સબરીમાલામાં વિરોધ પ્રદર્શનમાં હિંસા, એકનું મૃત્યુ

સબરીમાલામાં ભગવાન અયપ્પા મંદિરમાં બુધવારે 50થી ઓછી વયની બે મહિલાઓએ પ્રવેશ કર્યો જેને પગલે રાજ્યમાં હિંસક વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યાં છે. સબરીમાલા કર્મ સમિતિએ બંધનું એલાન આપ્યું છે અને તમિલનાડુથી કેરળમાં પ્રવેશતી તમામ સરકારી બસોને રોકવામાં આવી રહી છે.

પ્રદર્શન દરમિયાન સબરીમાલા કર્મ સમિતિ અને સીપીએમના સમર્થકો વચ્ચે થયેલી ઝડપમાં 54 વર્ષીય એક વ્યકિતનું મૃત્યુ નીપજ્યું હોવાના પણ અહેવાલ છે. પોલીસે આ મામલે બે લોકોની ધરપકડ કરી છે.

ચંદ્રન ઉન્નીથન નામની વ્યકિતને બુધવારે રાતે હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જયાં ઊંડા ઘાને લીધે એમનું મૃત્યુ નીપજ્યું હતું.

મહિલાઓનાં મંદિર પ્રવેશને લઈને કૉંગ્રેસ અને ભાજપ બેઉ પક્ષોએ મુખ્ય મંત્રી પિનરાઈ વિજયનની ટીકા કરી છે.

મુખ્ય મંત્રીએ કહ્યું, "મહિલાઓએ મંદિરમાં પ્રવેશ શ્રદ્ધાળુ તરીકે કર્યો હતો ન કે સરકારી અધિકારી તરીકે."

"એમને સુરક્ષા આપવાની સરકારની ફરજ છે. અમને સુપ્રીમ કૉર્ટનો આદેશ છે અને ભાજપ અમને આદેશનું પાલન કરતા રોકી રહ્યો છે, જે સુપ્રીમ કૉર્ટની વિરુદ્ધ છે."

કેરળમાં આજ સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી બંધનું એલાન અપાયું છે અને રાજયમાં આરોગ્ય તેમજ દૂધ વિતરણ સિવાયનો તમામ વ્યવહાર બંધ રખાયો છે.

આને લીધે હિંસા વધી શકે છે એમ પોલીસનું માનવું છે.

હિંસાને લઈને કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે તેનો ચોક્કસ આંકડો હજુ પોલીસે જાહેર નથી કર્યો.

તમે આ વાંચ્યું કે નહીં?