You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લક્ષ્મી વિલાસ બૅન્ક : જાણો બૅન્કમાં જમા રકમ કઈ રીતે સુરક્ષિત રાખી શકાય
- વાંચવાનો સમય: 5 મિનિટ
કેન્દ્ર સરકારે લક્ષ્મી વિલાસ બૅન્કમાંથી નાણાં ઉપાડવા મામલે ખાતાધારકો પર મર્યાદા નાખી છે. જેમાં 16 ડિસેમ્બર સુધી તેઓ ખાતામાંથી વધુમાં વધુ 25 હજાર રૂપિયા જ ઉપાડી શકશે.
વળી તેના બોર્ડ ઑફ ડાયરેક્ટર્સની જગ્યાએ રિઝર્વ બૅન્કના ઍડમિનિસ્ટ્રેટરની નિયુક્તિ કરી છે. કેન્દ્ર સરકારે આ નિર્ણય રિઝર્વ બૅન્કની ભલામણ પર લીધો છે.
જોકે સરકારના પરિપત્ર અનુસાર કેટલીક પરિસ્થિતિઓમાં ખાતાધારક 25 હજાર રૂપિયાથી વધારેની રકમ ઉપાડી શકશે. જોકે, તેના માટે તેમણે રિઝર્વ બૅન્ક પાસેથી મંજૂરી લેવી પડશે.
તેમાં બીમારીની સારવાર, ઉચ્ચશિક્ષણ અથવા લગ્નના ખર્ચ માટે આ પ્રકારની મંજૂરી લઈ શકાય છે.
રિઝર્વ બૅન્કે અનુસાર, "લક્ષ્મી વિલાસ બૅન્ક લિમિટેડની આર્થિક સ્થિતિ સતત બગડી રહી છે. ગત ત્રણ વર્ષોથી સતત નકુસાન થઈ રહ્યું છે. તેનાથી તેની નેટવર્થ પણ ઘટી છે. કોઈ સક્ષમ વ્યૂહાત્મક યોજનાના અભાવ અને વધતી નોન-પરફૉર્મિંગ ઍસેટ્સ વચ્ચે નુકસાન ચાલુ રહેવાની સંભાવના છે."
આ પૂર્વે વર્ષ 2019માં પંજાબ ઍન્ડ મહારાષ્ટ્ર કૉ-ઑપરેટિવ બૅન્કના ખાતાધારકોએ પણ આવી જ રીતે સંકટનો સામનો કરવો પડ્યો હતો.
આથી સવાલ ઊઠે છે કે શું બૅન્કમાં રાખેલાં નાણાં સુરક્ષિત છે?
જો તમારી બૅન્કમાં પાચ લાખ રૂપિયાથી વધુ નાણાં છે તો તમને બૅન્ક ડૂબવાની સ્થિતિમાં પાંચ લાખ રૂપિયા જ પરત મળશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ જ વર્ષે બજેટમાં તેની જોગવાઈ કરવામાં આવી હતી. ડીઆઈસીજીસી એટલે કે ડિપોઝિટ ઇન્સ્યોરન્શ ઍન્ડ ક્રેડિટ ગૅરંટી કૉર્પોરેશનની તરફથી ગ્રાહકોને બૅન્ક ડિપોઝિટ પર પાચં લાખ રૂપિયાની જ સુરક્ષા ગૅરંટી મળે છે. તમારી જમા રકમ પર પાંચ લાખ રૂપા સુધી જ વીમો હોય છે.
શું આનાથી બચી શકાય છે?
બીજો સવાલ જનતાના મનમાં હોય છે કે શું કેટલીક સાવધાની વર્તવાથી આ પ્રકારની સમસ્યાઓથી બચી શકાય છે?
આ માટે સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે તમે તમારા માટે બૅન્કની પસંદગી કઈ રીતે કરો છો.
ભારત સરકારના પૂર્વ રાજસ્વ સચિવ રાજીવ ટકરુ કહે છે કે બૅન્ક મોટાભાગે તમારા ઘરની નજીક હોય અને સર્વિસ સારી આપે છે તો તમે એ બૅન્કમાં ખાતુ ખોલાવી શકો છો. પરંતુ હંમેશાં એવું કરવું ફાયદાકારક નથી હોતું.
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કેટલીક મૂળભૂત બાબતો જણાવી. જેની મદદથી આપાત સ્થિતિથી બચી શકાય છે.
સરકારી બૅન્ક વિ. ખાનગી બૅન્ક
સરકારી બૅન્ક ખાનગી બૅન્કની સરખામણીએ વધુ સુરક્ષિત છે. ભારતમાં આ સામાન્ય ધારણા છે.
રાજીવ ટકરુ કહે છે કે આની પાછળ એક તર્ક છે. જો બૅન્કને શરૂ કરનાર કોઈ ખાનગી વ્યક્તિ છે તો તેમની એક મર્યાદા હોય છે. જો બૅન્ક નુકસાનમાં જાય તો તેની ભરપાઈ માટે વ્યક્તિ પાસે મર્યાદિત સંશાધનો હોય છે.
પણ જો સરકારી બૅન્ક હોય તો સરકારી પૂરી કોશિશ કરે છે તેમના દ્વારા ચલાવવામાં આવતી બૅન્ક દેવાળું ન ફૂંકે.
એટલે સરકારી બૅન્કોને સુરક્ષિત માનવામાં આવે છે. સરકારે પાસે નુકસાન ભરપાઈ કરવાના માર્ગ હોય છે. સરકાર બૅન્કોમાં ઇક્વિટી નાખે છે જેનાથી બૅન્કને નુકસાનમાંથી બહાર લાવવામાં મદદ મળે છે.
લક્ષ્મી વિલાસ બૅન્ક માટે રિઝર્વ બૅન્કે ડીબીએસ બૅન્ક ઇન્ડિયા લિમિટેડના વિલયની યોજના તૈયાર કરી છે.
બૅન્કિંગ વિકલ્પમાં વિવિધતા લાવો
બૅન્કોમાં જમા રકમ સુરક્ષિત કરવા માટેનો એક ઉપાય એ પણ છે કે તમે તમારાં નાણાં એક જ બૅન્ક કરતાં વધુ બૅન્કોમાં રાખો.
સામાન્ય રીતે લોકો આને એક પડકારજનક કામ માને છે. પરંતુ લક્ષ્મી વિલાસ બૅન્ક અથવા પીએમસી બૅન્કના ખાતાધારકો સાથે જે થયું એને ધ્યાને લેતા આ વિકલ્પ ફાયદાકારક જ લાગે છે.
બૅન્કબજાર ડૉટ કોમના સીઈઓ આદિલ શેટ્ટી અનુસાર એકથી વધુ બૅન્કોમાં ખાતાં ખોલવાનો વિકલ્પ ઘણી રીતે સારો છે.
તે પરિવારના અલગઅલગ લોકોના નામ પર પણ ખોલી શકાય છે.
જો બૅન્કમાંથી નાણાં ઉપાડવાની મર્યાદા આરબીઆઈ નક્કી પણ કરે તો પણ નાણાં ઉપાડવા માટે અલગઅલગ વિકલ્પ ઉપલબ્ધ રહે છે.
બૅન્કની બૅલેન્શ શીટ ધ્યાનથી જુઓ
રાજીવ ટકરુ ત્રીજી સલાહ આપતા કહે છે,"તમે જે પણ બૅન્કમાં ખાતુ ખોલાવવા માગતા હોય તો પહેલાં તેની આર્થિક સ્થિતિ જણાવી જરૂરી છે."
"તેની જાણકારી બૅન્કની બૅલેન્શ શીટ જોઈને માલૂમ પડી શકે છે. પરંતુ બૅન્કોની બૅલેન્શ શીટ સામાન્ય માણસની સમજથી પર હોય છે. આથી તમે બૅલેન્શ શીટ સમજી શકે એવી કોઈ વ્યક્તિની સલાહ લઈ શકો છો."
તેનાથી એ જાણી શકાય છે કે બૅન્કની લાયબલિટી કેટલી છે અને તેનાં નાણાં ક્યાંક્યાં ફસાયેલાં છે. અને નોન પરફૉર્મિંગ ઍસેટ્સ કેટલી છે.
આદિલ શેટ્ટી અનુસાર સમય-સમય પર બૅન્કનું મૂલ્યાંકન કરવું જોઈએ.
પોતાની બૅન્ક સાથે જોડાયેલી તમામ ખબર પર નજર રાખવી જરૂરી છે જેથી સમય રહેતા તમે સાવધાન થઈ શકો.
બૅન્કનું એનપીએ, બૅન્કના સ્ટૉક માર્કેટના પરફૉર્મન્સ તેના આધાર હોઈ શકે છે. જેને જોઈને બૅન્કની સ્થિતિ કેવી છે તે જાણવામાં મદદ મળી શકે છે.
તાજેતરમાં પીએમસી અને યસ બૅન્કના મામલામાં પણ આવું જ જોવા મળ્યું હતું. બૅલેન્શ શીટ જોવાથી જાણવા મળે છે કે તમે જે બૅન્કમાં નાણાં જમા કરવા ઇચ્છો છો તે કામ કઈ રીતે કરે છે.
ચકાસો કે બૅન્ક 'સ્ટ્રેસ બૅન્ક'ની યાદીમાં તો નથી..
આ જાણવા પૂર્વે જાણી લો કે બૅન્ક કામ કઈ રીતે કરે છે.
સામાન્ય રીતે તમે જ્યારે નાણાં બૅન્કના સેવિંગ્સ અથવા ફિક્સ્ડ ડિપોઝિટમાં નાખો છો ત્યારે તમે એવું વિચારીને આવું કરો છો કે આપનાં નાણાં સુરક્ષિત છે. પરંતુ વાસ્તવિકતા એવી નથી હોતી. બૅન્કિંગ પ્રણાલીમાં આવું નથી માનવામાં આવતું.
ખરેખર તમે પહેલા જ દિવસથી નાણાં બૅન્કને કરજ તરીકે આપો છો. જેની અવેજમાં બૅન્કથી તમને વ્યાજ મળે છે.
તમે બૅન્કમાં પૈસા જમા કરો છો એટલે તમે બૅન્કને એ વાતની પરવાગની આપો છો કે તમારા પૈસા બૅન્ક માર્કેટમાં રોકી શકે છે અને કમાણી કરી શકે. પરંતુ જ્યારે રોકાણ કરેલાં નાણાંમાંથી બૅન્ક કમાણી નથી કરી શકતી તો બૅન્ક માટે સમસ્યા શરૂ થઈ જાય છે.
એટલે બૅન્કોની બૅલેન્શ શીટ જોઈને એ વાતનો અંદાજો લગાવી શકાય છે કે કેટલી રકમ ફસાયેલી છે જે પરત નથી આવી રહી.
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાનુ કામ છે કે દર વર્ષે બૅન્કોની ખાતાવહી જોઈને એ વાતનો હિસાબ રાખે કે બૅન્કમાં કોઈ ગડબડી તો નથી થઈ.
જો ગેરરીતિ જોવા મળે અથવા શંકા જાય તો ચેક ઍન્ડ બૅલેન્સ કરે છે. જો મામલો સુધરે નહીં તો બૅન્કનું નિયંત્રણ કેટલાક દિવસો માટે પોતાના હાથમાં લઈ લે છે.
થોડી ઘણી તપાસ કરીને તમે આવી બૅન્કોની યાદી ઇન્ટરનેટ પર જોઈ શકો છો. તેને સ્ટ્રેસ્ડ બૅન્ક કહેવાય છે.
જો તમારી બૅન્ક આવી યાદીમાં હોય તો તરત પૈસા કાઢી લેવા ફાયદાકારક રહેશે.
વધુ વ્યાજ આપતી બૅન્કોની વધુ તપાસ કરો
પૂર્વ રાજસ્વ સચિવ રાજીવ ટકરુ કહે છે કે તમારું જમા નાણું પર જે બૅન્ક વ્યાજ વધારે આપવાની વાત કરે તેને શંકાની નજરથી જોવી જોઈએ.
સામાન્ય રીતે સરકારી બૅન્ક જમા રકમ પર ઓછું વ્યાજ આપે છે. કેટલીક બૅન્ક ખાનગી સર્વિસ આપતી સરકારી બૅન્કો કરતા સારા વ્યાજદર આપે છે.
પણ જ્યારે કોઈ ત્રીજી બૅન્ક તમને સૌથી વધુ વ્યાજ આપે તો નક્કી તમારે તપાસ કરવી જોઈએ.
બૅન્કબજાર ડૉટ કૉમના સીઈઓ આદિલ શેટ્ટી કહે છે,"આ વર્ષે નવેમ્બરમાં મોટા ભાગે બૅન્કો દ્વારા એક વર્ષની ફિક્સ ડિપોઝિટ પર 4.9 ટકાથી 5.5 ટકા સુધીનું વ્યાજ આપવામાં આવ્યું છે."
"પરંતુ કેટલીક નાની બૅન્ક સાત ટકા સુધી વ્યાજ આપે છે. એવા સમયમાં જ્યારે વ્યાજદર સસ્તા થઈ રહ્યા હોય તો નાણું જમા કરતા લોકો વિચારે છે કે કેવી રીતે તેમને વધુથી વધુ વ્યાજ મળે. પણ તેમાં જોખમ પણ રહેતું હોય છે."
"આથી તમામ નાણાં એવી જ જગ્યાએ રાખવા જોઈએ જ્યાં વ્યાજની સાથે મૂળ રકમ સુરક્ષિત પણ રહે. એટલે કે એક જ જગ્યાએ બધુ રોકાણ ન કરવું."
આ કેટલાક એવા ઉપાયો છે જેના ભરોસે તમે તમારી જમા રકમને ડૂબવાથી કેટલીક હદે બચાવી શકો છો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો