પાકિસ્તાનમાં બલૂચિસ્તાનના ક્વેટામાં રેલવે ટ્રૅક પર વિસ્ફોટ, 20નાં મોત- ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

બીબીસી ઉર્દૂના પત્રકાર મુહમ્મ્દ કાઝિમે આપેલી માહિતી અનુસાર, પાકિસ્તાનના ક્વેટા શહેરમાં ચમન ફાટક પાસે રવિવારના રેલવે ટ્રૅક પર વિસ્ફોટ થયો છે. બીબીસીને મળેલી માહિતી અનુસાર આ વિસ્ફોટમાં 20 લોકોનાં મોત થયાં છે અને 70થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે.

બ્લાસ્ટને કારણે ટ્રેનના ત્રણ ડબ્બા ટ્રૅક પરથી ઊતરી ગયા, જ્યારે બે ડબ્બા પલટી ગયા.

પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે રેલવે ટ્રૅક પાસે ઊભાં કેટલાંક વાહનો ક્ષતિગ્રસ્ત થઈ ગયાં છે અને આસપાસનાં ઘરોને પણ નુકસાન થયું.

સેના અને પોલીસ બળ દુર્ઘટનાસ્થળે હાજર છે. અધિકારીઓએ અત્યાર સુધી બ્લાસ્ટને કારણે અથવા ઈજાગ્રસ્ત થયેલા લોકો વિશે કોઈ નિવેદન નથી આપ્યું.

રેલવે મંત્રી મુહમ્મદ હનીફ અબ્બાસીએ ક્વેટામાં બ્લાસ્ટની ટીકા કરી છે.

રેલવે પ્રવક્તાના નિવેદનમાં રેલવે મંત્રી હનીફ અબ્બાસે કહ્યું કે, "ક્વેટા કૅન્ટથી આવનારી શટલ ટ્રેનમાં ચમન ફાટક પાસે બ્લાસ્ટ થયો છે."

તેમણે જણાવ્યું કે બ્લાસ્ટને કારણે ઍન્જિન સહિત ત્રણ ડબ્બા ટ્રૅક પરથી ઊતરી ગયા જ્યારે બે ડબ્બા પલટી ગયા.

સચીન તેંડુલકરે પુત્ર અર્જુનને લખ્યું, 'બસ, આમ જ વળગેલો રહે'

પૂર્વ ક્રિકેટર સચીન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરને લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી આ સિઝનમાં પહેલી વાર રમવાની તક મળી હતી, અને એ પણ લખનૌની છેલ્લી મૅચમાં.

અર્જુન તેંડુલકરે ચાર ઓવરમાં 36 રન આપીને એક વિકેટ ઝડપી હતી.

અર્જુનના પફૉર્મન્સને જોતાં તેમના પિતા અને દિગ્ગજ ક્રિકેટર સચીન તેંડુલકરે સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ લખી.

અર્જુન તેંડુલકરે પંજાબ કિંગ્સ વિરુદ્ધ મૅચમાં એલએસજી માટે ડેબ્યુ કર્યું. ફાસ્ટ બૉલર અર્જુને ચાર ઓવરમાં 36 આપ્યા અને એક વિકેટ લીધી.

ત્યાર બાદ સચીન તેંડુલકરે ઍક્સ પર લખ્યું કે, "શાબાશ, અર્જુન. આ સિઝનમાં તું પોતાને જે રીતે આગળ લઈ ગયો છે એ જોઈને ગર્વ થાય છે. તેં હંમેશાં ખુદ પર વિશ્વાસ રાખ્યો, ધીરજ રાખી, શાંતિથી મહેનત કરી અને છેક છેલ્લી મૅચમાં તક મળવા સુધી તું હકારાત્મક રહ્યો."

"ક્રિકેટ એ ધીરજની સાથે સ્કિલની પણ પરીક્ષા લે છે, અને આજે તેં બંનેનું સુંદર રીતે જોડાણ રાખ્યું. બસ, આમ જ વળગેલો રહે અને રમત સાથે જે તને પ્રેમ છે તેને હંમેશાં રાખજે."

ઇકાના સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ વિરુદ્ધ રમાયેલી છેલ્લી લીગ મૅચમાં એલએસજીની ટીમ હારી ગઈ હતી

પહેલાં બૅટિંગ કરતા લખનૌની ટીમે 20 ઓવરમાં 6 ગુમાવીને 196 રન બનાવ્યા. તેના જવાબમાં પંજાબ કિંગ્સે 18 ઓવર પૂરી થતાં જ સાત વિકેટથી જીતી ગઈ હતી.

પશ્ચિમ બંગાળની ફાલ્ટા વિધાનસભા બેઠક પર મતોની ગણતરી શરૂ

પશ્ચિમ બંગાળની ફાલ્ટા વિધાનસભા બેઠક પર મતોની ગણતરી રવિવારે સવારે આઠ વાગ્યે ચુસ્ત સુરક્ષા વચ્ચે શરૂ થઈ ગઈ છે.

એક ચૂંટણી અધિકારીએ સમાચાર એજન્સી પીટીઆઇને કહ્યું, "મતની ગણતરી શાંતિપૂર્ણ ચાલી રહી છે. મતગણતરી કેન્દ્ર પર સુરક્ષાની તમામ વ્યવસ્થા કરાઈ છે.

આ બેઠકનાં બધાં 285 બૂથ પર 21 મેના રોજ ફરી વાર મતદાન થયું હતું.

અગાઉ 29 એપ્રિલે દક્ષિણ 24 પરગણા જિલ્લાની બેઠક પર બીજા તબક્કાનું મતદાન થયું હતું, પરંતુ ઇવીએમમાં ગરબડ અને અનિયમિતતાઓના આરોપ બાદ ચૂંટણી રદ કરી દેવાઈ હતી.

ફાલ્ટા બેઠક પર તૃણમૂલ કૉંગ્રેસના ઉમેદવાર જહાંગીર ખાન પહેલેથી ચૂંટણીમાંથી ખસી ગયા હતા, પરંતુ ઇવીએમમાં તેમનું નામ છે, કેમ કે તેમણે આ નિર્ણય નામ પાછું ખેંચવાની તારીખ બાદ લીધો હતો.

અહીં ભાજપના ઉમેદવાર દેવાંગ્શુ પાંડા, કૉંગ્રેસના અબ્દુર રઝ્ઝાક મોલ્લા અને સીપીઆઈ (એમ)ના સંભુનાથ કુર્મી મેદાનમાં છે.

ઈરાને પાકિસ્તાનનાં વખાણ કરતાં શું કહ્યું?

પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવી ઈરાનની યાત્રા કરીને પોતાના દેશ આવી ગયા છે.

ત્યાર બાદ પાકિસ્તાનમાં ઈરાનના રાજદૂત રઝા અમીરી મુકદ્દમે જણાવ્યું કે પાકિસ્તાનના પ્રયત્નોને કારણે હાલમાં વાતચીત સારી રહી છે.

રઝા અમીરી મુકદ્દમે કહ્યું કે જો બીજો પક્ષ ગંભીરતા દર્શાવે તો ક્ષેત્રમાં શાંતિ સ્થાપતિ થઈ શકે છે.

તેમણે સોશિયલ પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "મોહસીન નકવીએ તહેરાનથી પાછા આવ્યા બાદ ઈરાની અધિકારીઓ સાથે થયેલી વાતચીતની સફળતા પર મને અભિનંદન આપ્યાં છે."

રઝા અમીરી મુકદ્દમે લખ્યું, "જો બીજો પક્ષ સંપૂર્ણ ગંભીર રહે, તો એક સારું પગલું સામે આવશે. આ વાતચીતમાં થયેલી પ્રગતિ ઈરાનનું વલણ, તેની સેનાની મજબૂતી અને લોકોની હિંમતનું પરિણામ છે. તેમજ તેમાં પાકિસ્તાનની મધ્યસ્થતાના પ્રયાસો પણ સામેલ છે."

તેમણે આગળ લખ્યું, "હું આશા રાખું છે કે પાકિસ્તાનની સરકાર અને સેના સાચા પ્રયત્નો આ ક્ષેત્રમાં સ્થાયી શાંતિ લાવશે. ખાસ કરીને વડા પ્રધાન શહબાઝ શરીફ, ફિલ્ડ માર્શલ આસિમ મુનિર, વિદેશમંત્રી ઇસહાક ડાર અને ગૃહમંત્રી મોહસીન નકવીએ ઈમાનદારીથી પ્રયત્નો કર્યા છે."

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ આસિમ મુનિર પણ શુક્રવારે ઈરાનની રાજધાની તહેરાન પહોંચ્યા હતા. ત્યાં તેમણે ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાગચી સાથે મુલાકાત કરી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન