You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
GSTની ફાંસ વાગી છે, તો પણ ‘મોદીજી સારા છે’
ઘઉંનાં જેટલા લોટમાં ચાર રોટલી બને એટલા બાજરીના લોટમાંથી એક જ રોટલો બને છે. પછી એના પર બે ચમચી ઘી પડે છે.
બનાસકાંઠા જિલ્લાના ગોડિયા ગામમાં એક સમૃદ્ધ ખેડૂતના ઘરે ભરપૂર પ્રેમથી અડધો રોટલો, કઢી, છાસ, દહીં, અને શીરો થાળીમાં પીરાસાયાં. મારાથી આટલું બધું જમાશે એ બાબતે મને શંકા હતી.
આ સ્વાદિષ્ટ ભોજન બાદ મેં પૂછ્યું કે રોટલો પચાવવો સહેલો છે કે, મુશ્કેલ?
જવાબ મળ્યો, "એ પચાવવો થોડો અઘરો છે, પરંતુ પચાવી લો તો પેટ માટે સારો છે. જમ્યા પછી તરત પાણી ન પીશો. થોડા સમય પછી પીજો."
તમને આ વાંચવું પણ ગમશે:
બનાસકાંઠા બટાકાની ખેતીમાં અગ્રેસર જિલ્લો છે. ડીસા તાલુકો બટાકા ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર મનાય છે. અહીં લગભગ 250 કોલ્ડ સ્ટોરેજ છે. પરંતુ આ વર્ષે બટાકાના ભાવમાં મંદીને કારણે ખેડૂતો નિરાશ છે.
બટાકાના ભાવ
નજીકમાં આવેલા લાખણી તાલુકાના ડેરા ગામમાં કેટલાક ખેડૂતોને મળવાનું નક્કી થયું હતું. ત્યાં પહોંચ્યો તો એ સડી ગયેલાં અને ન વેચાયેલા બટકાંના કોથળા પર બેઠા હતા.
આ વર્ષે એમણે બટાકા બે રૂપિયે કિલોના ભાવે વેચવા પડ્યા છે. એમની આ મામલે એમની ઈચ્છા જાણી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે બટાકાની નિકાસ પર લાગેલો પ્રતિબંધ હટાવી લેવામાં આવે તો એ લોકો વધુ સારા ભાવે પાકિસ્તાન સુધી બટાકાની નિકાસ કરી શકે. પાકિસ્તાનની સરહદ અહીંથી માત્ર સો કિલોમીટર દૂર છે.
આ ખેડૂતો પટેલ સમાજના છે, તેમાંથી મોટાભાગનો લોકોએ માન્યું કે, બટાકાના મુદ્દે તેમને સરકારનો સહકાર જોઈતો હતો. આમ છતાં આ સરકાર બદલાવી દેવામાં તેમની આશ્ચર્યજનક અનિચ્છા જોવા મળી.
એક ખેડૂતે મારા ખભે હાથ મૂક્યો અને 'હું તમને કંઈક વિશેષ વાત કહું છું' એવા 'આત્મવિશ્વાસ' સાથે મને કહ્યું કે ભાજપની સરકાર જ સારી છે, અને તમે જોજો કે આ વખતે પણ એ જ આવશે.
GSTના મારથી વેપારી તૂટી ગયા છે?
છ દિવસો પહેલાં અમે અમદાવાદના પાંચ કુવા સિંધી બજારમાં હતા. એ કપડાનું મોટું બજાર છે. મોટાભાગની દુકાનો પાકિસ્તાનથી આવેલા સિંધીઓની છે.
આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગનાં લોકો અહીંથી કપડા ખરીદે છે. GSTના વિરોધમાં ત્યાંના વેપારીઓએ 15 દિવસ સુધી પોતાની દુકાનો બંધ રાખી હતી.
વેપારીઓના પ્રતિનિધિઓએ અમિત શાહ સુધી મુલાકાતો કરી હતી. અમે GSTની અસર પૂછી તો એક વેપારીએ સંભળાવી દીધું કે કંઈ કરી શકશો તો બોલો, ખાલીખૂલી શું વાત કરવાની.
પણ એક વખત વાત ચાલું થઈ તો દુકાનદારોની ભીડ પોતાની ફરિયાદ સાથે ભેગી થઈ ગઈ.
કેટલાય વેપારીઓનું કહેવું હતું કે, GST લાગુ થયા બાદ ધંધો અડધાથી પણ ઓછો થઈ ગયો છે.
ગ્રાહકો GSTનો બોજો વહેંચતા નથી
મુકેશભાઈએ કહ્યું કે કાગળો કરવાની કડાકૂટ વધી ગઈ છે અને એમાં વળી ગ્રાહકો GSTનો બોજો વહેંચવા તૈયાર નથી.
GST લાગુ થયા પછી હજાર રૂપિયાની સાડીનો ભાવ પચાસ રૂપિયા વધી ગયો છે, પણ ગ્રાહક વધારાના પચાસ રૂપિયા આપવા તૈયાર નથી. એટલે બધો જ બોજો અમારી ઉપર પડે છે.
અમને એ વેપારીઓએ કહ્યું કે એક સમયે એ ગલીઓમાં પગ મૂકવાની જગ્યા નહોતી મળતી. પણ હવે ત્યાં એકાદ-બે ગ્રાહકો ફરી રહ્યા હતા.
કેટલાકે પચાસ ટકા તો કેટલાકે એંસી ટકા જેટલી ઘરાકી તૂટી ગઈ હોવાનો દાવો કર્યો. કેટલાક દુકાનદારોએ તો એમ પણ કહી દીધું કે, નજીકનાં ભવિષ્યમાં જ એ લોકો કોઈ બીજો ધંધો શરૂ કરવાનું વિચારે છે.
બીજાને માર ખવડાવવા બાળક જોરથી રડે છે
આ બધી GSTની કડક ટીકાઓ હતી. મને એ ખબર નથી કે એ લોકો ખરેખર આવું વિચારતા હતા કે નહીં. મુશ્કેલીમાં મૂકાયેલી વ્યક્તિ ક્યારે ભાવાવેશમાં ક્યારેક-ક્યારેક સાતને બદલે સત્તર પણ કહી નાખે છે.
જ્યારે બાળકને કોઈના ઝઘડામાં વાગે છે, ત્યારે એ બીજા બાળકને માર ખવડાવવા માટે તેના દુખાવાનાં પ્રમાણ કરતાં થોડું વધારે જોરથી રડે છે.
મારી પાસે કોઈની બેલેન્સ શીટ તો નહોતી કે હું તેમના દાવા ચકાસી શકતો. જો કે એક વાત સ્પષ્ટ હતી કે એ બધા વેપારીઓ GSTથી ઘણા નારાજ હતા.
એની વિરુદ્ધમાં વાત કરતી વખતે તેમની ભાષામાં એક ભાવનાત્મક બેદરકારી હતી કે "અમે ખૂબ પરેશાન છીએ." અને "અમારી આંખમાં આંસુ આવી જાય છે." વગેરે.
થોડી જ વારમાં ફરિયાદોની એક લાંબી યાદી હું મારી ડાયરીમાં નોંધી ચૂક્યો હતો. પરંતુ વાત ત્યાંથી એક પગલું આગળ વધીને, જ્યારે રાજકીય પસંદગી પર આવી ત્યારે એ બધા વેપારીઓ જરા સચેત થઈ ગયેલા જોવા મળ્યા.
ગુસ્સો GST પર છે, ભાજપ પર નથી!
રાજનીતિના કોઈ અભ્યાસુ અહીં આવીને એ સમજાવે કે GSTનો સખત વિરોધ કરી રહેલા આ વેપારીઓ ખોંખારીને ભાજપની ટીકા કેમ નથી કરતા?
કોઈએ કહ્યું કે, બજારના પ્રમુખ રાજેશભાઈને બોલાવી લો. એ બોલશે, તો બધા બોલશે. એક દુકાનદારે સ્વીકાર્યું કે હા, GST આ વખતે ચૂંટણીમાં એમના માટે એક મુદ્દો હોઈ શકે છે. સૌથી મજબૂત ટીકા આ જ હતી.
સિંધી વેપારીઓના આ વર્ગમાંથી મોટાભાગનાએ માન્યું કે એ લોકો ભાજપને વફાદાર મતદારો છે. હજી પણ એમની પસંદગી ભાજપ જ છે. એમનો એક જ સૂર હતો કે એમને ગુસ્સો GST પર છે, ભાજપ પર નથી.
કારણ કે કામ ભાજપ જ કરાવે છે. મોદીજી આપણા છે, એમની સાથે લડીને આપણું કામ કરાવી શકાય છે. કોંગ્રેસ પણ ક્યાં GST પાછો ખેંચવાની છે? મનમોહન પોતે GSTના સમર્થક છે.
એટલે કોંગ્રેસ ગુજરાતમાં આવે તેમ તો લાગતું નથી. ગુજરાતમાં છેલ્લાં છ દિવસથી છું.
ભાજપના જૂનાં સમર્થક જૂથોમાં નીતિવિષયક નારાજગીનાં સૂર તો સાંભળવા મળ્યા, પણ એમાંથી મોટાભાગના લોકોએ "પણ મોદીજી તો સારા છે." કહીને વાત પૂરી કરી.
જે બીજા પક્ષોનાં વફાદાર મતદારો છે, એ લોકો તો વિરોધમાં જ છે. પરંતુ શરૂઆતથી જ વર્ગ ભાજપનાં વફાદાર સમર્થકો રહ્યા છે, તે અસંતોષ છતાં પણ તેમનો સૂર મધ્યમ સંભળાય છે.
આ ઉત્તર પ્રદેશ નથી, જ્યાં કેમેરો અને માઇક જોઈને લોકોના ચહેરા પર "અમને અમને પૂછો"નો ભાવ દેખાઈ જાય અને પછી એ લોકો સરકારની સૌથી ખરાબ શબ્દોમાં ટીકા કરી નાખે.
આ ફેબ્રુઆરી પણ નથી, જ્યારે ઠંડી ઓછી થઈ રહી હોય. આ નવેમ્બર છે અને આ ગુજરાત છે.
અહીં રોટલો પચાવવો સહેલો નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો