You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું રાજનીતિની 'લીલા'માં રામ ભાજપનો બેડોપાર કરાવી શકશે?
- વાંચવાનો સમય: 3 મિનિટ
દિલ્હીની ચાંદીની ચોક લોકસભા સીટથી ચૂંટાયેલા સાંસદ ડૉ. હર્ષવર્ધન કેન્દ્રની મોદી સરકારમાં અનેક મહત્ત્વનાં ખાતાં સંભાળે છે. વિજ્ઞાન અને ટેકનૉલૉજી સાથે તેમની પાસે પર્યાવરણ મંત્રાલય પણ છે.
તમામ વ્યસ્તતામાંથી સમય કાઢીને ડૉ. હર્ષવર્ધન શુક્રવારે નવી ભૂમિકામાં જોવા મળ્યા.
તેમણે પોતાના સંસદીય ક્ષેત્રની એક રામલીલામાં રાજા જનકનો અભિનિય કર્યો.
રામલીલાના મંચ પર ઊતરતા પહેલાં તેમણે જણાવ્યું, "મારે રાજા જનકનો અભિનય કરવાનો છે. આમાં રસની કોઈ બાબત નથી પરંતુ મિત્રોએ કહ્યું તો કરવાનો નિર્ણય લીધો. હું અભિનેતા બનવા નથી જઈ રહ્યો."
પરંતુ સવાલ બીજો પણ છે.
લોકસભા ચૂંટણીમાં હવે એક વર્ષથી પણ ઓછો સમય બચ્યો છે તો શું રામલીલાના મંચ પર ઊતરીને ડૉ. હર્ષ વર્ધન કોઈ ગણતરી કરવાના પ્રયાસો કરી રહ્યા છે?
આ વાતને તેઓ ફાલતુ કહીને વખોડી કાઢે છે.
રામલીલીમાં અભિનય પર ઉઠ્યા સવાલો
પરંતુ ચાંદની ચોક સંસદીય ક્ષેત્ર સાથે જોડાયેલી દરેક વ્યક્તિ આ વાતને ફાલતુ સમજવાના મૂડમાં નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચાંદની ચોકથી સાંસદ રહી ચૂકેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જે. પી. અગ્રવાલ કહે છે, "તેઓ (ભાજપ) પોતાની નિષ્ફળતા છુપાવવા માટે રામનો સહારો લઈ રહ્યા છે. તેમણે (ડૉ. હર્ષવર્ધન) આ પહેલાં કોઈ રામલીલામાં ભાગ કેમ ના લીધો?"
"ચૂંટણી પહેલાં થનારી આ છેલ્લી રામલીલા છે. પરંતુ તેમને કોઈ ફાયદો થવાનો નથી."
તમે આ વાંચ્યું કે નહીં?
પરંતુ અહીં સવાલ માત્ર એક સીટનો નથી.
વર્ષ 2019ની ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ રાજનીતિના મેદાનમાં રામ નામની બૂમો સંભળાવવા લાગી છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતે 'સાધુ સ્વાધ્યાય સંગમ' નામના કાર્યક્રમમાં સંતોને રામ મંદિરનો મુદ્દો ફરી એકવાર ઉઠાવવાની અપીલ કરી હતી.
ત્યારબાદ આ મહિનાના પ્રથમ સપ્તાહે વિશ્વ હિંદુ પરિષદના સંતોએ 'ઉચ્ચાધિકાર સમિતિ'ની બેઠક બોલાવી જેમાં કેન્દ્ર સરકાર સમક્ષ 'કાયદો ઘડીને રામ મંદિરની બાધાઓને દૂર કરવા'ની માગ કરવામાં આવી.
વિકાસ પછી, રામ પહેલાં?
શું આ પ્રયાસો માત્ર સંતોની આસ્થા સાથે જોડાયેલા છે કે પછી મંદિરની રાજનીતિ ગરમાવવાના છે?
આ સવાલ પર બીબીસી હિંદી રેડિયોના કાર્યક્રમ 'ઇન્ડિયા બોલ'માં આવેલા વરિષ્ઠ પત્રકાર રામદત્ત ત્રિપાઠી કહે છે,
"આ સાતમી લોકસભા ચૂંટણી હશે જેમાં સંઘ પરિવાર રામ મંદિરને મુદ્દો બનાવવાના પ્રયોસો કરી રહ્યા છે."
પરંતુ માત્ર રામ મંદિરની જ વાત નથી થઈ રહી. ઉત્તર પ્રદેશમાં રામલીલાઓનું ભવ્ય આયોજન અને શાળામાં રામલીલાનું આયોજન કરાવવાની તૈયારીઓ પણ છે.
ગત વર્ષે ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યામાં દિવાળીના અવસર પર દીપદાન કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
રામ મંદિર મુદ્દાને વર્ષ 1989થી જ ભાજપના ઘોષણા પત્રમાં મહત્ત્વનું સ્થાન મળતું આવ્યું છે.
પરંતુ વર્ષ 2014ની સામાન્ય ચૂંટણીમાં જાહેર થયેલાં 42 પેજના ઘોષણા પત્રમાં આ મુદ્દાનો ઉલ્લેખ છેલ્લે હતો એટલે કે 41માં પેજ પર હતો.
મતલબ કે આ મુદ્દો હાંસિયામાં જોવા મળી રહ્યો છે.
એ સમયે વિશ્લેષકોનું એવું પણ કહેવું હતું કે આ મુદ્દો હવે મત અપાવવાનો દમ ખોઈ બેઠો છે.
તો પછી, આ મુદ્દાને ઉઠાવવાથી શું પ્રાપ્ત થશે?
રામદત્ત ત્રિપાઠી કહે છે, "ગઈ ચૂંટણીમાં નરેન્દ્ર મોદી વિકાસના નામ પર ઊતર્યા હતા. પરંતુ ઘણાં લોકો માને છે કે હાલની કેન્દ્ર સરકાર આર્થિક સ્તરે નિષ્ફળ રહી છે.''
''નોટબંધી બાદ આવેલી મુશ્કેલીઓ ગણાવાઈ રહી છે. એટલા માટે લાગણીશીલ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે."
તેઓ એવું પણ કહે છે કે ભારત એક મોટો દેશ છે અને અહીં કોઈ એક મુદ્દો દરેક વ્યક્તિને અપીલ કરે એવું નથી.
ત્રિપાઠી ઉમેરે છે, "દરેકની અલગ પ્રતિક્રિયાઓ છે. અમુક લોકો આર્થિક મુદ્દે વોટ આપે છે તો અમુક જાતિને આધારે. પરંતુ રામ જન્મભૂમિનો મુદ્દો હિંદુ સમુદાયને ઉત્તેજિત કરી શકે છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો