You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતીય વૅક્સિનનિર્માતા સૌ માટે કોરોના રસીની માગ પૂરી કરી શકશે?
- વાંચવાનો સમય: 3 મિનિટ
ભારત સમગ્ર વિશ્વમાં બનનારી 60 ટકા વૅક્સિનનું ઉત્પાદન કરે છે, પરંતુ અમેરિકા બાદ કોવિડ-19ના સૌથી વધારે મામલા ભારતમાં જ છે.
ભારતે ન માત્ર પોતાના લોકોનું રસીકરણ કરવાનું છે બલકે વિશ્વના અન્ય દેશો પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા પણ નિભાવવાની છે. શું ભારત આ માગને પૂરી કરી શકશે?
ભારત કેટલી વૅક્સિનનું ઉત્પાદન કરી શકે છે?
ભારતમાં હજુ બે વૅક્સિનોને મંજૂરી મળી છે – કોવિશીલ્ડ જે ઑક્સફર્ડ અને એસ્ટ્રાજેનેકા બનાવી રહ્યા છે અને બીજી છે કોવૅક્સિન.
અમુક બીજી વૅક્સિનો જેમની અત્યારે ટ્રાયલ ચાલી રહી છે, તેમનું ઉત્પાદન પણ ભારતમાં થઈ રહ્યું છે.
ભારતની દવા કંપનીઓએ હાલના મહિનાઓમાં ઉત્પાદનમાં ઝડપ આણી છે.
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇંડિયા, જે સૌથી મોટા ઉત્પાદક છે, તેમના પ્રમાણે હાલ તેઓ દર મહિને છ કરોડથી સાત કરોડ વૅક્સિનનું ઉત્પાદન કરી શકે છે.
ભારત બાયોટૅક પ્રમાણે તેઓ વર્ષમાં 20 કરોડ વૅક્સિનનું ઉત્પાદન કરી શકે છે.
જોકે, હાલ તેમની પાસે કોવૅક્સિનના માત્ર બે કરોડ ડોઝ જ હાજર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીજી કંપનીઓ જેમની વૅક્સિનોની ટ્રાયલ હજુ ચાલી રહી છે, તેઓ પણ ભારતના અધિકારીઓ અને બીજા દેશો સાથે વાત કરી રહી છે. જેથી વૅક્સિન તૈયાર થાય ત્યારે તેની સપ્લાય કરી શકાય. જોકે, તેને લગતી વધુ જાણકારીઓ મોજૂદ નથી.
ભારતની ખુદની જરૂરિયાત કેટલી છે?
ભારત સરકારે કહ્યું કે તેઓ 30 કરોડ લોકોને જુલાઈ માસના અંત સુધીમાં રસી આપી દેશે.
વૅક્સિનેશન પ્રોગ્રામ 16 જાન્યુઆરીથી શરૂ થશે અને સૌથી પહેલાં ફ્રંટલાઇન અને હેલ્થકૅર વર્કર્સને વૅક્સિન અપાશે.
સાત મહિનામાં 60 કરોડ લોકોને રસી આપવાની યોજના છે, એટલે કે દર મહિને લગભગ 8.5 કરોડ ડોઝ.
વિશ્વમાં ભારતની ભૂમિકા શું હશે?
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇંડિયા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા સમર્થિત કોવૅક્સ સ્કીમનો ભાગ છે. તેનો હેતુ મધ્યમ આવકવાળા દેશોને વૅક્સિન ઉપલબ્ધ કરાવવાનો છે.
પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટે આ સ્કીમ અંતર્ગત 20 કરોડ ડોઝ ઉપલબ્ધ કરાવવાની વાત કરી હતી. તે ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની વૅક્સિન કે પછી અમેરિકાની નોવૅક્સના ડોઝ હોઈ શકે છે.
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇંડિયાના ચીફ એક્ઝિક્યૂટિવ અદાર પૂનાવાલાએ બીબીસીને જણાવ્યું કે આ કરાર વધીને 90 કરોડ ડોઝનો થઈ શકે છે.
જો આવું થયું તો સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાની પ્રતિબદ્ધતા એક અબજ ડોઝની થઈ જશે.
બીબીસી સાથે વાત કરતાં કંપનીએ જણાવ્યું કે તેમનો પ્રયત્ન છે કે પ્રોડ્ક્શન વધારીને એક કરોડ ડોઝ પ્રતિમાસ કરવામાં આવે.
કોવૅક્સ સ્કીમ સિવાય, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇંડિયાએ ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા વૅક્સિનના પુરવઠા માટે ઘણા દેશો સાથે દ્વિપક્ષીય વાણિજ્યિક સોદા કર્યા છે.
પૂનાવાલાએ આ મહિનાની શરૂઆતમાં કહ્યું હું કે રસી માટે એ શરતે મંજૂરી અપાઈ હતી કે તેની નિકાસ નહીં કરવામાં આવે, પરંતુ તેમના પ્રમાણે આ એક ભ્રમ હતો.
બાંગ્લાદેશ દ્વારા ચિંતા વ્યક્ત કર્યા બાદ ભારત સરકારે બાદમાં સ્પષ્ટ કર્યું નિકાસની પરવાનગી અપાશે, નોંધનીય છે બાંગ્લાદેશ સાથે ત્રણ કરોડ પ્રારંભિક ડોઝ આપવાનો સોદો કરાયો છે.
વિદેશ મંત્રાલયના એક અધિકારીએ બીબીસીને જણાવ્યું કે ભારત, “વિશ્વના સૌથી મોટા વૅક્સિન નિર્માતા તરીકે પાડોશીઓ અને વિશ્વના અન્ય ભાગો પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા માટે સંપૂર્ણપણે સચેત છે.”
આ સિવાય કંપનીએ સાઉદી અરેબિયા, મ્યાનમાર અને મોરોક્કો સાથે પણ ડીલ કરી રાખી છે. જોકે તેમની કેટલી વૅક્સિન ક્યાં સુધી જોઈએ તે અંગે હજુ સ્પષ્ટતા નથી.
એવા સમાચાર છે કે નેપાલ, બ્રાઝિલ અને શ્રીલંકા પણ ભારતમાં બનેલી વૅક્સિનમાં રસ દાખવી શકે છે. પરંતુ પૂનાવાલા જણાવે છે કે તેમની પ્રાથમિકતા ઘરેલુ માગ પૂરી કરવાની રહેશે.
“એક વખત આપણે પ્રારંભિક આવશ્યકતાઓ પૂરી કરી લઈએ, પછી અમે જલદી જ તે અન્ય દેશોને નિકાસ કરવાનું શરૂ કરી દઈશું.”
વૈશ્વિક વૅક્સિન ગઠબંધન ગાવીના પ્રવક્તા, જેઓ કોવૅક્સ યોજના ચલાવવામાં મદદ કરી રહ્યા છે, તેમણે બીબીસીને જણાવ્યું કે ભારતીય અધિકારીઓ અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇંડિયા, બંને સાથે નિયમિત સંપર્કમાં છે.
તેમણે કહ્યું કે તેઓ, “આશ્વસ્ત” છે કે કોવૅક્સ માટે પ્રતિબદ્ધતામાં કોઈ મોડું નહીં થાય.
વાઇરોલૉજિસ્ટ ડૉ. શાહીદ જમીલ જણાવે છે કે કોવૅક્સ યોજના એક આંતરરાષ્ટ્રીય જવાબદારી છે, તેથી ભારતીય કંપનીઓ અન્ય દેશો સાથે પહેલાં સંમતિથી દ્વિપક્ષીય સોદા પર રોક લગાવે છે તો તે પણ સારું નહીં કહેવાય.
તેમણે કહ્યું કે વર્તમાન ઉપલબ્ધતાને જોતાં. “મને એ વાતની ચિંતા નથી કે ભારતમાં વૅક્સિનની અછત રહશે.”
તેમના પ્રમાણે, “અડચણ એ હશે કે આપણે વાસ્તવમાં કેટલી ઝડપથી લોકોને રસી આપીએ છીએ.”
એક અન્ય શક્ય અડચણ કાચની શીશીઓની ઉપલબ્ધતા છે જે રસી માટે ઉપયોગમાં લેવાય છે. સમગ્ર વિશ્વમાં એ વાતને લઈને ચિંતા છે કે શીશીઓની અછત થઈ શકે છે.
જોકે, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા પ્રમાણે અત્યાર સુધી તેમણે આવી કોઈ પણ વસ્તુની અછતનો સામનો નથી કરવો પડ્યો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો