પૅકેજમાં 15 લાખ કરોડ માત્ર ઋણ લેવા અને ઋણની ચૂકવણી તરીકે હતું.
આ હિસ્સામાંથી સરકારે મોટા પ્રમાણમાં ખર્ચ કર્યો પણ હતો.
તેના કારણે જે લઘુ, મધ્યમ અને મોટા ઉદ્યોગો બંધ થવાની અણી પર હતા, તેઓ ટકી ગયા.
લૉકડાઉન ખૂલ્યા પછી ત્યાં નવેસરથી કામકાજ શરૂ થઈ શક્યું. તેમાં કોઈ પરેશાની નથી આવી.
આ રીતે અર્થતંત્રને આત્મનિર્ભર ભારત પૅકેજથી ટેકો મળ્યો હતો.
સરકારે ખરેખર પાંચ લાખ કરોડનો જ ખર્ચ કરવાનો હતો.
તેમાંથી સરકારે બેથી ત્રણ લાખ કરોડ રૂપિયા ગરીબોના ઍકાઉન્ટમાં નાખીને, મનરેગા પાછળ અને મફત અનાજ વિતરણ માટે ખર્ચ કર્યા.
પ્રણવ સેન કહે છે કે, "20 લાખ કરોડના પૅકેજનું નામ સાંભળીને લોકોને લાગ્યું કે બજારમાં 20 લાખ કરોડ રૂપિયા એક સાથે આવી જશે, જે લોકોની ગેરમાન્યતા હતી. હકીકતમાં માત્ર અઢીથી ત્રણ લાખ કરોડ જ આવ્યા."
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પૅકેજ
કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2020માં આંકડા જારી કરીને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ 42 કરોડ ગરીબો પાછળ 68 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
તેમાં જનધન ખાતામાં રૂપિયા નાખવાથી લઈને પીએમ-કિસાન યોજના, મનરેગા અને પ્રધાનમંત્રી ગરીબ અન્ય કલ્યાણ યોજનાનો સમાવેશ કરીને પોતાનો હિસાબ દેખાડ્યો હતો.
કોરોનાની બીજી લહેર વચ્ચે એપ્રિલ મહિનામાં કેન્દ્ર સરકારે 80 કરોડ ગરીબોને મફતમાં અનાજ આપવાની જાહેરાત કરી હતી.
સરકારે કહ્યું કે આની પાછળ 26 હજાર કરોડનો ખર્ચ કરવામાં આવશે.
પ્રણબ સેન કે છે, "મફતમાં અનાજ આપવાથી એક ફાયદો એ થયો કે ગરીબોના રૂપિયાની બચત થઈ, જેને તેઓ બીજી જગ્યાએ ખર્ચ કરી શક્યા. આ રીતે બજારમાં નાણાં આવ્યા."
સરકારની યોજનાઓથી નાના વેપારીઓને કેટલો લાભ થયો તે જાણવા માટે અમે કન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સના રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલ સાથે વાત કરી.
તેમણે બીબીસીને જણાવ્યું કે, "મુશ્કેલ સમયમાં પણ વેપારીઓએ સપ્લાય ચેઈન જાળવી રાખી હતી. પરંતુ વેપારીઓને મદદ કરવાની વાત આવી ત્યારે તેમને રાહત પૅકેજમાંથી કોઈ રાહત ન મળી."
રાહત પૅકેજ લાગુ કરવાને લગતી સમસ્યા વિશે તેમણે કહ્યું કે કેટલીક જગ્યાએ નિયમો નડ્યા તો કેટલીક જગ્યાએ દસ્તાવેજોને લગતી તકલીફ પડી હતી. જેમના માટે યોજના ઘડવામાં આવી હતી, તેઓ તેના લાભથી વંચિત રહી ગયા.
ઇમરજન્સી ક્રેડિટ ગૅરન્ટી સ્કીમ
સુભાષ ચંદ્ર ગર્ગ, પ્રણબ સેન અને પ્રવીણ ખંડેલવાલની વાતને એક આરટીઆઈ દ્વારા સમર્થન મળે છે.
પૂણેના એક વેપારી પ્રફુલ્લ સારડાએ ગયા વર્ષે ડિસેમ્બરમાં ભારત સરકારે આત્મનિર્ભર પૅકેજ હેઠળ કેટલો ખર્ચ કર્યો તેની વિગત માંગી હતી.
તેમની આરટીઆઈના જવાબમાં નાણા મંત્રાલયે જણાવ્યું કે ઇમરજન્સી ક્રેડિટ લાઈન ગૅરન્ટી સ્કીમ, જેમાં ત્રણ લાખ કરોડની રકમ ઋણ તરીકે આપવાની હતી તેમાંથી માત્ર 1.2 લાખ કરોડ જ આપવામાં આવ્યા હતા.
બીબીસી સાથે વાત કરતા પ્રફુલ્લ સારડાએ જણાવ્યું કે આ પૅકેજ માત્ર એક જુમલો હતું. તેનાથી કોઈને ફાયદો નથી થયો.
નાણા મંત્રી નિર્મલા સીતારમણે ડિસેમ્બરમાં પ્રેસ વાર્તા કરીને અલગથી જાહેરાત કરી હતી કે કયા ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારત હેઠળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો.
તે પ્રેસ વાર્તામાં ઇન્કમટેક્સના રિફંડને પણ આત્મનિર્ભર પૅકેજનો હિસ્સો ગણાવવામાં આવ્યું હતું.
પૅકેજની જાહેરાતના છ મહિના પછી પણ ઘણી યોજનાઓ માટે નિયમો ઘડાયા ન હતા. મોટા ભાગની રકમ માળખાકીય સુધારાના ક્ષેત્રમાં દર્શાવાઈ હતી. તેથી મજૂરો અને નાનો વેપારધંધો કરતા લોકોને તેનો લાભ ન મળ્યો.
સમસ્યાનું સમાધાન શું છે?
ભૂતપૂર્વ નાણા સચિવ એસ.સી. ગર્ગ કહે છે, "અર્થતંત્રને દોડતું કરવા માટે સરકારે એવા પેકેજ લાવવાની જરૂર છે જેનાથી લોકોના હાથમાં નાણાં આવે."
"વીજ કંપનીને રૂપિયા આપવાનો કોઈ ફાયદો નથી. બિઝનેસને, મજૂરોને જે નુકસાન થાય છે, તેનું પેકેજ આપવાની જરૂર છે."
"તેથી તેઓ પોતાના ખર્ચને સપોર્ટ કરી શકશે. સરકાર મદદ કરશે, તો જ આવા લોકો ખર્ચ કરી શકશે. તેને જ અસલી રાહત પૅકેજ કહેવામાં આવે છે."
આ વખતે કોરોનાની બીજી લહેર વખતે પૂર્ણ લૉકડાઉન નહોતું થયું.
તેના કારણે એટલી તકલીફ નહોતી પડી. પરંતુ મજૂરો અને નાના તથા મધ્યમ વેપારીઓને આજે પણ રાહત પૅકેજની જરૂર છે જેથી તેઓ ખર્ચ કરી શકે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો